Money9 Gujarati:
ભારતનાં પરિવારો મોંઘવારીનો માર સહન કરી રહ્યાં છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ભડકે બળ્યાં છે અને તેના કારણે પરિવારોનો ખર્ચ વધી ગયો છે. કોવિડ તો જતો રહ્યો છે પરંતુ તેની આર્થિક અસરો હજુ પણ ઘણા પરિવારો ભોગવી રહ્યાં છે. ભારતનાં પરિવારોની બચતમાં ગાબડાં પડી ગયા છે અને તેનું કારણ કોવિડ મહામારી હતી. ત્યારબાદ શરૂ થયેલી સમસ્યાને કારણે ભારતનાં અનેક પરિવારોને આકસ્મિક અને આવશ્યક ખર્ચાને પહોંચી વળવા માટે બચત પેટે મૂકેલી રકમ વાપરવાનો વારો આવ્યો છે. આ તમામ વિગતો અને લોકોની આર્થિક પરિસ્થિતિનું સચોટ ચિત્રણ Money9 દ્વારા થયેલા પર્સનલ ફાઈનાન્સ સર્વેમાં જાણવા મળ્યું છે. આ સર્વેની વિગતો સરકાર માટે અને નીતિઘડવૈયાઓ માટે આંખ ઉઘાડનારી છે.
Money9ના India’s Pulse Personal Finance Survey પરથી જાણવા મળે છે કે, ખર્ચાને પહોંચી વળવા માટે છેલ્લાં 5 વર્ષમાં દેશનાં 67 ટકા પરિવારે તેમની બચતના પૈસા વાપર્યા છે જ્યારે 33 ટકા પરિવારે વર્તમાન કમાણીમાંથી ગોઠવણ કરીને ખર્ચાને પહોંચી વળવાની વ્યવસ્થા કરી છે. છેલ્લાં 5 વર્ષમાં ભારતે કોવિડ જેવી મહામારીનો સામનો કર્યો છે. કોવિડને કારણે નોકરીઓ ગુમાવવાથી અથવા પગાર કાપ થવાથી અનેક પરિવારોની આવકમાં ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં, પરિવારોના મેડિકલ ખર્ચમાં અનેક ગણો વધારો પણ થયો છે. આ ખર્ચામાં હેલ્થકેર પાછળ થતા ખર્ચની સાથે સાથે દવાઓનો ખર્ચ, તબીબી સારવાર માટે હોસ્પિટલાઈઝેશનનો ખર્ચ તેમજ મેડિકલ ઈન્સ્યૉરન્સ પાછળ થતો ખર્ચ પણ સામેલ છે.
Money9ના સર્વે પરથી તારણ નીકળે છે કે, બચત તોડનારા 67 ટકા પરિવારો માટે બચતના પૈસા વાપરવા પાછળનું મુખ્ય કારણ તબીબી ખર્ચા હતા. સારવાર સંબંધિત ખર્ચાને પહોંચી વળવા માટે લગભગ 22.3 ટકા પરિવારોએ તેમની બચતના પૈસા વાપર્યા હોવાનું જણાવ્યું હતું. લગભગ 15.2 ટકા લોકોએ નોકરી જવાથી અથવા કમાણી બંધ થઈ જવાથી બચતના પૈસા વાપર્યા હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત, શિક્ષણ સંબંધિત ખર્ચને પહોંચી વળવા માટે પણ લોકોએ બચતના પૈસા વાપર્યા છે. લગભગ 11. ટકા પરિવારે એજ્યુકેશન ખર્ચ પૂરો કરવા માટે સેવિંગ્સ વાપરી હોવાનું જણાવ્યું છે.
લોકો લગ્ન પાછળ ખર્ચ કરવા માટે પણ બચત તોડી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લાં 5 વર્ષમાં લગભગ 8.2 ટકા પરિવારોએ લગ્ન સંબંધિત ખર્ચાને પહોંચી વળવા માટે બચતના પૈસા વાપરી નાખ્યા હોવાનું સ્વીકાર્યું છે. લોકોએ લોન ભરવા માટે પણ બચતનો ઉપયોગ કર્યો છે. લગભગ 8.2 ટકા પરિવારે લોનમાંથી છુટકારો મેળવવા માટે બચતનો સહારો લીધો છે. કોરોના કટોકટી વખતે કમાઉ સભ્યનું મૃત્યુ થઈ જવાથી અનેક પરિવારોનો આર્થિક આધાર છીનવાઈ ગયો હતો. આવા લગભગ 2.3 ટકા પરિવારે કમાઉ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ બચતના પૈસા ઉપાડી લીધા હોવાનું સ્વીકાર્યું છે.
Money9નો સર્વે જણાવે છે કે, રોજગારી મેળવતા લગભગ 24 ટકા લોકોને સતત એક જ ડર સતાવ્યા કરે છે અને તે છે નોકરી ગુમાવવાનો ડર. એટલું જ નહીં, 56 ટકા લોકોને નોકરી ગુમાવવાનો વધારે પડતો ડર નથી લાગતો પણ ડર તો લાગે જ છે. એટલે એમ કહી શકાય કે, આ 24 ટકા અને 56 ટકા એમ બંને મળીને 80 ટકા લોકોને નોકરી ગુમાવવાનો થોડો કે વધારે ડર સતાવ્યા જ કરે છે. માત્ર 20 ટકા લોકો એવા છે જેને નોકરી ગુમાવવાનો ડર નથી.
હંમેશા નોકરીમાંથી કાઢી મૂકશે તેવા ડર સાથે જીવતા લગભગ 24 ટકા લોકોએ સર્વેમાં જણાવ્યું છે કે, તેમની પાસે પૂરતી બચત છે અને ધારો કે, નોકરી જતી રહે તોપણ 6 મહિના સુધી ઘર ચલાવવા પૂરતી બચત છે. 56 ટકા લોકોને નોકરી ગુમાવવાનો થોડોઘણો ડર છે તેમની પાસે નોકરી ગુમાવ્યા બાદ 2થી 3 મહિના ચાલે એટલી બચત પડી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો