Money9 Gujarati: 1 ફેબ્રુઆરી, 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા તેમના છઠ્ઠા બજેટમાં કેટલીક મહત્ત્વની જાહેરાત કરી છે. સરકારે છેવાડાના ગામડાં સુધી વિકાસ પહોંચાડવાની વાત કરી છે. દેશને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું સપનું સેવ્યું છે. સામાજિક ન્યાયના મોરચે સક્રિય જવાબદારી નિભાવવાનું વચન આપ્યું છે. સરકારે ગરીબો, મહિલાઓ, યુવા અને અન્નદાતાને લાભ પહોંચાડવાની પણ વાત કરી છે.
સરકારે જણાવ્યું છે કે, અમે 11.8 કરોડ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા કરવાની સ્કીમ સફળતાપૂર્વક ચલાવી રહ્યાં છીએ. અમે 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે તેમજ દેશનાં 4 કરોડ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ આપ્યો છે. સરકારે સીટિઝન ફર્સ્ટ મંત્ર પર કામ કર્યું છે.
સરકારે જણાવ્યું છે કે, દેશમાં 7 નવી IIT અને 7 નવી IIM બનાવવામાં આવી છે. 54 લાખ યુવાઓને પ્રશિક્ષણ આપ્યું છે અને મુદ્રા યોજનામાં 43 લાખ કરોડની ફાળવણી કરી છે. સરકારે ગ્રામીણ વિકાસ યોજના યથાવત્ જાળવી રાખવાની વાત કરી છે અને 3 કરોડ નવા ઘર બનાવવામાં આવશે, જેમાંથી આવતા 5 વર્ષમાં 2 કરોડ ઘર બનાવવામાં આવશે.
બજેટમાં સરકારે કરેલી જાહેરાતની કેવી અસર પડશે તે સંક્ષિપ્તમાં સમજીએ.
જાહેરાતઃ ગ્રામીણ વિકાસ યોજના યથાવત્ રહેશે
અસરઃ
– ઘરવિહોણા લોકોને છત મળશે
– ઘરની માંગમાં વધારો થશે, અર્થતંત્રને ટેકો મળશે
– સિમેન્ટ, સ્ટીલ જેવી વસ્તુઓની માંગ વધશે
જાહેરાતઃ ઘરો પર લાગશે રૂફ ટોપ સોલર પેનલ
અસરઃ
– 1 કરોડ ઘરોને મફતમાં મળશે 300 યુનિટ વીજળી
– 15,000થી 18,000 રૂપિયાની બચત થવાનો અંદાજ
– ગામડાંના ઘરો સુધી વીજળી પહોંચાડવામાં મદદ મળશે
જાહેરાતઃ આયુષ્માન યોજનાનો વ્યાપ વધ્યો
અસરઃ
– આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકર્તા અને હેલ્પર સામેલ થશે