MONEY9: ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે રોકાણ કરો છો, તો તમને એ ખબર હોવી જોઇએ કે ડેટ ફંડ્સના રિટર્ન કોના પર આધાર રાખે છે? આ ફંડ્સના દેખાવ કે રિટર્ન, વ્યાજ દરોની cycleમાં થતા ફેરફારની સાથે change થતા રહે છે. જો વ્યાજ દરો વધી રહ્યા હોય તો ડેટ ફંડ્સનું રિટર્ન ઘટે છે અને જ્યારે વ્યાજ દરો ઘટે છે તો ડેટ ફંડનું રિટર્ન વધી જાય છે.
હવે હાલની વાત કરીએ તો હાલ વ્યાજ દરો વધી રહ્યાં છે. એટલે કે ડેટ ફંડનું રિટર્ન ઘટી જશે. આવી સ્થિતિમાં કોઇ રોકાણકાર શું કરે? સમસ્યા એ છે, કે કોઇ રોકાણકાર માટે એ સરળ નથી હોતું કે વાંરવાર ડેટ મ્યુચ્યુઅલ ફંડના યૂનિટ ખરીદે કે વેચે..તો સવાલ એ ઉભો થાય કે શું કોઇ એવું ડેટ મ્યુચ્યુલ ફંડ છે જે અત્યારના સંજોગોમાં કામ આવી શકે?….તો આનો જવાબ છે ડાયનેમિક બોન્ડ ફંડ.
ડાયનેમિક બોન્ડ ફંડ શું હોય છે?
તો સૌથી પહેલા એ જાણી લઇએ, કે ડાયનેમિક બોન્ડ ફંડ શું હોય છે. તો પોતાના નામ અનુરૂપ જ ડાયનેમિક બોન્ડ સ્કીમ્સનો પોર્ટફોલિયો અને મેચ્યોરિટીની પ્રોફાઇલ ડાયનેમિક એટલે કે ગતિશીલ સ્વભાવના હોય છે. ડાયનેમિક બોન્ડ ફંડ્સનું મુખ્ય લક્ષ્ય, વધતા અને ઘટતા, એમ બન્ને પ્રકારના બજારોમાં વધુમાં વધુ રિટર્ન પ્રાપ્ત કરવાનું છે. પરંતુ આ પ્રકારના રિટર્ન પ્રાપ્ત કરવાનો આધાર એ વાત પર રહે છે, કે ફંડ મેનેજરનું મેનેજમેન્ટ કેવું છે અને તે પોર્ટફોલયોમાં ફેરફારનો નિર્ણય કેટલી કુશળતાથી કરી શકે છે. પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બોન્ડના રેશિયોમાં ફેરફાર કરીને વ્યાજ દરોના વધવા કે ઘટવા પર ડાયનેમિક મ્યુચ્યુઅલ ફંડ પૈસા બનાવી શકે છે. સતત આ પ્રકારના ફેરફારના કારણે ફંડ સ્થાયી રીતે સારુ રિટર્ન આપતા રહે છે.
ડાયનેમિક બોન્ડ ફંડ્સ કામ કેવી રીતે કરે છે?
હવે એ જાણી લઇને કે ડાયનેમિક બોન્ડ ફંડ્સ કામ કેવી રીતે કરે છે? આ ફંડ્સમાં એટલી ફ્લેક્સિબિલિટી હોય છે કે જરૂર પડે, ત્યારે તરત પોર્ટફોલિયોમાં ફેરફાર કરી શકાય છે. તેમાં ફંડ મેનેજર એક્ટિવલી અને ચોક્કસ ટાઇમ ફ્રેમમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ સિક્યોરિટીઝની વચ્ચે રોકાણને સ્વિચ કરી લે છે. જો મેનેજરને લાગે, કે વ્યાજ દરમાં ઘટાડો થશે તો તે લોંગ ટર્મ મેચ્યોરિટી વાળી સિક્યોરિટીઝમાં પૈસા લગાવી દે છે. જેથી વધતી બોન્ડ કિંમતોનો ફાયદો ઉઠાવી શકે. આ જ રીતે જો તેને લાગે કે વ્યાજ દરો વધશે તો તે શોર્ટ ટર્મના બોન્ડને પસંદ કરીને પોર્ટફોલિયોને નુકસાનથી બચાવશે.
ડાયનેમિક બોન્ડ ફંડને આખા વર્ષ દરમિયાન કરવામાં આવતા રોકાણ તરીકે પણ જોવામાં આવે છે. કારણ કે તેમાં વ્યાજ દરો ભલે કોઇપણ દિશામાં જાય, પણ સંભાવના નફો થવાની જ રહેતી હોય છે.
ડાયનેમિક બોન્ડ ફંડ પર ટેક્સ કેવી રીતે લાગે છે?
હવે એ જાણી લઇએ કે ડાયનેમિક બોન્ડ ફંડ પર ટેક્સ કેવી રીતે લાગે છે. તો બીજા ડેટ ફંડની જેમ ડાયનેમિક ફંડ પર પણ ટેક્સ લાગે છે. જો ઇન્વેસ્ટમેન્ટને રોકાણ ડેટથી 3 વર્ષની અંદર રીડિમ કરવામાં આવે તો તેની પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે છે. જો કે તે વ્યક્તિના વ્યક્તિગત ટેક્સ સ્લેબના હિસાબે લાગે છે. બીજી તરફ 3 વર્ષ બાદ રીડીમ કરવા પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ગણવામાં આવે છે. તેમાં 20 ટકાના દરે ટેક્સ લાગે છે. અને તેમાં ઇન્ડેક્સેશનનો પણ ફાયદો મળે છે. પરંતુ માર્ચ 2023ના અંતમાં સંસદમાં પસાર થયેલા ફાઇનાન્સ બિલથી હવે ટેક્સના નિયમો બદલાઇ ગયા છે. 1 એપ્રિલ 2023 પછી થનારા ડેટ ફંડના રોકાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ અને ઇન્ડેક્સેશનનો લાભ બંધ દેવામાં આવ્યો છે. એટલે કે હવે ડાયનેમિક ફંડ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ જ લાગશે અને લોકોએ પોતાના ઇનકમ ટેક્સ સ્લેબ અનુસાર જ ટેક્સ ચૂકવવો પડશે.
ડાયનેમિક બોન્ડ ફંડનું પર્ફોર્મન્સ કેવું રહ્યું?
હવે એ જોઇ લઇએ કે આ ફંડ્સનું પર્ફોર્મન્સ કેવું રહ્યું છે? વેલ્યૂ રિસર્ચના ડેટા અનુસાર ડાયનેમિક બોન્ડ ફંડ્સે 1 વર્ષમાં 6 ટકા, 3 વર્ષમાં 8 ટકા અને 5 વર્ષમાં 9 ટકાનું રિટર્ન આપ્યું છે. ડેટ ફંડ્સમાં સામાન્ય રીતે મોડરેટ રિટર્ન જ મળે છે. આ હિસાબે ડાયનેમિક બોન્ડ ફંડના રિટર્નને ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ તમારે એ વાત પર ધ્યાન રાખવું જોઇએ, કે ડાયનેમિક બોન્ડ ફંડ્સ પર મળનારુ મોટાભાગનું રિટર્ન વ્યાજ દરોમાં ફેરફાર પર આધાર રાખે છે. એટલે કે આ ફંડ વ્યાજ દરોમાં ફેરફારનો ફાયદો ઉઠાવે છે.
ડાયનેમિક બોન્ડ ફંડમાં કોણે રોકાણ કરવું?
હવે સવાલ એ ઉભો થાય છે, કે ડાયનેમિક બોન્ડ ફંડમાં કેવા પ્રકારના રોકાણકારોએ રોકાણ કરવું જોઇએ? અને તેમાં કોઇ રોકાણ કરવા માંગે છે તો તેણે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ? તો જાણકારો કહે છે કે ડાયનેમિક બોન્ડ્સ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય હોય છે જે મધ્યમ સ્તરે જોખમ સહન કરી શકે છે અને જેનો ટાઇમ હોરાઇઝન 3 થી 5 વર્ષનો હોય. તેમાં પણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અસરકારક હોય છે, કારણ કે તેનાથી તમે વધુ ઉતાર-ચડાવના નુકસાનથી બચી શકો છો.
શું છે કહેવું જાણકારોનું?
જાણકારો કહે છે કે ફિકસ્ડ ઇનકમ એટલે કે ડેટ ઇન્સ્ટ્રમેન્ટ્સમાં પૈસા લગાવવા માટે હાલનો સમય સારો છે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ્સ પીક પર છે અને આગળ તેમાં સ્થિરતા કે ઘટાડો જોવા મળી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં RBIએ અંદાજે 6 વાર વ્યાજ દરો વધાર્યા છે. આવા માહોલમાં ડાયનેમિક બોન્ડ ફંડ રોકાણકારો માટે કોઇ રાહત જેવા છે. જો કે એક વાત ધ્યાનમાં રાખવી કે આ પ્રકારના ફંડ્સનો વધુ લાભ ઉઠાવવા માટે તમારે લોંગ ટર્મ માટે જ રોકાણ કરવું જોઇએ.
જુઓ વીડિયો: https://www.youtube.com/watch?v=m82sNg_8xqw
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો