Money9: ભારતમાં ડિજિટલ ઇન્ડિયા મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે. જેનાથી નાણાકીય લેવડદેવડ ઘણી સરળ થઇ ગઇ છે. આજકાલ લોકો નાનામાં નાના ટ્રાન્ઝેક્શન પણ ડિજિટલી કરી રહ્યા છે. આ સાથે જ દેશમાં સાયબર ઠગોની જાળ પણ ફેલાઇ રહી છે. આ અંગે RBIનો રિપોર્ટ ચિંતામાં નાંખનારો છે.
ડિજિટલ ફ્રોડને રોકવા માટે આરબીઆઈએ તેની કડકાઈ વધારી છે. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે હવે તમામ પ્રકારના છેતરપિંડીના કેસોની જાણ કરવી જરૂરી છે. તેણે બેંકોને પૂછ્યું છે કે ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે તેઓએ તેમના લેવલે શું વ્યવસ્થા કરી છે? આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
આરબીઆઈના 2022-23ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2021-22માં કુલ 9,097 ફ્રોડ થયા હતા. વર્ષ 2022-23માં આ આંકડો વધીને 13,530 થયો છે. એટલે કે ફ્રોડની સંખ્યામાં લગભગ 48 ટકાનો વધારો થયો. જોકે, ફ્રોડમાં સામેલ રકમ 49 ટકા ઘટી ગઇ. વર્ષ 2021-22માં કુલ 59,819 કરોડ રૂપિયાનો ફ્રોડ થયો જે 2022-23માં ઘટીને 30,252 કરોડ રૂપિયા થયો. ફ્રોડનું પ્રમાણ ઘટવાનો અર્થ એ છે કે દેશમાં નાની નાની છેતરપિંડીઓ વધી છે. ડિજિટલ ફ્રોડ વિશે વાત કરીએ તો, વર્ષ 2021-22માં કુલ 3596 ડિજિટલ ફ્રોડ નોંધાયા હતા, જે નાણાકીય વર્ષ 2022-23માં વધીને 6659 થઈ ગયા. આ રીતે ડિજિટલ ફ્રોડ સંબંધિત કેસો બમણા થઈ ગયા.
ડિજિટલ ફ્રોડ ક્યાં અને કેવી રીતે થઇ રહ્યા છે?
આરબીઆઈનો રિપોર્ટ જણાવે છે કે વર્ષ 2022-23માં દેશમાં કુલ 30,252 કરોડ રૂપિયાના બેંકિંગ ફ્રોડ થયા. તેમાં લોન સંબંધિત ફ્રોડનો હિસ્સો રૂ. 28,792 કરોડ એટલે કે 95 ટકા હતો. વેલ્યૂની રીતે લોનના નામે સૌથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. દેશમાં સૌથી વધુ છેતરપિંડી ડિજિટલ પેમેન્ટ એટલે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા થઈ રહી છે. સાયબર ઠગ OTPની માંગણી કરીને કાર્ડ અને UPI દ્વારા વધુ છેતરપિંડી કરી રહ્યા છે.
ભારતીય કંપનીઓ પર સાયબર હુમલાનો ખતરો પણ વધી રહ્યો છે. યુએસ સ્થિત ડેટા સિક્યોરિટી કંપની રુબ્રિકના રિપોર્ટ અનુસાર, ભારતની કંપનીઓ રેન્સમવેર એટેક સહિત સાયબર હુમલાના વધતા જોખમનો સામનો કરી રહી છે. રુબ્રિકના સર્વે અનુસાર, 26 ટકા લોકોએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં તેમની કંપનીઓ પર 100થી વધુ સાયબર હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તો 51 ટકા કંપનીઓએ સાયબર હુમલાને કારણે તેમના ગ્રાહકો ગુમાવ્યા.
કોલર આઈડી એપ ટ્રુકોલરના રિપોર્ટ અનુસાર, ભારત સ્પામ કોલથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી એક છે. દેશમાં 64% લોકોને દરરોજ ત્રણ કે તેથી વધુ સ્પામ કોલ આવે છે. અહીં યૂઝર દીઠ દર મહિને સ્પામ કૉલ્સની સરેરાશ સંખ્યા 16.8 છે. રિપોર્ટ અનુસાર, મોટાભાગના ફ્રોડ વોલેટ અથવા બેંક કેવાયસી વેલિડ કરવાની આડમાં કરવામાં આવી રહ્યાં છે.
સાયબર એક્સપર્ટ દિવ્યા તંવર કહે છે કે ડિજિટલ ફ્રોડની ઘટનાઓથી બચવા માટે સાવધાની એ સૌથી અસરકારક રીત છે. KYC અપડેટ કરાવવાની જાળમાં ન ફસાઓ. મોટાભાગના લોકો લોભના કારણે છેતરપિંડીનો શિકાર બને છે. રિફંડ અને બોનસની લાલચમાં ક્યારેય ન ફસાતા. જો તમારી સાથે ઓનલાઈન છેતરપિંડીની કોઈ ઘટના બની હોય, તો તરત જ પોલીસમાં ફરિયાદ કરો. સાયબર ક્રાઈમ સંબંધિત ટોલ ફ્રી નંબર પર 1930 પર કોલ કરો. આનાથી પૈસા પાછા મળવાની સંભાવનાઓ બની શકે છે.
ઓનલાઇન ફ્રોડથી બચવા માટે એકવાત મનમાં નક્કી કરી લો. ક્યારેય લાલચમાં ન આવતા. તમારી પાસે કોઇ ફોન પર ઓટીટી માંગો તો ક્યારેય ન આપતા. ટેલીકોમ કંપનીઓ અને બેંક તમારી પાસે ક્યારેય ઓટીપી, સીવીવી જેવી ખાનગી જાણકારી નથી માંગતી. વ્હોટ્સએપ પર અજાણ્યા લોકો સાથે વીડિયો કોલિંગથી બચો. આવા ફ્રોડ તમને મોટી મુસીબતમાં નાંખી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો