Money9 Gujarati:
ખેડૂતોમાં એગ્રી ગોલ્ડ લોન લેવાનું આકર્ષણ વધ્યું છે. આ લોન સરળતાથી મળી રહે છે. અન્ય પ્રકારની લોનની તુલનાએ વ્યાજનો દર પણ નીચો હોય છે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) સ્કીમમાં એક મર્યાદાથી વધારે પૈસા ઉપાડી શકાતા નથી, એટલે ખેડૂતો સોનું ગીરવે મૂકીને ખેતીવાડી માટે લોન લેવા લાગ્યા છે.
એગ્રી ગોલ્ડ લોન
સરકારની સૂચના પ્રમાણે બેન્કોએ પ્રાથમિકતા ક્ષેત્રોને ઋણ (Priority sector lending) આપવું જરૂરી છે. આવા ક્ષેત્રોમાં કૃષિ, MSME, શિક્ષણ, હાઉસિંગ, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પુનઃપ્રાપ્ય ઊર્જા વગેરેનો સમાવેશ થાય છે અને તેમને લોન આપવા માટે બેન્કોને ટાર્ગેટ આપવામાં આવે છે. આ તમામ સેક્ટરમાં કૃષિ સૌથી મહત્ત્વનું અને મુખ્ય ક્ષેત્ર છે. પરંતુ ખેડૂતોને લોન આપવા માટે બેન્કો જામીન પેટે જમીન લેવા કરતાં ગોલ્ડ લેવાનું પસંદ કરે છે. સોનું ગીરવે મૂકીને ખેતીવાડી માટે લેવામાં આવતી લોનને બેન્કોની ભાષામાં એગ્રી ગોલ્ડ લોન (Agriculture Gold Loan) કહે છે.
માત્ર ખેતીવાડી માટે જ મળે છે આ લોન
બેન્કો એગ્રી ગોલ્ડ લોનના આધારે તેમના એગ્રી લોનના લક્ષ્યને પાર પાડી રહી છે. ખેડૂતોને પણ પર્સનલ લોન લેવા કરતાં એગ્રી ગોલ્ડ લોન લેવામાં વધારે ફાયદો થાય છે, કારણ કે આ લોન સસ્તામાં પડે છે. જોકે, પર્સનલ લોન તો અન્ય કોઈ કામ માટે પણ લઈ શકાય છે, પરંતુ એગ્રી ગોલ્ડ લોન લઈને તેનો ઉપયોગ ખેતીવાડી સંબંધિત કામ માટે જ કરવો જરૂરી છે.
માત્ર 3% વ્યાજ દર
મોટા ભાગની બેન્કો એગ્રી ગોલ્ડ લોન માટે 8થી 9 ટકા સુધી વ્યાજ દર વસૂલે છે. આ લોન સામે સોનું ગીરવે મૂકવામાં આવ્યું હોવાથી જો ખેડૂત ડિફોલ્ટ કરે તેવી સ્થિતિમાં પણ બેન્કોને પૈસા ડૂબવાની બીક રહેતી નથી. ખેડૂતોને એગ્રીકલ્ચર ગોલ્ડ લોન 7 ટકાના વ્યાજ દરે મળે છે. જો ખેડૂત એક વર્ષની અંદર આ લોન ચૂકવી દે તો તેને સરકાર તરફથી વ્યાજમાં 3 ટકા સબસિડી પણ મળે છે. એટલે કે, ખેડૂતે એગ્રીકલ્ચર ગોલ્ડ લોન માટે માત્ર 4 ટકા વ્યાજ દર ચૂકવવો પડે છે. આમ, જે ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની લોન પૂરતી નથી તેમના માટે એગ્રી ગોલ્ડ લોન એક આકર્ષક વિકલ્પ છે.
SBI અને BoBને ફાયદો
ખેડૂતોની જમીન ગીરવે લઈને લોન આપવા કરતાં સોનું ગીરવે લઈને લોન આપવાનું પ્રમાણ વધી રહ્યું છે. આથી, ભારતની સૌથી મોટી સરકારી બેન્ક SBI અને બેન્ક ઑફ બરોડા (BoB) જેવા ધિરાણકારોએ કૃષિ ક્ષેત્રમાં ધીમે ધીમે એગ્રી ગોલ્ડ લોનનો વ્યાપ વધાર્યો છે.
નાણાકીય વર્ષ 2022-23માં SBIનો એગ્રીકલ્ચર ગોલ્ડ લોનનો પોર્ટફોલિયો જબરજસ્ત વધ્યો છે. 31 માર્ચ, 2023માં પૂરા થયેલા વર્ષમાં SBIનો આ પોર્ટફોલિયો 83,000 કરોડ રૂપિયાનો થઈ ગયો હતો, જે માર્ચ-2022માં પૂરા થયેલા વર્ષના અંતે 73,600 કરોડ રૂપિયાનો હતો.
જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા BoBના એગ્રીકલ્ચર લોન પોર્ટફોલિયોમાં પણ વૃદ્ધિ થઈ છે. માર્ચ-2022માં પૂરા થયેલા વર્ષના અંતે તેના પોર્ટફોલિયોનું કદ 27,459 કરોડ રૂપિયા હતું, જે માર્ચ-2023માં પૂરા થયેલા વર્ષના અંતે વધીને 35,829 કરોડ રૂપિયા થઈ ગયું હતું. એટલે કે, BoBનો આ પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 30.47 ટકાના દરે વધ્યો હતો. બેન્ક ઑફ બરોડાના વાર્ષિક રિપૉર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023માં કૃષિ લોનમાં એગ્રીકલ્ચર ગોલ્ડ લોનનો હિસ્સો 28.49 ટકા વધ્યો છે. 2022માં તેમાં 25.14 ટકા જ્યારે નાણાકીય વર્ષ 2021માં 22.30 ટકા વૃદ્ધિ થઈ હતી.
શા માટે વધી રહી છે એગ્રી ગોલ્ડ લોનની માંગ?
ખેડૂતોને સગવડતા આપવાના ઈરાદા સાથે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના તો અમલમાં છે જ. આ યોજના હેઠળ ખેડૂતોને બીજ, ખાતર, જંતુનાશક જેવા ખેતીવાડી સંબંધિત ઉત્પાદનો ખરીદવા માટે રોકડા ઉપાડવાની સુવિધા આપવામાં આવે છે. પરંતુ KCC યોજના હેઠળ ખેડૂતો એક મર્યાદાથી વધારે પૈસા ઉપાડી શકતા નથી. KCC સ્કીમ હેઠળ ખેડૂતને મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આથી, ખેડૂતો પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય પ્રકારની લોન લેવા તત્પર રહે છે. આથી, ખેડૂતો સોનું ગીરવે મૂકીને ખેતી માટે લોન લેવા તરફ વળ્યાં છે.
બેન્કોને પણ ફાયદો
બેન્કોને પણ એગ્રી ગોલ્ડ લોનની વસૂલી કરવામાં સરળતા પડે છે. ધારો કે, કોઈ ખેડૂત લોનની ચૂકવણી નથી કરી શકતો તો બેન્કો ગીરવે રહેલું સોનું વેચીને પોતાના પૈસા પાછા મેળવી શકે છે. જો સામાન્ય એગ્રી લોન હોય તો બેન્કે ગીરવે રહેલી ખેતીની જમીન વેચીને લોનની વસૂલી કરવી પડે છે અને આ પ્રક્રિયા ઘણી લાંબી છે. તેમાં કાયદેસર પ્રક્રિયાનું પાલન કરવું પડે છે જ્યારે એગ્રી ગોલ્ડ લોનમાં આવી જંજટ રહેતી નથી. ખેતીની જમીન ગીરવે મૂકીને ખેડૂતે લોન લીધી હોય અને પછી તે લોન ના ભરે તો બેન્કોએ લોનની વસૂલી માટે રાજ્ય સરકારને પણ સામેલ કરવી પડે છે. આથી, બેન્કો આવી માથાકૂટ કરવા કરતાં સોનું ગીરવે લઈને ખેતીવાડી માટે લોન આપવાનું વધારે પસંદ કરે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો