Money9: જયપુરની જ્યોતિ એક ઇક્વિટી ફંડમાં રોકાણ કરીને ફસાઇ ગઇ છે. હકીકતમાં આ ફંડ તેની જરૂરિયાતો અનુસારનું હતુ જ નહીં. તેને લાગ્યું કે ઇક્વિટી ફંડ છે તો રિટર્ન સારુ જ મળશે. પરંતુ સત્ય તો એ છે કે ઇક્વિટી ફંડ બધા માટે સારા સાબિત થાય તે જરૂરી નથી. તેમાં રોકાણ કરતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. માર્કેટમાં 400થી પણ વધુ ઇક્વિટી ફંડ્સ છે ત્યારે ભૂલ થવી સ્વાભાવિક છે. તો એ વાત સમજીએ કે ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરતી વખતે છેવટે કઇ બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
પહેલું રોકાણનું હોરાઇઝન ક્લિયર હોવું જોઈએ
જ્યારે તમે ઇક્વિટી ફંડ પસંદ કરો છો, ત્યારે રોકાણ હોરાઇઝન એટલે કે તમે કેટલા સમય માટે રોકાણ કરવા માંગો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઉદાહરણ તરીકે, જો તમારું 5 વર્ષથી વધુનું લોંગ ટર્મ ગોલ છે, તો તમારે તમારી એસેટ્સમાં ઇક્વિટી રોકાણ જરૂર સામેલ કરવું જોઇએ.
ધ્યાનમાં રાખો કે જો તમે ટૂંકા ગાળા માટે ઇક્વિટી ફંડ પસંદ કરો છો, તો તેમાં હંમેશા વધઘટ થવાની સંભાવના રહેશે. પરંતુ જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરશો તો આ વધઘટ સંતુલિત રહેશે. ટૂંકા ગાળા માટે ડેટ ફંડ હંમેશા સારો વિકલ્પ હોય છે જેમાં જોખમ પણ ઓછું હોય છે.
બીજું, તમારી જોખમ લેવાની ક્ષમતાને ચકાસો. જોખમ અને રિવોર્ડ હંમેશા સાથે સાથે આવતા હોય છે. જે રોકાણકારો વધુ જોખમ લઈ શકે છે તેઓ મિડકેપ અથવા સ્મોલકેપ ઈક્વિટી ફંડ્સમાં રોકાણ કરી શકે છે. બીજી તરફ, લાર્જકેપ ઈક્વિટી ફંડ્સ મોટી કંપનીઓમાં રોકાણ કરે છે અને તે સામાન્ય રીતે ઓછા જોખમની સાથે મધ્યમ સ્તરનું રિટર્ન આપે છે.
આપેલા ટેબલ પરથી એ સ્પષ્ટ થાય છે કે તમામ પ્રકારના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વિવિધ પ્રકારનું રિટર્ન આપે છે. તમે તમારી જોખમ લેવાની ક્ષમતા અનુસાર તેની પસંદગી કરી શકો છો.
ત્રીજું…એક્સપેન્સ રેશિયો પણ જુઓ
એક્સપેન્સ રેશિયોનો અર્થ એ ફી છે જે એસેટ મેનેજમેન્ટ કંપની ફંડને મેનેજ કરવા માટે ચાર્જ કરે છે. દરેક ફંડ હાઉસ અલગ અલગ રીતે એક્સ્પેન્સ રેશિયો રાખે છે. સામાન્ય રીતે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ 2.25 ટકા સુધીનો એક્સપેન્સ રેશિયો રાખે છે. રોકાણકારોએ રિસર્ચ કરીને એ જોવું જોઈએ કે કઈ સ્કીમમાં એક્સપેન્સ રેશિયો ઓછો છે.
ચોથું.. ફંડનું પ્રદર્શન જુઓ
તમે કોઇ ઇક્વિટી ફંડનું જોખમ અને ગોલને ધ્યાનમાં રાખીને ખુબ જ કાળજીપૂર્વક મૂલ્યાંકન કરો છો, તો પણ એવી શક્યતાઓ રહેતી હોય છે કે ભલે ફીચર અને ટેક્સ બેનિફિટ વગેરે સ્વરૂપે ફંડ આકર્ષક લાગી રહ્યું હોય પરંતુ પોતાના ઉદ્દેશ્ય અને બિઝનેસ રણનીતિના હિસાબે તે અંડરપર્ફોર્મ એટલે કે નબળું પ્રદર્શન કરી રહ્યું હોય.
તેથી, રોકાણકારોએ હંમેશા ફંડની ભૂતકાળની કામગીરી અને ફંડે પાછલા વર્ષોમાં સતત સારું રિટર્ન આપ્યું છે કે નહીં તે પણ જોવું જોઇએ. ફંડના પ્રદર્શનમાં નિરંતરતા, ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ અને ફંડના રેટિંગને ચેક કરવાથી તમે ખોટી ઇક્વિટી સ્કીમ પસંદ કરવાથી બચી શકો છો.
પાંચમી વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવાની છે તે છે ઉંમર. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં ઉંમર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે જેટલું વહેલું ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો, તેટલો તમને કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વધારાનો લાભ મળશે. તેથી, જો તમારો ધ્યેય લાંબા ગાળાનો છે, તો સારા રિટર્ન માટે જરૂરી છે કે શક્ય તેટલી વહેલી તકે ઇક્વિટી ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરી દો.
જો કોઈ રોકાણકાર સારી વેલ્થ બનાવવાની સાથે જ ટેક્સ પણ બચાવવા માંગતો હોય, તો તેણે ટેક્સ સેવિંગ ફંડ પસંદ કરવું જોઈએ જે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એટલે કે ELSSના નામથી ઓળખાય છે. ELSS પ્લાનમાં જે રોકાણ થાય છે તેની પર આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ ટેક્સ સેવિંગનો ફાયદો મળે છે.
એકંદરે, એવું કહી શકાય કે જ્યોતિ જેવા રોકાણકારો તેમના પોર્ટફોલિયો માટે અંતિમ પસંદગી કરતા પહેલા ફંડ્સ વિશેની માહિતી એકત્ર કરવામાં થોડોક સમય લગાવે અને પોતે અથવા કોઇ નાણાકીય સલાહકારના માધ્યમથી તેનું વિશ્લેષણ કરે. જો તે આ રીતે રોકાણ કરશે તો નુકસાનમાંથી બચી જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો