Money9 Gujarati:
ડુંગળીની કિંમતને અંકુશમાં લેવા માટે સરકારે છેલ્લાં પાંચેક મહિનામાં લાગલગાટ આકરા નિર્ણયો લીધા છે. આ નિર્ણયોથી ખેડૂતવર્ગ નારાજ છે અને પારાવાર નુકસાન વેઠી રહ્યો હોવાની ફરિયાદો ઊઠી છે, પરંતુ 2024ની ચૂંટણી પહેલાં ડુંગળીની કિંમતને અંકુશમાં લેવામાં સરકારને સફળતા મળી છે. 8 ડિસેમ્બરે જાહેર થયેલી ડુંગળીની નિકાસબંધી પહેલાંના અને અત્યારના ભાવમાં 50થી 60 ટકાનો ફરક પડી ગયો છે. ગુજરાતના બજારોમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહે નિકાસબંધીના આદેશ અગાઉ એક મણનો ભાવ 200થી 750 રૂપિયાની રેન્જમાં રહેતો હતો, પરંતુ 27 ડિસેમ્બરે ભાવ 100થી 350 રૂપિયાની રેન્જમાં આવી ગયો છે.
મહારાષ્ટ્રનું લાસલગાંવ માર્કેટ ડુંગળીનું સૌથી મોટું બજાર છે. અહીં, છેલ્લાં 4 દિવસમાં સરેરાશ જથ્થાબંધ કિંમત લગભગ 20 ટકા ઘટી ગઈ છે. 21 ડિસેમ્બરે પ્રતિ ક્વિન્ટલ 1,870 રૂપિયા ભાવ બોલાતો હતો, જે હવે ઘટીને 27 ડિસેમ્બરે 1,500 રૂપિયા થઈ ગયો છે. 6 ડિસેમ્બરે લાસગાંવ APMCમાં એક ક્વિન્ટલ ડુંગળીની સરેરાશ જથ્થાબંધ કિંમત 3,900 રૂપિયા હતી. નાસિક શહેરમાં છૂટક બજારોમાં ડુંગળીની કિંમત 6 ડિસેમ્બરે 50 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 25 રૂપિયાની અંદર પહોંચી ગઈ છે.
છેલ્લાં બે વર્ષથી તો, ખેડૂતો ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા ભાવે જથ્થાબંધ બજારમાં એક કિલો ડુંગળી 2થી 10 રૂપિયાના ભાવે વેચતા હતા. આ વર્ષે માંડ થોડાક સારા ભાવ મળવાનું શરૂ થયું અને અગાઉના વર્ષોની ખોટ સરભર કરવાનો મોકો મળ્યો ત્યાં સરકારે વધતી મોંઘવારી માટે જાણે કે એકલી ડુંગળી જવાબદાર હોય તેમ એક પછી એક આકરા નિર્ણયો લઈ લીધા અને ડુંગળીના ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું. સરકારે નાફેડ (NAFED) અને NCCF (રાષ્ટ્રીય સહકારી ગ્રાહક મહાસંઘ) દ્વારા બજારભાવ કરતાં ઓછા ભાવે ડુંગળીનું વેચાણ શરૂ કર્યું છે. સરકારી એજન્સીઓ મેદાનમાં ઉતરતા બજારમાં ભાવનું ગણિત ખોરવાઈ ગયું છે. ભાવ ઘટી ગયા છે. આ એજન્સીઓ એક કિલો ડુંગળી 25 રૂપિયાના ભાવે વેચી રહી છે. પરિણામે, ખેડૂતો માટે આ બંને એજન્સીઓ ખલનાયક બની ગઈ છે.
ડુંગળી મોંઘી થવા લાગી તો સરકારે 17 ઓગસ્ટે નિકાસ પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી નાખવાનો નિર્ણય લીધો હતો. તાત્કાલિક અસરથી ભાવ તો ઘટ્યા પરંતુ, જાજો ફરક ના પડ્યો અને ભાવ ફરી વધવા લાગ્યા.
28 ઓક્ટોબરે સરકારે ડુંગળીની નિકાસ માટે પ્રતિ મેટ્રિક ટન 800 ડૉલરની લઘુતમ નિકાસ કિંમત (Minimmum Export Price) લાગુ કરી. આટલી કિંમતે ખરીદદાર ના મળે એટલે આપોઆપ ડુંગળીની નિકાસ ઘટી જાય તે હેતુથી સરકારે નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણયની ધારી અસર પડી નહીં, કારણ કે, દુનિયાભરના દેશોમાં ડુંગળીનો મહત્તમ સપ્લાય ભારત કરે છે. MEPના નિર્ણય બાદ ભાવ થોડાક તો ઘટ્યા પરંતુ ફરી વધવા લાગ્યા.
સરકારે સ્થાનિક સ્તરે ડુંગળીની કિંમત અંકુશમાં લેવા માટે 8 ડિસેમ્બરે નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધની જાહેરાત કરી દીધી. આ નિર્ણય બાદ થોડાક જ દિવસમાં ડુંગળીની કિંમતમાં 50 ટકા સુધીનો ઘટાડો થઈ ગયો છે.
નિકાસ પર પ્રતિબંધના નિર્ણય સામે સમગ્ર દેશનાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. મહારાષ્ટ્રના ખેડૂતોએ રેલીઓ કાઢી છે. વેચાણ બંધ કરી દીધું છે. નેતાઓએ સભા ગજવી છે. ખેડૂત સંગઠનોએ પણ સરકારને નિકાસબંધીનો નિર્ણય પાછો ખેંચવાની રજૂઆત કરી છે, પરંતુ સરકારે નિર્ણય યથાવત્ રાખ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો