MONEY9: રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ મુદ્દે ગ્રાહક અને રેસ્ટોરન્ટ સંચાલક વચ્ચે તકરાર માત્ર અહીં જ નથી.. તાજેતરમાં જ નોઇડામાં એક રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ મુદ્દે તકરાર થઇ. અને વાત ત્યાં સુધી કે બંને પક્ષો છુટ્ટા હાથની મારામારી સુધી આવી ગયા. અહીં એક પરિવાર જમવા માટે આવ્યો હતો અને રેસ્ટોરન્ટે તેમના બિલ પર રૂ. 870નો તગડો સર્વિસ ચાર્જ લગાવી દીધો. પરિવારે આ ચાર્જ હટાવવા કહ્યું પરંતુ રેસ્ટોરન્ટ સંચાલક તેના માટે તૈયાર ન થયો.. અને પછી જે થયું તે જોવા જેવું હતું.
શું રેસ્ટોરન્ટ તમારી પાસેથી જબરદસ્તીથી સર્વિસ ચાર્જ વસૂલે તે યોગ્ય છે?
સર્વિસ ચાર્જ લેવો ગેરકાનૂની નથી. સર્વિસ ચાર્જ એ એક ડિસ્ક્રિશનરી ચાર્જ છે એટલે કે સર્વિસ ચાર્જ આપવો કે નહીં તે ગ્રાહકની મનસૂફી પર આધાર રાખે છે. ગ્રાહકોની બાબતના મંત્રાલયના સચિવ રોહિત કુમારે નોઇડાની ઘટના બાદ એક નોટિસ જારી કરી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે, સર્વિસ ચાર્જ એ એક ડિસ્ક્રિશનરી ચાર્જ છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને ફેડરેશન ઓફ હોટેલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાને જારી કરાયેલી નોટિસમાં કહેવાયું હતું કે, ગ્રાહક પર સર્વિસ ચાર્જ બળપૂર્વક લાદવો ના જોઇએ, ખાસ કરીને ત્યારે કે જ્યારે ગ્રાહક રેસ્ટોરન્ટની સેવાથી સંતુષ્ટ ના હોય.
ગયા વર્ષે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ સર્વિસ ચાર્જ અંગે એક ગાઇડલાઇન જારી કરી હતી. ગાઇડલાઇનમાં કહેવાયું હતું કે, કોઇ પણ હોટલ કે રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં ઓટોમેટિક રીતે કે ડિફોલ્ટ રીતે સર્વિસ ચાર્જ ઉમેરી શકે નહીં. સર્વિસ ચાર્જ અન્ય નામથી પણ વસૂલી નહીં શકાય. આ ગાઇડલાઇનને દિલ્હી હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેમાં દિલ્હી હાઇકોર્ટે તેના વચગાળાના આદેશમાં આ ગાઇડલાઇન પર સ્ટે મૂક્યો હતો. જોકે, કોર્ટે એમ કહ્યું ન હતું કે, સર્વિસ ચાર્જ ફરજિયાત રહેશે. પરંતુ રેસ્ટોરન્ટવાળાઓએ આ આદેશનો ખોટી રીતે લાભ લેવાનું શરૂ કરી દીધું.
કેટલીક રેસ્ટોરન્ટે તો કોર્ટના આ આદેશને તેમના મેનુ અને ડિસપ્લે બોર્ડ પર ડિસપ્લે કરવાનું શરૂ કરી દીધું. રેસ્ટોરન્ટવાળા દ્વારા એવું દર્શાવવામાં આવી રહ્યું છે જાણે કે ગ્રાહકે સર્વિસ ચાર્જ ચુકવવો ફરજિયાત છે, પરંતુ હકીકતમાં તેવું નથી. દિલ્હી હાઇકોર્ટે ચાલુ વર્ષે એપ્રિલમાં સ્પષ્ટતા કરી હતી કે, તેની ગાઇડલાઇનને એવી રીતે ના દર્શાવવી જોઇએ કે જેથી ગ્રાહક ગેરમાર્ગે દોરાય અને વિચારે કે કોર્ટે સર્વિસ ચાર્જ વસૂલવાની મંજૂરી આપી છે.
ગ્રાહકોની બાબતના મંત્રાલયના સચિવ રોહિત કુમારે નોટિસમાં જણાવ્યું હતું કે, જો ગ્રાહક સર્વિસ ચાર્જ માફ કરવાની વિનંતી કરે તો રેસ્ટોરન્ટે સર્વિસ ચાર્જ ફરજિયાતપણે વસૂલવા આગ્રહ ના કરવો જોઇએ.
જો તમે કોઇ રેસ્ટોરન્ટની સર્વિસથી ખુશ નથી તો શું?
શું તમારે સર્વિસ ચાર્જ ચુકવવો જ પડશે? તે સમયે કદાચ તમે તકરાર કરવાનું માંડી વાળીને સર્વિસ ચાર્જ ચુકવવાનું પસંદ કરશો. પણ જો તમને લાગતુ હોય કે તમારી સાથે છેતરપીંડી થઇ છે અને તમે તેની ફરિયાદ કરવા માગો છો.. તો તમે ફરિયાદ કરી શકો છો.
સર્વિસ ચાર્જ મુદ્દે રેસ્ટોરન્ટવાળા સાથે મારામારી કરવી યોગ્ય નથી, પરંતુ પોતાના અધિકાર માટે ના લડવું તે પણ યોગ્ય નથી. તમારી સાથે પણ આવો કોઇ વિવાદ ના થાય તે માટે તમારે રેસ્ટોરન્ટમાં જમતા પહેલાં જ તેની સર્વિસ ચાર્જ પોલીસી અંગે માહિતી લઇ લેવી જોઇએ. તમે તેમને કહી શકો છો કે જો તમને જમવાનું અને સર્વિસ સારી લાગશે તો જ તમે સર્વિસ ચાર્જ આપશો. તેમના મેનુ કે ડિસપ્લે બોર્ડ પર કોર્ટના આદેશને ખોટી રીતે રજૂ કરાયો હોય તો તમે જમતા પહેલાં જ તે બાબતે વાત કરી લો. આવી રીતે તમે તમારા અધિકારો સાથે બાંધછોડ પણ નહીં કરો અને આરામથી પરિવારજનો સાથે ભોજનનો સ્વાદ માણશો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો