રોજગારી મેળવવા માટે આશાવાદ વધવાથી બેરોજગારીનો દર વધ્યો છે. એપ્રિલમાં બેરોજગારીનો દર ચાર મહિનાની ટોચે પહોંચી ગયો છે, કારણ કે લેબર પાર્ટિસિપેશન રેટ 3 વર્ષની ટોચે પહોંચ્યો છે.
ભારતમાં બેરોજગારીની સમસ્યાએ માથું ઊંચક્યું છે. એક તરફ વસતિમાં જબરજસ્ત વધારો થયો છે અને ભારત દુનિયામાં સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની ગયો છે ત્યારે આટલા બધા લોકોને રોજગારી પૂરી પાડવાનો પડકાર પણ વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે. તાજા આંકડા અનુસાર, વધુ ને વધુ લોકો કામ કરવા માટે ભાગ લેતા થવાથી બેરોજગારોની સંખ્યા વધી છે અને બેરોજગારીનો દર ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યો છે.
એપ્રિલમાં બેરોજગારીનો દર 8.11 ટકાઃ
એપ્રિલ મહિનામાં બેરોજગારીનો દર 8.11 ટકા થયો છે, જે માર્ચમાં 7.8 ટકા હતો. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના આંકડા અનુસાર, શહેરી બેરોજગારીનો દર 8.51 ટકાથી વધીને 9.81 ટકા થયો છે. ગામડાંમાં બેરોજગારીનો દર નજીવો ઘટ્યો છે. માર્ચમાં ગ્રામ્ય બેરોજગારીનો દર 7.47 ટકાથી ઘટીને એપ્રિલમાં 7.34 ટકા થયો છે.
કેમ વધ્યો બેરોજગારી દર?
બેરોજગારીનો દર વધવાનું કારણ લેબર પાર્ટિસિપેશન રેટમાં થયેલો વધારો છે એમ CMIEના હેડ મહેશ વ્યાસે જણાવ્યું છે. એપ્રિલમાં ભારતનો લેબર ફોર્સ 2.55 કરોડ વધીને 46.76 કરોડ થયો હતો, જેના કારણે બેરોજાગરીના દરમાં વધારો થયો હતો. રોજગારી શોધવા અંગે આશાવાદ વધવાથી લેબર પાર્ટિસિપેશન રેટ એપ્રિલમાં વધીને 41.98 ટકાના સ્તરે પહોંચી ગયો હતો, જે છેલ્લાં 3 વર્ષનો સૌથી ઊંચો રેટ છે.
લોકો રોજગારી મેળવવા આતુરઃ
એપ્રિલમાં 2.21 કરોડ નોકરીઓનું સર્જન થવાથી, આ 46.76 કરોડ લોકોમાંથી 87 ટકાને રોજગારી મળી હતી, એમ CMIEનો ડેટા જણાવે છે. એપ્રિલમાં રોજગારીનો દર વધીને 38.57 ટકા થયો હતો, જે માર્ચ 2020 પછીનો સૌથી ઊંચો રેટ છે. આ આંકડા દર્શાવે છે કે, વધુ ને વધુ લોકો રોજગારી મેળવવા માટે આતુર છે. એટલે જ તો, લેબર પાર્ટિસિપેશન રેટ અને એમ્પ્લોયમેન્ટ રેટમાં વધારો નોંધાયો છે. શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ નોકરીઓનું સર્જન થયું હતું.