Money9: શેરબજાર અંગે મોટાભાગના લોકોને એવી ધારણા હોય છે કે, તેમાં ઘણું જોખમવાળુ રોકાણ હોય છે. જેના કારણે ઘણાં રોકાણકારો તેનાથી દૂર રહે છે. જાણકાર કહે છે કે રોકાણકારના સામાન્ય રીતે બે પ્રકારની લાગણીઓ હોય છે. તેઓ લાગણીઓના બે અંતિમ છેડા યુફોરિયા અને પેનિક પર સવાર રહેતા હોય છે. એટલે સારુ એ છે કે રોકાણકાર યૂફોરિયા અને પેનિકની વચ્ચેનો કોઇ રસ્તો અપનાવે એટલે વધારે ઉત્સાહિત પણ ન થાય અને જરૂર કરતાં વધુ ગભરાય પણ નહીં. શેર બજારમાં રોકાણ માટે જોખમ વ્યવસ્થાપનની રણનીતિ પર કામ કરી લેશો તો તમે મહદઅંશે નુકસાનથી બચી શકશો.
જોખમની ઓળખ
સૌથી પહેલા જેની પર તમારે ધ્યાન આપવાનું છે, તે છે જોખમની ઓળખ. દરેક રોકાણકારની જોખમ લેવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. એટલે સૌથી પહેલાં તો તમને એ સ્પષ્ટ ખબર હોવી જોઇએ કે તમે વધુમાં વધુ કેટલું નુકસાન સહન કરી શકો છો. નુકસાન ઓછું થાય અને નફો જળવાઇ રહે તે માટે જરૂરી છે કે તમે સક્રિયતાથી જોખમ વ્યવસ્થાપન કરો.
રોકાણમાં સક્રિયતા જરૂરી-
જો તમે જાતે જ પોતાનું ફંડ મેનેજ કરી રહ્યાં છો તો એક નિશ્ચિત સમયગાળા બાદ તેનો રિવ્યૂ પણ જરૂરી છે. બજારના ઉતાર-ચડાવ, રોકાણ કરેલી કંપનીઓમાં થઇ રહેલા ફેરફાર પર હંમેશા નજર રાખવી જરૂરી છે. જો તમારી પાસે એક્ટિવ મેનેજમેન્ટ માટે સમય નથી તો તમે ઇન્ડેક્સ ફંડ કે ETF જેવા અન્ય પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સાધનમાં પૈસા લગાવો. ત્યારબાદ પોતાના એસેટ એલોકેશન પર નજર રાખવી પણ જરૂરી છે છેલ્લા બે વર્ષમાં આપણે જોયું કે શેર બજારમાં નાના રોકાકારોની ભાગીદારી ઘણી વધી છે. ડિમેટ એકાઉન્ટ દ્વારા ઘણાં નવા રોકાણકાર બજારમાં આવ્યા. જ્યારે બજાર તેજીની લહેરમાં સવાર હતું, ત્યારે દરેકે પૈસા બનાવ્યા. આવા મોટાભાગના રોકાણકારોએ પોતાના રોકાણનો એક મોટો હિસ્સો શેર બજારમાં લગાવ્યો અને તેમણે પોતાના પોર્ટફોલિયોના જોખમને બચાવવા માટે તેને ડાયવર્સિફાઇ ન કર્યો.
જાર્વિસ ઇન્વેસ્ટના ફાઉન્ડર અને સીઇઓ સુમિત ચંદા કહે છે કે જો કોઇ રોકાણકારે પોતાના લક્ષ્ય અને નાણાકીય સ્થિતિ અનુસાર એસેટ એલોકેશનનું પાલન કર્યું હોત તો જ્યારે બજાર અતિશય ખરીદીવાળા સમયગાળામાં હતું ત્યારે તેણે ધીમે-ધીમે ઇક્વિટીમાં રોકાણ ઘટાડવું જોઇતું હતું. જે લોકોએ આમ કર્યું હશે તેઓ છેલ્લા છ મહિનામાં બજારમાં આવેલા ઉતાર-ચડાવ સામે ટકી ગયા હશે.
સ્ટોપ લોસ ઓર્ડર જરૂરી
સ્ટોપ લોસ ઓર્ડરનો અર્થ એ છે કે જ્યારે એક નિશ્ચિત કિંમતથી નીચે તમારો શેર જાય ત્યારે તમારો બ્રોકર પોતાની મેળે તે શેરને વેચી દે છે. અને તમે વધારે નુકસાનથી બચી જાઓ છો. ઉદાહરણ તરીકે માની લો કે તમે 100 રૂપિયામાં કોઇ શેર ખરીદ્યો છે. અને 90 રૂપિયા સ્ટોપ લોસ લગાવ્યો છે. જો શેરની કિંમત ઘટીને 90 સુધી પહોંચી જાય છે તો તમારો બ્રોકર પોતાની મેળે જ તેને વેચી દેશે. આનો ફાયદો એ થાય છે કે બજારમાં ઘટાડાના સમયમાં તમે ભારે નુકસાનથી બચી જાઓ છો.
ડિવિડન્ડ આપનારા શેરમાં રોકાણ કરો
એક સારી રીતે એ છે કે તમે એવી કંપનીઓના શેરોમા રોકાણ કરો જે સતત ડિવિડન્ડ આપતી હોય. ડિવિડન્ડ એવી કપનીઓ આપે છે જે મજબૂત હોય છે અને સ્થાપિત હોય છે. આવી કંપનીઓમાં રોકાણથી તમને ડિવિડન્ડ તરીકે સતત રિટર્ન મળતું રહેશે અને પોતાના પોર્ટફોલિયોના જોખમને ઘટાડી શકો છો. જો તમે રોકાણકાર છો તો સારી બાબત એ રહેશે કે તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેર બજારમાં ઉતરો. તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા કોઇ ઇક્વિટી ફંડમાં રોકાણ કરી શકો છો. જેનાથી તમારી કોસ્ટની એવરેજિંગ પણ થઇ જાય છે. કમ્પાન્ડિંગની તાકાતના કારણે એ પણ સુનિશ્ચિત થાય છે કે તમને વધુમાં વધુ રિટર્ન મળે.
તો કુલ મળીને એમ કહી શકાય કે શેર બજારમાં ઉતાર-ચડાવનું જોખમ રહે છે પરંતુ યોગ્ય જોખમ વ્યવસ્થાપનથી તમે તેને ઘટાડી શકો છો અને ઉંચુ રિટર્ન પ્રાપ્ત કરી શકો છો. એક રોકાણકાર તરીકે તમારા માટે એ પણ જરૂરી છે કે ફક્ત શેર બજાર પર આધાર ન રાખતા પોતાના રોકાણને ડાયવર્સિફાઇ પણ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો