Money9: કેન્દ્રીય બજેટ પહેલા સમગ્ર દેશને ઘણી અપેક્ષાઓ હતી. દિલ્હીમાં રહેતા શ્રીરામ પણ પગારદાર લોકો માટે ટેક્સ મોરચે રાહતની આશા રાખતા હતા. પરંતુ આ અપેક્ષાઓ વચ્ચે એક અલગ જ સમાચાર મળ્યા. આ સમાચારથી એક મોટો ઝટકો લાગ્યો. સમાચાર એ હતા કે રિઝર્વ બેંકે Paytm ના વોલેટ બિઝનેસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.
રિઝર્વ બેંકે એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો. આ સર્ક્યુલર મુજબ, 29 ફેબ્રુઆરી પછી, કેશબેક અને રિફંડ સિવાય, કોઈપણ ગ્રાહકના ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, FASTag, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ એટલે કે NCMCમાં હવે વધુ ડિપોઝિટ, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપઅપને મંજૂરી નહીં આપવામાં આવે. જો કે, 29 ફેબ્રુઆરી સુધી, ગ્રાહકો કોઈપણ જાતની રોકટોક વગર તેમના સંપૂર્ણ બેલેન્સને ઉપાડી શકે છે અથવા તેનો ઉપયોગ કરી શકે છે.
જો કે, Paytm ના વોલેટ બિઝનેસ પર લગાવવામાં આવી રહેલા પ્રતિબંધ શ્રીરામ જેવા તેના યૂઝર્સ માટે એક ફટકા સમાન છે. આ પ્રતિબંધનો આધાર ઓછામાં ઓછા 6 વર્ષ પહેલાં બનવાનો શરૂ થઇ ગયો હતો. વર્ષ 2017 માં, Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ એટલે કે PPBL એ રિઝર્વ બેંક પાસેથી બેંકિંગ લાઇસન્સ મેળવ્યા પછી કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ એક વર્ષની અંદર, રિઝર્વ બેંકે લાયસન્સની શરતો અને KYC નિયમોનું પાલન ન કરવા બદલ તેની સામે કાર્યવાહી કરી. આ કારણોસર, જૂન 2018 માં PPBL માં નવા ખાતા ખોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ત્યારબાદ 2021માં પણ કાર્યવાહી કરવામાં આવી. ત્યારે આરબીઆઈને ખબર પડી કે PPBLએ તેને કેટલીક ખોટી માહિતી આપી હતી જેના કારણે 1 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો. છ મહિના પછી, આરબીઆઈએ PPBL પર સુપરવાઇઝરી નિયંત્રણો લાદ્યા કારણ કે Paytm અને તેની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન બંનેના સર્વર બે અલગ-અલગ એન્ટિટી તરીકે કામ ન્હોતા કરી રહ્યા. જેના કારણે, ફિનટેક કંપનીને નવા ગ્રાહકો ઉમેરવા માટે પ્રતિબંધિત કરવામાં આવી અને કંપનીએ તેની સિસ્ટમનું વ્યાપક સ્તરે ઓડિટ કરવા માટે બાહ્ય ઓડિટીંગ કંપનીની નિમણૂક કરવી પડી.
ત્યારબાદ ઓક્ટોબર 2023 માં, રિઝર્વ બેંકે સતત KYC નિયમોનું પાલન ન કરવા બદલ પેટીએમ પર ફરી એકવાર 5.39 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો. આ તમામ કાર્યવાહીનું અંતિમ પરિણામ એ આવ્યું કે ગયા અઠવાડિયે રિઝર્વ બેંક દ્વારા કામકાજ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
એટલું જ નહીં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, KYCમાં ગંભીર અનિયમિતતા, ડિજિટલ ફ્રોડ્સ અને મની લોન્ડરિંગના જોખમો પણ જોવા મળ્યા. KYCની વાત કરીએ તો ઘણાબધા ગ્રાહકોની KYC પૂર્ણ ન થઇ, PAN વેલિડેટ ન થયું.
ઉપરાંત, રિઝર્વ બેંકની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે હજારો કેસોમાં, એક જ PAN 100 થી વધુ અને કેટલાક કિસ્સાઓમાં તો 1,000 થી વધુ ગ્રાહકો સાથે લિંક્ડ હતા. આવા ખાતાઓમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા જે KYCની લઘુત્તમ જરૂરિયાતો માટે રિઝર્વ બેંક દ્વારા મંજૂર લિમિટ કરતાં વધુ હતા. આનાથી મની લોન્ડરિંગની શંકા વધુ ઘેરી બને છે.
ઉપરાંત, ઘણા બધા ડોરમેટ એટલે કે નિષ્ક્રિય ખાતાઓનો ઉપયોગ મ્યૂલ એટલે કે મધ્યસ્થ ખાતા તરીકે કરવામાં આવ્યો. મ્યૂલ એકાઉન્ટ એટલે એવા ખાતા કે જેનો ઉપયોગ માત્ર પૈસાની લેવડ-દેવડ માટે જ થાય છે. આવા ખાતાઓમાં પૈસા પડ્યા નથી હોતા, જમા થતાની સાથે જ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. હકીકતમાં, એક મીડિયા રિપોર્ટ અનુસાર, Paytm દ્વારા મેનેજ થતા 35 કરોડ એકાઉન્ટ્સમાંથી 31 એકાઉન્ટ ઇનએક્ટિવ હતા.
Paytm ની સમસ્યાઓ હજુ સમાપ્ત નથી થઇ. તેણે હવે તેના QR કોડ્સ બીજી સ્પોન્સર્ડ બેંકોને શિફ્ટ કરવા પડશે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ક્રાંતિ લાવનાર કંપની RBIની કાર્યવાહીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે. હવે Paytm કમબેક કરી શકશે કે નહીં, તે રિઝર્વ બેંક પર નિર્ભર રહેશે. પરંતુ અહીં તમામ ફિનટેક કંપનીઓ માટે એક બોધપાઠ છે કે ઇનોવેશન કરો, નવી ટેકનીક લાવો પરંતુ આ બધું નિયમો-કાયદાને સાઇડ પર રાખીને ન કરો. કારણ કે આજે નહીં તો કાલે તમારી સામે પગલાં લેવામાં આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો