Budget 2024: PM કિસાન સન્માન નિધિ યોજનામાં સરકારે કોઈ ફેરફાર નથી કર્યો. ખેડૂતોને આ વખતના બજેટમાં એટલા માટે પણ અપેક્ષાઓ હતી કારણ કે આ ચૂંટણી બજેટ છે અને સરકાર ખેડૂત મતદારોને આકર્ષવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળેલી રકમમાં વધારો કરી શકે છે.
ખેડૂતોને થઇ નિરાશા
આ બજેટથી ખેડૂતો નિરાશ થયા છે. સરકારે આ યોજના હેઠળ ન તો ખેડૂતોની સન્માન રકમમાં કોઇ વધારો કર્યો છે કે ન તો વધારાના ખેડૂતોને ઉમેરવાની વાત કરી છે. એટલું જ નહીં, મહિલા ખેડૂતોને પણ આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ આ બજેટમાં તેમને કોઈ વધારાની રકમ ફાળવવામાં નથી આવી. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે આ યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.
ખેડૂતોને આવી હતી આશા
હાલમાં આ યોજના હેઠળ દેશભરના 11 કરોડ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા મળે છે, પરંતુ આ બજેટમાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે પુરૂષ ખેડૂતો માટે આ રકમ વધારીને 9,000 રૂપિયા કરવામાં આવશે, જ્યારે મહિલા ખેડૂતો માટે સન્માન નિધિ બમણી કરીને 12,000 રૂપિયા કરવામાં આવશે. ખેડૂતોને એવી પણ આશા હતી કે સરકાર મહિલા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં પ્રાથમિકતા આપશે અને મહિલા ખેડૂતોને અન્ય કરતા 1% સસ્તી લોન મળશે.
પરાળીના સંચાલન અંગે કોઈ જાહેરાત નહીં
ખેડૂતો માટે પોષણક્ષમ દરે જીવન વીમા યોજનાની સાથે, પરાળી સંચાલન માટે વિશેષ પ્રોત્સાહનોની પણ અપેક્ષા હતી. પરંતુ આ તમામ મોરચે ખેડૂતો નિરાશ થયા છે. નોંધનીય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ખેડૂતોને આર્થિક મદદ માટે, સરકાર 2,000 રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે વાર્ષિક 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો