Money9: આર્બિટ્રાજ મ્યુચ્યુઅલ ફંડમાં સતત 6 મહિનાના સુધી ઉંચો આઉટફ્લો સહન કર્યા બાદ છેલ્લા 3 મહિનામાં રોકાણ વધતું જોવા મળ્યું છે. AMFIના તાજેતરના આંકડા દર્શાવે છે કે આર્બિટ્રાજ ફંડમાં ડિસેમ્બરમાં 883.29 કરોડનું, જાન્યુઆરીમાં 2,054.59 કરોડનું અને ફેબ્રુઆરીમાં 64.65 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. જાણકારોના મતે વધતા વ્યાજ દરોના કારણે ફિકસ્ડ ઇનકમ રોકાણમાં રિટર્ન વધ્યું છે જેના કારણે રોકાણકારોનું વલણ આર્બિટ્રાજ ફંડ્સ તરફ વધ્યું છે. હવે જરા એ સમજીએ કે આર્બિટ્રાજ ફંડ હોય છે શું અને શું તેમાં રોકાણ કરી શકાય?
આર્બિટ્રાજ ફંડ એક એવું મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે શેર બજાર, અને મની માર્કેટમાં રોકાણ કરે છે. આ ફંડ મ્યુચ્યુઅલ ફંડની હાઇબ્રિડ કેટેગરીમાં આવે છે. આ પ્રકારના ફંડ એક જ એસેટના અલગ-અલગ પ્લેટફોર્મ પર અલગ-અલગ ભાવનો ફાયદો ઉઠાવીને નફો કમાય છે. સેબીના નિયમો અનુસાર આ પ્રકારના ફંડે પોતાના કુલ રોકાણનું 65 ટકા રોકાણ ઇક્વિટી કે ઇક્વિટી સાથે જોડાયેલી સિક્યોરિટીઝમાં કરવાનું હોય છે. આ પ્રકારના ફંડમાં રિસ્ક ઓછું હોય છે સાથે જ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે.
હવે સમજવાની કોશિશ કરીએ કે આર્બિટ્રેજ સ્ટ્રેટેજી કામ કેવી રીતે કરે છે. તો આ ફંડ એક જ સિક્યોરિટીને અલગ-અલગ પ્લેટફોર્મ પર એકસાથે ખરીદી અને વેચીને નફો કમાય છે. ઉદાહરણ તરીકે જો કોઇ ફંડ મેનેજર કેશ માર્કેટમાં કોઇ શેર 100 રૂપિયામાં ખરીદે છે અને ફ્યૂચરમાં તેનો ભાવ 102 રૂપિયા છે તો તે એક જ સમયમાં કેશમાં ખરીદીને અને ફ્યૂચરમાં વેચીને 2 રૂપિયાનો નફો કમાઇ શકે છે. જો આર્બિટ્રેજ ફંડના પ્રદર્શન પર નજર કરીએ તો 1 વર્ષમાં 4.49%, 3 વર્ષમાં 3.79%, 5 વર્ષમાં 4.63 ટકા અને 10 વર્ષમાં 6 ટકાનું રિટર્ન જોવા મળ્યું છે.
પરંતુ એવું નથી કે આર્બિટ્રાજ ફંડ સંપૂર્ણ રીતે જોખમ મુક્ત હોય છે. આર્બિટ્રાજ ફંડ પોતાના કુલ રોકાણના 35% ડેટ માર્કેટ કે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે. આવા સંજોગોમાં આ પ્રકારના ફંડની સાથે હાયર ક્રેડિટ રિસ્ક જોડાયેલું હોય છે. તો આર્બિટ્રાજ ફંડમાં રોકાણ કરતા પહેલાં ફંડના ડેટ હિસ્સાની ક્રેડિટ ક્વોલિટી જરુર ચેક કરી લેવી જોઇએ.
હવે સવાલ એ થાય કે શું આર્બિટ્રાજ ફંડમાં રોકાણ કરવું જોઇએ કે નહીં..તો આર્બિટ્રાજ ફંડ એવા રોકાણકારો માટે શ્રેષ્ઠ છે જે શોર્ટ ટર્મ રોકાણમાં ઓછા જોખમ સાથે વધુ રિટર્ન ઇચ્છે છે. ઇન્વેસ્ટોગ્રાફીના ફાઉન્ડર શ્વેતા જૈન કહે છે કહે છે કે આર્બિટ્રાજ ફંડ ઓછા જોખમવાળા ફંડ હોય છે. સામાન્ય રીતે તેને એફડીના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આ પ્રકારના ફંડ્સમાં લિક્વિડ ફંડ કે શોર્ટ ટર્મ ફંડની સરખામણીએ વધુ સારુ રિટર્ન જોવા મળે છે. જે રોકાણકાર 6 મહિના કે તેથી વધુ સમય માટે ઓછા જોખમવાળા ફંડમાં રોકાણ કરવા માંગે છે તેઓ આ ફંડમાં રોકાણ કરી શકે છે.
આર્બિટ્રાજ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય નથી જેનો રોકાણ દ્રષ્ટિકોણ 3 મહિનાથી ઓછો હોય. આર્બિટ્રાજ ફંડમાં રોકાણ કરતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારને એ જરૂર પૂછો કે આર્બિટ્રાજ ફંડમાં રોકાણ તમારા પોર્ટફોલિયો માટે યોગ્ય છે કે નહીં.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો