MONEY9: બચત હશે, તો અચાનક આવી પડનારા ખર્ચાને પહોંચી વળશો. એટલું જ નહીં, આજે બચત કરી હશે, તો રિટાયમેન્ટ લાઈફ આરામથી જીવવા માટે કોઈની પાસે હાથ ફેલાવવાનો વારો નહીં આવે. નોકરિયાતો માટે બચત કરવાના ઘણા વિકલ્પ છે અને તેમાંથી એક વિકલ્પ છે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એટલે કે, EPF. આ સિવાય બીજો એક વિકલ્પ છે વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડ એટલે કે, વીપીએફ.
મોંઘવારી વધી રહી છે ત્યારે પણ EPFને સારો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે, કારણ કે, સ્મોલ સેવિંગ સ્કીમની સરખામણીએ તેમાં વધુ રિટર્ન મળે છે. આ કારણસર, ઘણા સ્માર્ટ ઈન્વેસ્ટર્સ EPF ખાતામાં મહત્તમ પૈસા રોકવા માટે વીપીએફને પસંદ કરે છે. EPF વત્તા VPF દ્વારા રોકાણ કરવાથી ફાયદો થાય છે, પરંતુ તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે, આ બંને રોકાણ દ્વારા જે વ્યાજ મળે તે ટેક્સેબલ ના થવું જોઈએ. એટલે કે, વ્યાજની આવક ટેક્સના દાયરાથી દૂર રહેવી જોઈએ.
એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના નિયમન હેઠળ આવતાં તમામ કર્મચારીએ બેઝિક પગારનો 12 ટકા હિસ્સો પીએફ ખાતામાં જમા કરવો પડે છે. કર્મચારી દ્વારા જેટલી રકમ જમા થાય, તેટલો જ હિસ્સો કંપનીએ પણ જમા કરવો પડે છે. પરંતુ કર્મચારી ઈચ્છે તો 12 ટકાથી પણ વધુ હિસ્સો જમા કરાવી શકે છે, અને તેના માટે વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડનો વિકલ્પ અપનાવવો પડશે. EPFની જેમ VPF પણ EPFOની જ એક યોજના છે. VPF હેઠળ, કર્મચારી પોતાની મરજી અનુસાર પીએફ ખાતામાં રોકાણ કરી શકે છે. VPF દ્વારા દર મહિને કેટલું રોકાણ કરવું છે, તેની જાણકારી કર્મચારીએ નાણાકીય વર્ષની શરૂઆતમાં પોતાની કંપનીને આપી દેવી જરૂરી છે.
વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડમાં પણ તેટલું જ વ્યાજ મળશે, જેટલું વ્યાજ EPFમાં મળે છે. સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે EPF પર 8.1 ટકા વ્યાજ નક્કી કર્યું છે. જે 2020-21ના માટે સરકારે નક્કી કરેલા વ્યાજ કરતાં 0.40 ટકા ઓછું છે. EPFના વ્યાજની સરખામણી સ્મોલ સેવિંગ સ્કીમ્સ સાથે કરીએ તો, અત્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એટલે કે PPFમાં 7.1 ટકા જ્યારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે, NSCમાં 6.8 ટકા વ્યાજ મળે છે. સરકાર આવી સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજ દરની સમીક્ષા દર 3 મહિને કરે છે.
જો કર્મચારી દ્વારા પોતાના EPF ખાતામાં નાણાકીય વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધારે કન્ટ્રીબ્યુશન કરવામાં આવે તો, અઢી લાખ રૂપિયાથી વધુ રોકાણ પર જે વ્યાજ મળશે, તે ટેક્સેબલ ગણાશે. આ વ્યાજને તમારી વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવશે અને તમારા ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવશે. અઢી લાખની કરમુક્ત મર્યાદામાં EPF વત્તા VPF, એમ બંનેમાં કરેલું રોકાણ સામેલ છે. જે કર્મચારીના કેસમાં કંપનીનું કન્ટ્રીબ્યુશન સામેલ નથી, તેમના માટે ટેક્સ-ફ્રી કન્ટ્રીબ્યુશનની લિમિટ 5 લાખ રૂપિયા છે.
તમારી સેલેરી સ્લિપમાં જોઈને અથવા બેઝિક પગારના 12 ટકા ગણીને તમે ફરજિયાત EPF કન્ટ્રીબ્યુશનનો આંકડો જાણી શકો છો. EPFમાં તમારા પગારમાંથી કપાતો હિસ્સો જાણી લીધા પછી અઢી લાખ રૂપિયામાંથી તેને બાદ કરશો, તો વૉલન્ટરી પ્રોવિડન્ટ ફંડમાં કેટલું રોકાણ કરવાથી કરમુક્ત વ્યાજની ઈનકમ મળી શકશે તેની ગણતરી પણ કરી શકશો.
ધારો કે, તમારો એક મહિનાનો બેઝિક પગાર 40,000 રૂપિયા છે. એટલે તેના 12 ટકા લેખે, પગારમાંથી 4,800 રૂપિયા EPF ખાતામાં જમા થશે, અને વર્ષે કુલ 57,600 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન જમા થશે. આ રકમને અઢી લાખમાંથી બાદ કરીએ તો, તમે દર વર્ષે વીપીએફમાં મહત્તમ 1 લાખ 92 હજાર 400 રૂપિયાનું રોકાણ કરી શકશો, અને કુલ અઢી લાખ રૂપિયાના રોકાણ પર કરમુક્તિનો લાભ મેળવી શકશો.
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ગોપાલ કેડિયા કહે છે કે, EPF ખાતામાં કર્મચારી દ્વારા થતા અઢી લાખ રૂપિયા સુધીના રોકાણ પર કોઈ ટેક્સ લાગતો નથી. અઢી લાખ રૂપિયાની ઉપર જેટલું રોકાણ કરશો અને તેના પર જે વ્યાજ મળશે, તે વ્યાજને તમારી ગ્રોસ ટોટલ ઈનકમમાં ઉમેરીને, તમારા ટેક્સ બ્રેકેટ અનુસાર ટેક્સ કાપવામાં આવશે. આ ટેક્સ લાગતો હોવા છતાં EPFમાં રોકાણ કરવાથી ફાયદો થાય છે, કારણ કે તે બેન્ક એફડીની તુલનાએ ઘણું સારું વળતર આપે છે.
દર વર્ષે પગાર વધતો જશે, તે મુજબ EPFમાં તમારું કન્ટ્રીબ્યુશન પણ વધશે. આથી, અઢી લાખ રૂપિયાની કર-મુક્ત મર્યાદા પાર ન થાય તે રીતે ગણતરી કરીને તમારે VPFમાં રોકાણ કરીને મહત્તમ બચત કરવી જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો