Money9 Gujarati:
બ્રિટિશ ટેલિકોમ્યુનિકેશન્સ કંપની વોડાફોને આવતા ત્રણ વર્ષમાં 11,000 લોકોને નોકરીમાંથી છૂટા કરવાની જાહેરાત કરતાં તેના શેરમાં 4 ટકાથી પણ વધુનું ગાબડું પડ્યું છે. જોકે, ભારતમાં તેની કંપનીના શેરમાં 5 ટકા તેજી જોવા મળી છે. વોડાફોન આઈડિયાનો શેર 15 મે અને 16 મે એમ સતત બે દિવસથી તેજીમાં છે.
ફ્રી કેશ ફ્લોઃ વોડાફોન વિશ્વની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને 1,00,000થી વધારે કર્મચારી ધરાવે છે. જોકે, કંપની અત્યારે જર્મની, ઈટલી અને ભારતના માર્કેટમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહી છે. કંપનીએ તેની ફ્રી કેશ ફ્લોમાં ઘટાડો થવાનો પણ અંદાજ આપ્યો છે. માર્ચ-2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં વોડાફોને 45.7 અબજ યુરો (49.7 અબજ ડૉલર)ની આવક નોંધાવી છે, જે અગાઉના વર્ષની તુલનાએ લગભગ સરખી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે ફ્રી કેશ ફ્લો માટે નિરાશાજનક અપેક્ષા વ્યક્ત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં 3.3 અબજ યુરોની ફ્રી કેશ ફ્લો થશે, જે અગાઉના વર્ષે 4.8 અબજ યુરો હતી. ફ્રી કેશ ફ્લો એટલે, કાર્યકારી ખર્ચા અને અન્ય ખર્ચાની ચૂકવણી કર્યા બાદ કંપની પાસે બચતી રોકડ.
ટ્રાન્ઝિશન પીરિયડઃ વોડાફોન અત્યારે ટ્રાન્ઝિશન પીરિયડમાંથી પસાર થઈ રહી છે, કારણ કે, તેના ભૂતપૂર્વ CEO નિક રિડે ગયા વર્ષે રાજીનામુ આપ્યું હતું અને બાદમાં કંપનીએ CEO તરીકે ડેલા વાલેની નિમણૂક કરી હતી. વોડાફોનના CEO માર્ગેરિટા ડેલા વાલેએ કંપનીને ધરમૂળથી બદલવાની જરૂર હોવાનું જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, કે, કંપનીમાં મોટા પાયે પરિવર્તન લાવવાની જરૂર છે. કંપનીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આવી સ્થિતિમાં કંપનીમાં ઘણા ફેરફાર કરવાની જરૂર છે.
વોડાફોન આઇડિયાના શેરમાં તેજીઃ વોડાફોન આઈડિયાનો શેર 16 મે, મંગળવારના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 4.26 ટકા વધીને રૂ.7.35ના લેવલે ટ્રેડ થતો હતો. છેલ્લાં 1 મહિનામાં વોડાફોન આઈડિયાનો શેર 22 ટકા વધ્યો છે. તેની પેરન્ટ કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં ખરાબ પ્રદર્શન કર્યું છે, છતાં વોડાફોન આઈડિયાનો શેર વધ્યો છે, કારણ કે, કંપનીએ ગ્રાહકો માટે મુખ્ય વ્યૂહાત્મક યોજના જાહેર કરી છે. અત્યાર સુધી કંપની માર્કેટની ડિમાન્ડ અનુસાર પરિવર્તન કરવામાં ધીમી ગતિએ આગળ વધી હોવાથી હરીફોને ફાયદો થઈ રહ્યો છે અને વોડાફોનની લોકપ્રિયતા ઘટી છે. જેમકે, ભારતમાં 5Gના મોરચે જિયો અને એરટેલ 100થી વધુ શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યાં છે અને આક્રમક છે ત્યારે વોડાફોન આઈડિયા આ મોરચે બિલકુલ નીરસ છે. આ કારણથી તેના ગ્રાહકોમાં પણ મોટો ઘટાડો થયો છે. વોડાફોનના નવા અધિકારીઓ વોડાફોનની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નવી વ્યૂહરચના પર કામ કરી રહ્યાં છે.
Q4 રિઝલ્ટઃ વોડાફોન આઈડિયા ટૂંક સમયમાં તેના માર્ચ-2023 ક્વાર્ટરના પરિણામ જાહેર કરવાની છે. અપેક્ષા છે કે, વોડાફોન આઈડિયાની એવરેજ રેવેન્યુ પર યુઝર (ARPU) ત્રિમાસિક ધોરણે 1 ટકા વધીને રૂ.136 થશે. કંપનીની આવક પણ 1 ટકા જેટલી ઘટીને રૂ.10,500 કરોડની આસપાસ રહેવાની ધારણા છે. નેગેટિવ ઓપરેટિંગ લીવરેજને કારણે તેની EBITDA ત્રિમાસિક ધોરણે 2.6 ટકા ઘટીને રૂ.4,072 કરોડ રહેવાનો અંદાજ ICICI ડાયરેક્ટના પ્રિવ્યૂ નોટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. કંપની માર્ચ ક્વાર્ટરમાં રૂ.7,960 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવશે તેવો અંદાજ છે.
સંબંધિત ખબરઃ Jioના જેટલા ગ્રાહક વધ્યા તેનાથી બમણા ગ્રાહકે વોડાફોન આઈડિયાને અલવિદા કહી દીધું
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો