MONEY9 GUJARATI:
ગરમાગરમ વૈશાખી વાયરા વચ્ચે મસાલા માર્કેટમાં તેજીવાળા સક્રિય થઈ ગયા છે. જીરુંના ભાવમાં જામેલી તેજીને જોઈને અન્ય મરી-મસાલા પણ તેજીના રંગે રંગાઈ ગયા છે. હળદર, ધાણા, વરિયાળી, અજમો, મરચાં અને ઈસબગુલ સહિતની જણસીના ભાવમાં તેજીનો કરંટ જોવા મળ્યો છે. માવઠાને પગલે ખેતીવાડીને નુકસાન પહોંચ્યું હોવાથી બજારમાં રેઈનટચ માલ ઠલવાઈ રહ્યો છે, જેના લીધે સારી ગુણવત્તા ધરાવતા માલ માટે વેપારીઓ વધારે પૈસા ચૂકવવા તૈયાર થઈ ગયા છે. સાથે સાથે, સંગ્રહખોરો અને સટોડિયાઓ સક્રિય થવાથી તેજી-મંદીનો ખેલ ખેલાઈ રહ્યો છે. રાતોરાત મોટી ઊથલપાથલ થઈ રહી છે. રાજકોટ અને જામનગરના માર્કેટ યાર્ડમાં જીરુનો એક મણનો ભાવ રૂ. 9,100ની ઉપર જ્યારે વરિયાળીનો એક મણનો ભાવ રૂ. 3,900ની ઉપર બોલાયો છે.
મસાલાની મોંઘવારી
2022માં ખાદ્ય મોંઘવારીને સતત ઊંચા સ્તરે રાખવામાં મસાલાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 2022માં મસાલાની મોંઘવારીનો દર બે અંકમાં જળવાઈ રહ્યો હતો. શહેરોમાં મસાલાની મોંઘવારી કરતાં ગામડાંમાં મસાલાની મોંઘવારીનો દર 16 ટકા જેટલા ઊંચા સ્તરે રહ્યો હતો. 2023માં મસાલાની મોંઘવારી ઘટી છે, પરંતુ હોળી બાદ શરૂ થયેલા કમોસમી વરસાદે મજા બગાડી છે. ખેડૂતોને મસાલાના સારા ભાવ મળી રહ્યાં છે પરંતુ રસોડાનું બજેટ ખોરવાઈ જવાથી ગૃહિણીઓ પરેશાન છે. 100 ગ્રામ જીરું છેલ્લાં 1 વર્ષમાં 70 ટકા મોંઘું થઈ ગયું છે જ્યારે ધાણાની કિંમતમાં 55થી 65 ટકાનો વધારો થયો છે.
લસણ, વરિયાળી, સૂકા મરચાંના ભાવ વધ્યાઃ
ગયા ઉનાળામાં સારી ક્વોલિટીના લસણનો જેટલો ભાવ બોલાતો હતો, તે ભાવ અત્યારે મુંડા અને મીલબર લસણનો બોલાઈ રહ્યો છે. મીલબર-મુંડા ક્વોલિટીનું લસણ રૂ.700ના ભાવે વેચાઈ રહ્યું છે જ્યારે સુપર લાડવા લસણ તો રૂ.1,300ને પણ વટાવી ગયું છે. ઊંટીના બોક્સ તો રૂ.2,500ના ભાવે ખરીદવા વેપારીઓ તૈયાર થઈ ગયા છે. આવી જ રીતે, એક મણ વરિયાળીના ભાવ ગયા વર્ષે રૂ.1,450થી રૂ.1,750ની વચ્ચે બોલાતા હતા, જે હવે વધીને રૂ.2,600થી રૂ.4,200ની વચ્ચે બોલાઈ રહ્યાં છે. સૂકા મરચાંની કિંમત મણ દીઠ 500 રૂપિયા વધી ગઈ છે. સૂકા મરચાંના ભાવ રૂ.4,300ને પાર થઈ ગયા છે.
વરિયાળી જો ખરાબ ક્વોલિટીની હોય તો રૂ.2,700થી રૂ.2,800 જ્યારે મીડિયમ ક્વોલિટીની વરિયાળી રૂ.2,900થી રૂ.3,000 અને કલર ક્વોલિટીની વરિયાળી રૂ.3,500થી રૂ.4,100ના ભાવે વેચાઈ રહી છે. આબુરોડની વરિયાળી રૂ.4,200થી રૂ.5,500 સુધીના ભાવે વેચાઈ રહી છે.
સટોડિયા પણ સક્રિયઃ
જીરું બજારમાં જોવા મળેલી તેજીની અસર ધાણાના બજારમાં પણ જોવા મળી છે. જે સટોડિયા જીરામાં કમાયા છે, તેમણે હવે ધાણા તરફ નજર નાખી છે. પરિણામે, હાજર બજાર અને વાયદા બજારમાં ખરીદી જોવા મળી છે. જીરું, હળદર, ધાણામાં સટ્ટારૂપી તેજીમંદીનો માહોલ છે. હળદરના મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં માવઠાને કારણે માલ બગડ્યો છે. બજારમાં જે માલ આવી રહ્યો છે તે વરસાદમાં પલળેલો છે. આથી હળદરનો સારો માલ કિલોએ રૂ.2થી રૂ.3 વધારે ભાવે વેચાઈ જાય છે.
સંબંધિત સમાચારઃ જીરુંના ભાવમાં બિટકોઈન જેવી તેજીઃ સટોડિયાનો ખેલ કે વાસ્તવિક તેજી?
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો