Money9: તાજેતરના સમયમાં શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં, ચંદીગઢનો અમરજીત ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યો છે…તે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગે છે…પરંતુ આ ઉતાર-ચઢાવને જોઈને હવે રોકાણ કરવું કે નહીં તે અંગે મુંઝવણમાં છે અને જો કરવું હોય તો પછી કેવા પ્રકારના ફંડમાં કરવું?
વૈશ્વિક મોરચે જિયો પોલિટિકલ ઉથલપાથલના કારણે શેરબજારોમાં પણ તાજેતરના દિવસોમાં ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે સ્થાનિક બજાર પર નજર કરીએ તો મિડકેપ અને સ્મોલકેપમાં વધુ વધઘટ જોવા મળી શકે છે. લાર્જ કેપ્સમાં વધઘટ ઓછી જોવા મળશે.
જેએમ ફાઇનાન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના CIO-ઇક્વિટી સતીશ રામનાથન કહે છે કે હાલમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની વેચવાલીએ લાર્જકેપ શેરોના વેલ્યૂએશનને નબળા પડ્યા છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નાના રોકાણકારોએ મોટા પાયે ખરીદી કરી છે. અમને લાગે છે કે લાર્જ-કેપ શેરોના નીચા વેલ્યૂએશન એવા રોકાણકારો માટે એક તક છે જેઓ ભારતની દિગ્ગજ કંપનીઓમાં રોકાણ કરવા માગે છે. બજારના હાલના સંજોગોમાં રોકાણકારોએ લાર્જકેપ અને ફ્લેક્સિકેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ.
તો એક્સપર્ટ ભલામણ કરે છે કે શેરબજારના વર્તમાન ઉતાર-ચડાવ ભર્યા વાતાવરણમાં લાર્જકેપ અને ફ્લેક્સિકેપ ફંડ્સમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ. જો તમને ખબર ન હોય તો, સૌ પ્રથમ જાણી લઇએ કે લાર્જકેપ અને ફ્લેક્સિકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ શું હોય છે.
ફ્લેક્સિકેપ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી ફંડની કેટેગરીમાં આવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર, ફ્લેક્સિકેપ ફંડના મેનેજરે તેની કુલ એસેટ્સનો ઓછામાં ઓછો 65 ટકા હિસ્સો અલગ-અલગ માર્કેટ કેપવાળા શેરો જેવા કે લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપમાં લગાવવાનો હોય છે. આ અંગે ફંડ મેનેજરને સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે કે 65 ટકાની રેન્જમાં કયા માર્કેટ કેપના શેરમાં કેટલું રોકાણ કરવું જોઇએ.
ઉદાહરણ તરીકે, બુલ માર્કેટમાં, ફંડ મેનેજર એક માર્કેટ કેપમાંથી બીજામાં ફાળવણી બદલતો રહે છે, જેથી બજારની તકોનો લાભ લઈને સારું રિટર્ન મેળવી શકાય… ફ્લેક્સિકેપ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ ઓછામાં ઓછા 5 વર્ષ માટે રોકાણ કરી શકતા હોય. અને મધ્યમથી ઉચ્ચ સ્તરનું જોખમ લેવા માટે તૈયાર હોય..
બીજી બાજુ, જો લાર્જ કેપ ફંડ્સની વાત કરીએ, તો સેબીના નિયમો અનુસાર, લાર્જ કેપ ફંડ્સે પોતાની એસેટ્સનો ઓછામાં ઓછા 80 ટકા હિસ્સો લાર્જ કેપ કંપનીઓના શેર અથવા તેની સાથે સંબંધિત સિક્યોરિટીઝમાં લગાવવાનો હોય છે.
લાર્જ કેપ સ્ટોક્સ એવી કંપનીઓના શેરોને કહેવામાં આવે છે જે માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોચની 100 કંપનીઓમાં આવે છે. લાર્જ કેપ કંપનીઓ સ્મોલ કેપ અથવા મિડ કેપ કંપનીઓની તુલનામાં ઘણી મોટી હોય છે અને તેમાં જોખમ પણ ઓછું હોય છે. પરંતુ તેમાં રોકાણ ઓછામાં ઓછું પાંચ વર્ષ માટે કરવું જોઈએ.
ફ્લેક્સિકેપ અને લાર્જકેપ ફંડ્સ બંને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ હેઠળ આવે છે, તેથી બંને પર ટેક્સ એકસમાન છે એટલે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ જ લાગે છે.
હવે એ જાણીએ કે ઇક્વિટી ફંડ પર કેવી રીતે ટેક્સ લાગે છે? જો તમે એક વર્ષની અંદર યુનિટને રિડીમ કરો છો, તો તમારે પ્રાપ્ત રિટર્ન પર 15 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. એક વર્ષ પછી રીડીમ કરશો તો પ્રાપ્ત રિટર્ન પર 10 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. જો કે, કોઇ એક નાણાકીય વર્ષમાં રૂ. 1 લાખ સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર કોઇ ટેક્સ નથી લાગતો.
ચાલો હવે જાણીએ કે લાર્જકેપ અને ફ્લેક્સિકેપ ફંડ્સમાં કેવા પ્રકારનું રિટર્ન મળે છે. Ace મ્યુચ્યુઅલ ફંડ અનુસાર, જો આપણે 20 નવેમ્બર, 2023 સુધીના ડેટા પર નજર કરીએ તો, ફ્લેક્સિકેપ ફંડ્સે એક વર્ષમાં સરેરાશ 17 ટકા, ત્રણ વર્ષમાં 19 ટકા અને પાંચ વર્ષમાં 15 ટકાનું રિટર્ન આપ્યું છે.
બીજી તરફ, લાર્જકેપ ફંડ્સે એક વર્ષમાં સરેરાશ 12 ટકા, ત્રણ વર્ષમાં 16 ટકા અને પાંચ વર્ષમાં 13 ટકાનું એવરેજ રિટર્ન આપ્યું છે.
રોકાણકારોએ એવા લાર્જકેપ ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ જે સતત તેમના જેવા અન્ય ફંડ્સ કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યાં હોય અને બેન્ચમાર્ક ઈન્ડેક્સને પણ હરાવવાની ક્ષમતા ધરાવતા હોય.
લાંબા ગાળે જોવામાં આવે તો કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિની શક્તિના કારણે ફ્લેક્સિકેપ મ્યુચ્યુઅલ ફંડ્સને ફાયદો થઇ શકે છે. તેમાં જેટલું વધારે રોકાણનું હોરાઇઝન હશે, ઊંચું રિટર્ન મળવાની શક્યતાઓ પણ તેટલી જ વધારે હશે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં બજારના જોખમો જોડાયેલા હોય છે. કોઇ ફંડમાં કેવા પ્રકારનું જોખમ હોઇ શકે છે તેને સમજવા માટે અમરજીત જેવા રોકાણકારો કોઇ નાણાકીય સલાહકારની મદદ લઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો