Money9 Gujarati:
દેશના લગભગ અડધા ભારતીય પરિવારો ઈનકમ ટેક્સ ભરવા નથી માંગતા અને લગભગ 25 ટકા પરિવારો ટેક્સ ભરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતીય પરિવારોની આર્થિક સ્થિતિ, બચત અને રોકાણ કરવાની ટેવ, ખર્ચ અને આવક જેવી બાબતો પર Money9 દ્વારા થયેલા સર્વેમાં કેટલીક રસપ્રદ વિગત જાણવા મળી છે. દેશનાં 20 રાજ્યોનાં 115 જિલ્લાના 35,000થી પણ વધારે પરિવારો પર થયેલા આ સર્વે પરથી જાણવા મળે છે કે, 47 ટકા ભારતીય પરિવાર ઈનકમ ટેક્સ ભરવા માંગે છે. જોકે, ગુજરાતની વાત કરીએ તો, 53 ટકા ગુજરાતી પરિવારો ઈનકમ ટેક્સ ભરવા માંગતા હોવાનું જાણવા મળ્યું છે.
Money9ના સર્વે પરથી જાણવા મળે છે કે, માત્ર 24 ટકા ભારતીય પરિવાર ઈનકમ ટેક્સ ચૂકવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે, 29 ટકા ભારતીય એવા પણ છે જે ટેક્સ ભરવા તો માંગે છે પરંતુ તેમની ઈચ્છા એક મર્યાદા સુધીનો ટેક્સ ભરવાની જ છે. લગભગ અડધો અડધ પરિવાર એવા છે જે બહુ ઓછો ટેક્સ ભરવા માંગે છે.
સર્વેનું તારણ નીકળે છે કે, 49 ટકા ભારતીય પરિવાર ઈચ્છે છે કે, ઈનકમ ટેક્સનો દર માત્ર 5 ટકા હોવો જોઈએ. 37 ટકા પરિવારની ઈચ્છા છે કે, ટેક્સનો રેટ 10 ટકા હોવો જોઈએ જ્યારે 9 ટકા પરિવાર એવા છે જેમના મતે ઈનકમ ટેક્સનો રેટ 15 ટકા હોય તોપણ તેમને વાંધો નથી. માત્ર 4 ટકા પરિવાર માને છે કે, ઈનકમ ટેક્સનો રેટ 20 ટકા હોય તોપણ તેઓ રાજી છે. દેશનાં માત્ર 1 ટકા પરિવારને 20 ટકા કરતાં વધારે ઈનકમ ટેક્સ ચૂકવવામાં વાંધો નથી. અત્યારે ભારતમાં ઈનકમ ટેક્સનો મહત્તમ દર 30 ટકા છે.
સરકારે તાજેતરમાં સંસદમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23માં 7.40 કરોડ લોકોએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા હતા, પરંતુ તેમાંથી 5.16 કરોડ જેટલા લોકોની ટેક્સેબલ ઈનકમ 0 હતી, એટલે કે તેમણે ઝીરો રિટર્ન ફાઈલ કર્યું હતું અને માત્ર 2.24 કરોડ લોકોએ ટેક્સેબલ રિટર્ન ફાઈલ કર્યું હતું.
Money9નો પર્સનલ ફાઈનાન્સ સર્વે ઓગસ્ટ-નવેમ્બર 2023ની વચ્ચે થયો હતો, જેમાં 20 રાજ્યોના 115 જિલ્લાના લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વે 10 અલગ-અલગ ભાષામાં કરવામાં આવ્યો હતો અને તેમાં 1,140 ગામડાં અને શહેરી વોર્ડને સામેલ કરવામાં આવ્યા હતા.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો