Money9: મલ્ટીકેપ ફંડ્સ અને ફ્લેક્સીકેપ ફંડ્સ જેવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં લગભગ એકસરખી વિશેષતાઓ હોવાના કારણે રોકાણકાર મોટાભાગે તેને લઇને ભ્રમિત રહે છે. ફ્લેક્સીકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કેટેગરી હેઠળ આવે છે. સેબીની ગાઇડલાઇન અનુસાર ફ્લેક્સીકેપ ફંડના ફંડ મેનેજરે પોતાની કુલ એસેટનો ઓછામાં ઓછા 65 ટકા હિસ્સો અલગ-અલગ માર્કેટ કેપ જેવા કે લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં રોકાણ કરવો પડે છે.
હવે એ જાણીએ કે મલ્ટીકેપ ફંડ કોને કહેવાય. મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કેટેગરી હેઠળ આવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફંડ હાઉસિસને કહ્યું છે કે પોતાની ફાળવણીનો ઓછામાં ઓછો 25-25 ટકા હિસ્સો લાર્જ, સ્મોલ અને મિડકેપ શેરમાં લગાવે અને બાકી 25 ટકા હિસ્સો તે પોતાની મરજીથી કોઇપણ શેરમાં લગાવી શકે છે. એટલે કે તેમણે ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો ઇક્વિટીમાં લગાવવાનો હોય છે.
મહત્વની વાત એ છે કે ફ્લેક્સીકેપ ફંડ્સ ફાળવણી હેઠળ ફંડ મેનેજર્સની પાસે પોતાના પોર્ટફોલિયોમાં બજારની સ્થિતિ અનુસાર લાર્જકેપ, મિડકેપ કે સ્મોલકેપ શેરોનો કેટલો રેશિયો રાખવો તેની વધુ આઝાદી કે ફ્લેક્સિબિલિટી હોય છે. મલ્ટીકેપ ફંડ્સમાં આ રેશિયો ફિક્સ હોય છે. ઉદાહરણ તરીકે તેજીના બજારવાળા માહોલમાં ફ્લેક્સીકેપ ફંડ્સનો મેનેજર પોતાની ફાળવણીને એક માર્કેટ કેપથી બીજા માર્કેટકેપમાં ફેરવી શકે છે જેથી બજારની તકોનો ફાયદો ઉઠાવીને સારુ રિટર્ન મળી શકે.
હવે એ પણ જોઇ લઇએ કે ફ્લેક્સીકેપ ફંડ્સ પર રિટર્ન કેવી રીતે મળી શકે છે. Ace mutual fund ના જણાવ્યા અનુસાર 23 ઓક્ટોબર 2023 સુધીના આંકડા જોઇએ તો ફ્લેક્સીકેપ ફંડ્સે એક વર્ષમાં 14 ટકા, 3 વર્ષમાં 20 ટકા અને પાંચ વર્ષમાં 15 ટકાનું વાર્ષિક રિટર્ન આપ્યું છે.
ફ્લેક્સીકેપ ફંડ્સ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કેટેગરીમાં આવે છે એટલે તેની પર ટેક્સ પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ જ લાગે છે. જો તમે કોઇ ફંડ યૂનિટને એક વર્ષથી ઓછા સમયગાળામાં રીડિમ કર્યા તો રિટર્ન પર 15 ટકાના દરે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગશે. પરંતુ જો એક વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખીને પછી રીડિમ કર્યા છે તો તેની પર થતા ગેઇન પર 10 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગશે..તેમાં રાહતની વાત એ છે કે એક લાખ રૂપિયા સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ પર કોઇ ટેક્સ નથી. હવે સવાલ એ ઉભો થાય કે ફ્લેક્સીકેપ ફંડ્સમાં રોકાણ કરવું જોઇએ કે નહીં. અથવા તો તેમાં કોણે રોકાણ કરવું જોઇએ?
કોઇ કંપનીની માર્કેટ કેપિટલ એ નિર્ધારિત કરનારુ એક ફેક્ટર હોય છે કે કોઇ મ્યુચ્યુઅલ ફંડ હાઉસને તેમાં ક્યારે રોકાણ કરવું જોઇએ..પરંતુ કોઇ કંપનીનો આકાર, માર્કેટ કેપની સાથે જ કેટલીક અન્ય વિશેષતાઓ પણ જોવી જરૂરી હોય છે. જેમ કે કંપનીનો ટ્રેક રેકોર્ડ શું છે, ગ્રોથ પોટેન્શિયલ કેટલો છે અને તેમાં કેવા પ્રકારનું જોખમ છે. લોંગ ટર્મના રોકાણ માટે ફ્લેક્સીકેપ ફંડ્સ એક સારો વિકલ્પ છે. તેમાં બીજા રોકાણ સાધનોની સરખામણીએ સારુ રિટર્ન આપવાની ક્ષમતા હોય છે કારણ કે તેના દ્વારા રોકાણના નાણા ઘણાં પ્રકારના માર્કેટ કેપ અને સેક્ટરવાળા શેરમાં લાગે છે.
ઇક્વિટી ફંડ્સમાં વધુ જોખમ હોય છે. પરંતુ ફ્લેક્સીકેપ ફંડ્સ બધા પ્રકારના માર્કેટ કેપવાળી એસેટમાં રોકાણ કરે છે. જેના કારણે તે એકસમયે બજારમાં અનેક પ્રકારના ઉતાર-ચડાવને સહન કરી લે છે. ફ્લેક્સીકેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સાથે જોડાયેલું એક મહત્વનું જોખમ એ છે કે ફંડ મેનેજર શેરોની ફાળવણી અને નિર્ધારણના કેસમાં એ નિર્ણય લેવામાં ભૂલ કરી શકે છે કે કેવા પ્રકારના માર્કેટમાં રોકાણ કરવું યોગ્ય છે. એટલે કે ફંડ મેનેજરથી ચૂક થઇ શકે છે. આ બધી વાતોને ધ્યાનમાં લેતા આ ફંડ મધ્યમથી લઇને ઉંચા જોખમ લઇ શકતા એવા રોકાણકારો માટે યોગ્ય હોય છે જેનું રોકાણ હોરાઇઝન ઓછામાં ઓછું પાંચ વર્ષ હોય.
લોંગ ટર્મમાં ફ્લેક્સીકેપ ફંડ્સમાં નફો તમને કમ્પાઉન્ડિંગની તાકાતના કારણે મળે છે. જેટલું લાંબુ તમારુ રોકાણ હોરાઇઝન હશે એટલું જ વધુ રિટર્ન મળી શકે છે. ફ્લેક્સીકેપ ફંડ્સ નાની, મધ્યમ અને મોટી કંપનીઓમાં રોકાણ કરે છે. નાની અને મધ્યમ આકારની કંપનીઓમાં ઘણી ઝડપથી વધવાની સંભાવના રહે છે. અને એક ચોક્ક્સ સમયગાળા બાદ તેનાથી તમારા રોકાણનું મૂલ્ય ઘણું વધી જાય છે. જો તમારે ફ્લેક્સીકેપ ફંડ્સમાં રોકાણ કરવું છે અને તેને લઇને હજુ પણ તમારા મનમાં કોઇ ડાઉટ છે, અથવા તો તમે એ જાણવા માંગો છો કે તમારુ રિસ્ક પ્રોફાઇલ શું છે? તો તમારે કોઇ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટની મદદ લેવી જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો