Budget 2024: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે આગામી નાણાકીય વર્ષ માટે સુધારાને આગળ વધારનારું વચગાળાનું બજેટ રજૂ કર્યું. જેમાં લોભામણી જાહેરાતો કરવામાં નથી આવી. આ વચગાળાના બજેટમાં વિવિધ મંત્રાલયો માટે પણ બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ બજેટ સંરક્ષણ મંત્રાલયને મળ્યું છે.
કયા મંત્રાલયને શું મળ્યું?
સંરક્ષણ મંત્રાલય- વચગાળાના બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ડિફેન્સ પર કહ્યું કે, અમે નવી ડીપ-ટેક ટેક્નોલોજી લઇને આવીશું. આત્મનિર્ભરતાને આગળ વધારીશું. વર્ષ 2023-24 માટે સંરક્ષણ બજેટ 6.02 લાખ કરોડ રૂપિયા હતું. જે તેની અગાઉના નાણાકીય વર્ષ કરતાં 13 ટકા વધુ હતું. આ વખતે તે વધીને 6.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે 3.4 ટકાનો વધારો થયો છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય – નીતિન ગડકરીના આ મંત્રાલયના બજેટમાં પણ આ વખતે વધારો કરવામાં આવ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ દેશમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. બજેટમાં આ મંત્રાલયને 2.78 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
રેલવે મંત્રાલય- આ બજેટમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રેલવે મંત્રાલયને 2.55 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2023માં રેલવે બજેટ 2.4 લાખ કરોડ રૂપિયા હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે ત્રણ મોટા રેલ્વે કોરિડોરની પણ જાહેરાત કરી હતી.નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે દેશમાં 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે.
ગૃહ મંત્રાલય- આ બજેટમાં અમિત શાહની આગેવાની હેઠળના ગૃહ મંત્રાલયને 2.03 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 2023-24ના બજેટમાં ગૃહ મંત્રાલયને 1.96 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. એટલે કે આ વખતે આ મંત્રાલયના બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વચગાળાના બજેટના વખાણ કરતા અમિત શાહે કહ્યું, ‘મોદી સરકારનું આ બજેટ પ્રવાસન ક્ષેત્રને નવી ઉર્જા આપવાનું કામ કરશે. બજેટમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના વિકાસ માટે રાજ્યોને પ્રોત્સાહનો અને લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે, જેનાથી પ્રવાસન ક્ષેત્રની અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો