Jio ભારતનાં મોબાઈલ સબ્સક્રાઈબર માર્કેટના 37 ટકા હિસ્સા પર કબજો ધરાવે છે જ્યારે હરીફ એરટેલ પાસે 32 ટકા બજારહિસ્સો છે. વોડાફોન આઈડિયાનો હિસ્સો સતત ઘટીને 20 ટકા થઈ ગયો છે.
વોડાફોન આઈડિયાનું શું થશે, તે સમજાતું નથી. એક તરફ જિયો અને એરટેલના ગ્રાહકો વધી રહ્યાં છે જ્યારે વોડા. આઈડિયાના ગ્રાહકો ઘટી રહ્યાં છે. તાજા આંકડા દર્શાવે છે કે, ફેબ્રુઆરીમાં જિયોએ જેટલા ગ્રાહક ઉમેર્યાં તેના કરતાં બમણા ગ્રાહક તો વોડા.આઈડિયાએ ગુમાવી દીધા. ફેબ્રુઆરીમાં જિયોના મોબાઈલ સબ્સક્રાઈબર્સની સંખ્યામાં 10 લાખનો ઉમેરો થયો હતો, જેની સામે વોડાફોના 20 લાખ ગ્રાહક ઘટી ગયા. હવે, ભારતનાં મોબાઈલ સબ્સક્રાઈબર માર્કેટમાં જિયો પાસે સૌથી વધુ ગ્રાહક છે અને જિયો આ માર્કેટના 37 ટકા હિસ્સા પર કબજો ધરાવે છે જ્યારે હરીફ કંપની એરટેલ પાસે 32 ટકા બજારહિસ્સો છે. વોડાફોન આઈડિયાનો હિસ્સો સતત ઘટીને 20 ટકા થઈ ગયો છે. દેશમાં કુલ 114 કરોડ મોબાઈલ સબ્સક્રાઈબર્સ છે, જેમાંથી 55 ટકા ગ્રાહકો શહેરી વિસ્તારોના છે.
2023ના મધ્યભાગની આસપાસ પ્રિ-પેઈડ ટેરિફના ભાવ વધવાની શક્યતા છે ત્યારે જિયોએ પોસ્ટપેઈડ સેગમેન્ટ તરફ આક્રમકતા દાખવી છે. લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે એટલે એવી પણ શક્યતા છે કે, ભાવમાં વધારો થવાનો આગામી રાઉન્ડ 12 મહિના પાછો ઠેલાઈ શકે છે. રિલાયન્સ જિયો અને એરટેલ તેમની એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU) વધારવા માટે સક્રિય પ્રયાસ કરી રહ્યાં છે અને તેના માટે છેલ્લાં બે વર્ષથી ટેરિફમાં પણ ધરખમ વધારો કર્યો છે. એરટેલે તેના મિનિમમ રિચાર્જ પ્લાન બંધ કરી દીધા છે અને કેટલાક સર્કલમાં આવા પ્લાનની કિંમતમાં ખાસ્સો વધારો કરી દીધો છે.
Published - May 15, 2023, 05:41 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો