MONEY9: ભારતનું શેરબજાર વિરોધાભાસી ચિત્ર રજૂ કરી રહ્યું છે. એક તરફ બજારમાં તેજી છે પરંતુ રોકાણકારો શેરબજારથી અંતર સેવી રહ્યાં છે. એટલે કે, નવા રોકાણકારોની સંખ્યામાં ઉમેરો ધીમો પડ્યો છે. તમને પણ નવાઈ લાગી ને…! પણ આંકડા તો આવું જ ચિત્ર દર્શાવે છે.
સેન્સેક્સ છેલ્લાં ત્રણ મહિનામાં 10 ટકા વધ્યો છે અને તેના જોરે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની NAV પણ કૂદકા મારી રહી છે. પરંતુ, તેજીના આ માહોલ વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કરનારા લોકોની સંખ્યામાં અગાઉ થતી હતી તેવી વૃદ્ધિ થતી નથી.
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના ડેટા અનુસાર…,2023ના જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં 16 લાખ નવા રોકાણકાર ઉમેરાયા હતા. તેની સામે, વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં 47 લાખ જ્યારે 2021ના પ્રથમ છ મહિનામાં 24 લાખ નવા રોકાણકાર ઉમેરાયા હતા.
જૂન સુધીના લેટેસ્ટ આંકડા બતાવે છે કે, મ્યુચ્યુઅલ ફંડ્સના યુનિક પરમેનન્ટ એકાઉન્ટ એટલે કે, કુલ રોકાણકારોની સંખ્યા 3.83 કરોડ હતી. આ છ મહિનાને જવા દઈએ અને જો સમગ્ર નાણાકીય વર્ષની વાત કરીએ તો, 2022-23માં કુલ 40 લાખ નવા રોકાણકાર એડ થયા હતા, જેની સામે નાણાકીય વર્ષ 2021-22માં 1.09 કરોડ નવા રોકાણકાર એડ થયા હતા. એટલે કે, વાર્ષિક ધોરણે નવા રોકાણકાર ઉમેરાવામાં 63 ટકા ઘટાડો થયો છે.
માર્ચ-2023માં પૂરા થયેલા વર્ષમાં મોટાભાગનાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં 10 ટકા કરતાં ઓછું વળતર મળ્યું હતું, પરંતુ માર્ચ પછી શેરબજારમાં શરૂ થયેલી તેજીને કારણે આ ફંડ્સનું વળતર પણ બે અંકમાં પહોંચી ગયું છે. જૂનના અંત સુધીમાં મોટા ભાગનાં ઈક્વિટી ફંડ્સનું રિટર્ન 10 ટકાથી ઉપર રહ્યું છે. આમ છતાં, જૂન મહિનામાં ઈક્વિટી ફંડ્સમાં માત્ર 1 લાખ 29 લાખ 800 નવા રોકાણકાર ઉમેરાયા હતા, જે છેલ્લાં 3 મહિનામાં સૌથી ઓછા છે.
તો સવાલ એ થાય કે, નવા રોકાણકાર કેમ નથી વધી રહ્યાં? શેરબજારમાં કોરોના પહેલાંનાં મહિનાઓ જેવી તેજી તો છે, પરંતુ તે વખતે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે જે ઉત્સાહ હતો તેવો ઉત્સાહ અત્યારે નથી. તે સમયે મોંઘવારી કરતાં વધારે વળતર આપે તેવા વિકલ્પ નહોતા. વ્યાજના દર નીચા હતા એટલે FD જેવા વિકલ્પોમાં બહુ ઓછું વળતર મળતું હતું. તે સમયે FDમાં ચારેક ટકા વ્યાજ મળતું હતું. પરંતુ હવે 7 ટકાની આસપાસ વ્યાજ મળે છે.
આ ઉપરાંત, ચાલુ વર્ષે ઈક્વિટી સેગમેન્ટમાં ન્યુ ફંડ ઑફર એટલે કે, NFOમાં પણ ઘટાડો થયો છે. નહીંતર NFO મારફતે પણ ઘણા રોકાણકાર ઉમેરાતા હોય છે. વર્ષ 2021 અને 2022માં ડાઈવર્સિફાઈડથી લઈને હાઈબ્રીડ અને ઈન્ટરનેશનલ સ્કીમ્સમાં અનેક NFO આવ્યા હતા, પરંતુ ચાલુ વર્ષે NFOની સંખ્યા ઘટી ગઈ છે.
વર્ષ 2021થી 2022ની વચ્ચેના એક વર્ષમાં મળેલું રિટર્ન ઉત્સાહજનક હતું, પરંતુ તેનું કારણ કોરોના વખતની બેઝ ઈફેક્ટ હતું. પરંતુ ચાલુ વર્ષે એટલે કે, 2023માં બજાર એક રેન્જની અંદર રમી રહ્યું છે. આ કારણસર પણ નવા રોકાણકાર એન્ટ્રી લેતાં અચકાઈ રહ્યાં છે.
માર્કેટના એક્સપર્ટ્સ જણાવે છે કે, મ્યુચ્યુઅલ ફંડમાં હવે KYC નિયમો કડક થઈ ગયા છે. કદાચ આ પણ એક કારણ છે, જેના લીધે નવા ઈન્વેસ્ટર્સની સંખ્યા જોઈએ તેવી નથી વધી રહી. પહેલાં તો KYC ડૉક્યુમેન્ટ્સની ઝેરોક્ષ પણ ચાલતી હતી, પરંતુ હવે રોકાણકારે પોતાના હસ્તાક્ષર સાથે KYC ડૉક્યુમેન્ટ આપવા પડે છે.
ધારો કે, તમે આધારની નકલ આપી હોય તો, તેનો QR કોડ મશીનમાં સ્કેન થઈ શકે તેવો હોવો જોઈએ, નહીંતર ડૉક્યુમેન્ટ સ્વીકારવામાં નથી આવતું. એટલું જ નહીં, એડ્રેસ પ્રૂફ માટે હવે ભાડાંકરાર પણ સ્વીકારવામાં નથી આવતો. કદાચ ડૉક્યુમેન્ટ્સના નિયમ કડક થવાથી ઈન્વેસ્ટર્સ પાછી પાની કરી રહ્યાં હોય તેવી શક્યતા છે.
છેલ્લાં એક વર્ષમાં કેટલીક કેટેગરીનાં મ્યુચ્યુઅલ ફંડ્સનું પ્રદર્શન પણ નબળું રહ્યું છે. ડેટ ફંડ્સની વાત કરીએ તો, હવે તેના કરતાં બેન્કની FDમાં વધારે વળતર મળે છે, કારણ કે, બેન્કોએ ડિપોઝિટના રેટ વધારી દીધા છે.
સર્ટિફાઈડ ફાયનાન્સિયલ પ્લાનર જિતેન્દ્ર સોલંકી કહે છે કે, નવા રોકાણકાર ઉમેરાવાની ગતિ ધીમી થવા પાછળ ઘણા પરિબળ છે. શેરબજારો ઊંચા સ્તરે હોવાથી ઘણા રોકાણકારોમાં એવી બીક રહે છે કે, અત્યારે ઈક્વિટી ફંડમાં રોકાણ ના કરવું જોઈએ.
જો ડેટ ફંડની વાત કરીએ તો, અત્યારે વ્યાજના દર ઊંચા હોવાથી બેન્ક FD જેવી બચત યોજનામાં સારું વળતર મળી રહ્યું છે. આ કારણોસર, નવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં પ્રવેશવાનું ટાળી રહ્યાં છે.
આ પરિબળોને કારણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં નવા ઈન્વેસ્ટર્સ ઉમેરાવાની ઝડપ ઘટી છે, પરંતુ અપેક્ષા છે કે, આગામી દિવસોમાં તે ફરી તેજ રફ્તાર પકડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો