Money9: વધતી મોંઘવારીને કાબૂમાં કરવા માટે આખી દુનિયામાં વ્યાજ દરોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ આ વર્ષે મે મહિનાથી આ સિલસિલો યથાવત છે. 7 ડિસેમ્બરના રોજ આરબીઆઇએ રેપો રેટ 35 બેઝિસ પોઇન્ટ વધારીને 6.25% કરી દીધો. મે 2022થી અત્યાર સુધી રેપો રેટમાં 2.25%નો વધારો થઇ ચૂક્યો છે. હવે સવાલ એ થાય કે વધતા વ્યાજ દરોના આ સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારોએ શું પોતાની રણનીતિમાં ફેરફાર કરવો જોઇએ. વધતા વ્યાજ દરોનો ફાયદો ઇક્વિટી ફંડને મળશે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને. આવો જાણીએ આ રિપોર્ટમાં.
ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ
સૌથી પહેલા વાત કરીએ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સની. જ્યારે પણ વ્યાજ દરો વધે છે તો ફિકસ્ડ ઇનકમ સિકયોરિટીઝની કિંમતો ઘટે છે જેનાથી આ સિક્યોરિટીઝમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફંડ્સની એનએવી (NAV) ઘટવા લાગે છે. આનાથી વિપરિત સ્થિતિમાં જ્યારે વ્યાજ દરો ઘટે છે તો સિક્યોરિટીઝમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફંડ્સની NAV વધવા લાગે છે. હવે વ્યાજ દરો વધી રહ્યા છે તો મોટાભાગના ડેટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર અત્યારે પોતાના ઘટતા રિટર્નને જોઇને કન્ફ્યૂઝ છે કે શું કરવું.
તો હાલની સ્થિતિ માટે ફાઇનાન્સિયલ પ્લાનર્સ ડાયનેમિક બોન્ડ ફંડ, લિક્વિડ ફંડ્સ, અલ્ટ્રા શોર્ટ ડ્યૂરેશન ફંડ્સ, લો ડ્યૂરેશન ફંડ્સ, મની માર્કેટ ફંડ્સ અને શોર્ટ ટર્મ ફન્ડ્સમાં રોકાણની સલાહ આપે છે. આ ફંડ્સે છેલ્લા 5 વર્ષમાં એવરેજ 6 ટકાનું રિટર્ન આપ્યું છે. ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડના ફિકસ્ડ ઇનકમ ફંડ મેનેજર પંકજ પાઠક કહે છે કે વધતા વ્યાજ દરોના માહોલમાં ડેટ ફંડના રોકાણકારો માટે ડાયનેમિક બોન્ડ ફંડ સૌથી સારા છે. રોકાણકારોએ આવા ફંડ્સમાં લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી ટકી રહેવું જોઇએ.
ઇક્વિટી મ્યુ. ફંડમાં રોકાણકારોએ શું કરવું?
હવે સવાલ એ થાય કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોએ શું કરવું જોઇએ. કારણ કે નાણાકીય સલાહકાર વધતા વ્યાજ દરોને શેર બજાર માટે સારુ નથી ગણતા. ઉપરથી મંદીની આશંકા પણ શેર બજારના રિટર્નને લઇને આશંકા પેદા કરે છે. જો કે ઇક્વિટી ફંડમાં લાંબાગાળા માટે રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી. કારણ કે ઇક્વિટી ફંડ જેવા લાર્જ કેપ, મિડ-કેપ, વેલ્યૂ ફંડ્સ અને ELSSએ છેલ્લા 5 વર્ષમાં 10 ટકાનું રિટર્ન આપ્યું છે.
“ક્વોન્ટમ એએમસીના ઇક્વિટી ફંડ મેનેજર જ્યોર્જ થોમસ કહે છે કે વધતા વ્યાજ દરોનો સમય એવા ફંડ માટે શ્રેષ્ઠ રહે છે જે વેલ્યૂએશનના હિસાબે મેનેજ કરવામાં આવે છે. તો હાલના માહોલમાં વેલ્યૂ ફંડમાં રોકાણ ઇક્વિટીમાં રોકાણ કરનારા રોકાણકારો માટે સારો વિકલ્પ રહેશે.
વેલ્યૂ ફંડ એવા શેરોમાં રોકાણ કરે છે જેના ફંડામેન્ટલ્સ તો સારા હોય છે પરંતુ કોઇ કારણસર અત્યારે તે અંડરપફોર્મ કરી રહ્યા છે અને તે લાંબાગાળામાં સારુ રિટર્ન આપશે. વેલ્યૂ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારોનો દ્રષ્ટિકોણ લાંબાગાળાનો હોવો જોઇએ.
મની9ની સલાહ એ છે કે વધતા વ્યાજ દરો અપ્રત્યક્ષ રીતે મ્યુચ્યુઅલ ફંડ પર અસર કરે છે. તો આવી સ્થિતિમાં પોતાના નાણાકીય સલાહકારની મદદથી વધતા વ્યાજ દરોનો તમે ફાયદો કેવી રીતે ઉઠાવો તેની રણનીતિ બનાવો. એ નક્કી કરો કે હાલના પોર્ટફોલિયોમાં કેવી રીતે ફેરફાર કે નવું રોકાણ તમને સારુ રિટર્ન અપાવી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો