Money9: અજય મ્યુચ્યુઅલ ફંડના કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરે છે. આ સ્કીમમાં ઇક્વિટી અને ડેટ સિક્યોરિટી બંનેનું મિશ્રણ હોય છે, તેથી તેને ઓછું જોખમ ઉઠાવનારા રોકાણકારો માટે યોગ્ય માનવામાં આવે છે. અજયે જ્યારે બે વર્ષ પહેલાં રોકાણ કરવાનું શરૂ કર્યું, ત્યારે કંપનીએ આ સ્કીમને રિસ્ક માપનારા રિસ્કોમીટરની મોડરેટ કેટેગરીમાં રાખી હતી. પરંતુ હવે તેના જોખમને ‘મોડરેટ હાઇ’ કેટેગરીમાં શિફ્ટ કરી દીધું છે. કંપની શા માટે રિસ્ક કેટેગરી બદલે છે અને જો આવું થાય તો શું અજયે તેના રોકાણમાં ફેરફાર કરવો જોઈએ? આવો જાણીએ…
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ સંબંધિત દસ્તાવેજમાં રિસ્કને સમજવા માટે એક રિસ્કોમીટર આપવામાં આવે છે. પરંતુ અજય જેવા લાખો રોકાણકારો રિસ્કોમીટર વિશે નથી જાણતા. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે સપ્ટેમ્બર 2023માં એક સર્વે હાથ ધર્યો હતો… સર્વેમાં સામેલ લગભગ 61 ટકા લોકો એટલે કે દર 10માંથી 6 લોકોને ખબર ન હતી કે રિસ્કોમીટર શું દર્શાવે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જોખમોને આધીન છે…આવી પરિસ્થિતિમાં જોખમ માપવાનું મીટર એટલે કે રિસ્કોમીટરને સમજવું જરૂરી છે. કોઈપણ MF સ્કીમમાં, જ્યારે કંપની તેમાં રોકાણ કરવામાં આવતા શેર અથવા ડેટના હિસ્સામાં ફેરફાર કરે છે, ત્યારે તેની અસર જોખમને માપતા રિસ્કોમીટરને પર પડે છે. દર વખતે જોખમની શ્રેણી બદલાય એ જરૂરી નથી…પરંતુ જો મોટા ફેરફારો થાય તો જોખમનું સ્તર વધી કે ઘટી શકે છે. રિસ્કોમીટર બદલાય તો તમારુ રિટર્ન સારુ પણ થઈ શકે છે અથવા તેમાં ઘટાડો પણ થઈ શકે છે.
હવે એ જાણીએ કે રિસ્કોમીટર શું છે? તમામ મ્યુચ્યુઅલ ફંડ માટે સ્કીમના દસ્તાવેજોમાં રિસ્કોમીટર દર્શાવવું ફરજિયાત છે જેથી રોકાણકારને સ્કીમ સાથે સંકળાયેલા રિસ્ક વિશે ખબર હોય…ડોક્યુમેન્ટ્સમાં તમને સૌથી ઉપર એક પિક્ચર દેખાય છે. જેમાં રિસ્કના 6 અલગ અલગ લેવલ હોય છે. તેમાં લોથી વેરી હાઇ રિસ્ક સામેલ હોય છે. રિસ્કના અલગ અલગ લેવલ શું સૂચવે છે. હવે તે સમજીએ..
લો રિસ્ક કેટેગરીમાં આવતી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ એવી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે જ્યાં જોખમ ઘણું ઓછું હોય છે… આવા ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ રોકાણ પર બહુ ઓછું જોખમ લેવા માગે છે… સામાન્ય રીતે આ પ્રકારના ફંડ્સ ઓછું રિટર્ન આપે છે. આમાં ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ અને આર્બિટ્રેજ ફંડ્સ આવે છે.
લો ટુ મોડરેટ રિસ્ક લેવલવાળા ફંડ એવા ઇન્વેસ્ટર્સ માટે છે જે મીડિયમથી લોંગ ટર્મ સુધીના ઇન્વેસ્ટમેન્ટનો દ્રષ્ટિકોણ રાખીને ચાલે છે અને થોડુંક જોખમ લેવા માટે તૈયાર છે…અલ્ટ્રા-શોર્ટ ડ્યૂરેશન ફંડ આ કેટેગરીમાં આવે છે.
મોડરેટ રિસ્કવાળા ફંડ એવા રોકાણકારો માટે સારા છે કે જેઓ થોડા વધુ રિટર્ન માટે મોડરેટ રિસ્ક એટલે કે મધ્યમ સ્તરનું જોખમ લેવા તૈયાર છે. મોટા ભાગના ડાયનેમિક બોન્ડ ફંડ આ કેટેગરીમાં આવે છે.
મોડરેટલી હાઇ રિસ્ક ધરાવતા ફંડ કંઈક અંશે રિસ્કનું લેવલ હાઇ રાખે છે. આ સ્કીમ્સ એવા ઇન્વેસ્ટર્સ માટે ઠીક છે જે વધુ નફા માટે વધુ ઉતાર-ચડાવ સહન કરવા માટે તૈયાર છે.
હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા મ્યુચ્યુઅલ ફંડ્સ મુખ્યત્વે ઈક્વિટી એટલે કે શેર્સમાં રોકાણ કરે છે…જો તમે વધુ રિટર્ન માટે વધુ જોખમ લઈ શકો છો…તો આ પ્રકારના ફંડ્સ તમારા માટે યોગ્ય છે.
વેરી હાઈ રિસ્ક કેટેગરીના ફંડ્સ ખૂબ જ જોખમી માનવામાં આવે છે, જે વોલેટાઈલ સ્ટોક્સ એટલે કે એવા શેરો જેમાં ઉતાર-ચડાવની સંભાવના રહેતી હોય તેમાં અથવા તો પછી વિદેશી મ્યુચ્યુઅલ ફંડ્સના યૂનિટમાં પૈસા લગાવે છે. આ ફંડ એવા લોકો માટે છે, જે હાઇ રિસ્ક, હાઇ રિટર્નની થિયરી પર ચાલે છે.
માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ હાઉસની એ જવાબદારી છે કે રિસ્કોમીટરમાં કોઇપણ પ્રકારના ફેરફાર અંગે ઇન્વેસ્ટર્સને પોતાની વેબસાઈટ, અખબાર, એસએમએસ અથવા ઈ-મેલ દ્વારા માહિતી આપવી પડશે.
મ્યુચ્યુઅલ ફંડની દરેક કેટેગરીમાં વિવિધ પ્રકારના જોખમો હોય છે. ઉદાહરણ તરીકે, શેરબજારમાં રોકાણને કારણે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ ઘણું વધારે હોય છે… આ જ રીતે, ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક અને રિટર્ન બંને ઓછા હોય છે. ફંડ મેનેજર જે પ્રકારની ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે, તેના આધારે જોખમ અલગ-અલગ હોય છે.
ઇક્વિટી આધારિત MF યોજનાઓમાં, બજારની વધઘટનું જોખમ રહેલું છે, જ્યારે ડેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરતી યોજનાઓમાં, વ્યાજ દરોમાં ફેરફાર અને જે કંપનીઓના બોન્ડમાં રોકાણ કરવામાં આવે છે તેમની નાણાકીય સ્થિતિ અંગે જોખમ રહે છે. આ ઉપરાંત, ફુગાવો પણ તમારા રિટર્ન પર અસર કરે છે.
નાણાકીય નિષ્ણાતો કહે છે કે રિસ્કોમીટર એક એવી વસ્તુ છે જેને દરેક રોકાણકારે જોવું જોઈએ… ખાસ કરીને ત્યારે જ્યારે રિસ્ક લેવલમાં કોઇ પ્રકારનો ચેન્જ હોય. ફંડ સાથે સંકળાયેલા જોખમોને જાણ્યા વિના સ્કીમ પસંદ કરવાથી રિટર્ન પર અસર થઈ શકે છે.
તેવી જ રીતે, કોઇ સ્કીમના રિસ્ક પ્રોફાઇલમાં થયેલા ફેરફારોને ઇગ્નોર કરવાથી તમે બજારના ઉતાર-ચડાવનો સામનો કરી શકો છો અને રિટર્નની દ્રષ્ટિએ નુકસાન કરાવી શકે છે.
ઈન્વેસ્ટોગ્રાફીના ફાઉન્ડર શ્વેતા જૈન કહે છે કે એક રોકાણકારે રિસ્કોમીટરને જરૂર જોવું જોઈએ. આનાથી તેમને ખબર પડશે કે કંપનીએ સ્કીમના પોર્ટફોલિયોમાં શું ફેરફારો કર્યા છે. જો સ્કીમના રોકાણ કરવામાં કોઈ નોંધપાત્ર ફેરફાર થાય છે જે રોકાણકારની જોખમ લેવાની ક્ષમતાને અનુરુપ નથી, તો જ તેમાં ફેરફાર કરવાનું વિચારો.
રોકાણ કરતા પહેલા તમારે જે ફેક્ટર્સ ધ્યાનમાં લેવા જોઈએ તેમાંથી એક છે રિસ્કોમીટર… પરંતુ એવું પણ નથી કે રિસ્કોમીટરના દરેક ફેરફારમાં તમારે તમારુ રોકાણ બદલવું પડે. તે તમને સ્કીમને મોનિટર કરવામાં મદદ કરે છે. રિસ્કોમીટર કરતાં વધુ, રોકાણકારોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તેઓ રોકાણ શા માટે અને કેટલા સમય માટે કરી રહ્યા છે. જો રોકાણ લાંબા ગાળા માટે છે તો રિસ્કોમીટરના ફેરફારથી વધુ વિચલિત ન થશો… પરંતુ જો રોકાણ ટૂંકા ગાળાનું છે અને તેમાં કંપની રિસ્કની કેટેગરી બદલે છે તો કોઇ નાણાકીય સલાહકારની મદદથી સમજો કે તમારા રોકાણ પર તેની શું અસર થઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો