MONEY9: મેરઠના ખેડૂત કપિલ ચૌધરીએ હમણાં જ 5 લાખ રૂપિયાનો પાક વેચ્યો છે. તે આ રકમ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDમાં રોકાણ કરવા માંગે છે. કપિલનું એજ્યુકેશન સારુ છે પરંતુ તે એ સમજી શકતો નથી કે આ પૈસાનું કેટલા દિવસો માટે રોકાણ કરવું. જ્યારે કપિલ બેંક પહોંચ્યો ત્યારે તેને મેનેજર દ્વારા પૂછવામાં આવ્યું કે તે ફિક્સ રેટમાં રોકાણ કરશે કે ફ્લોટિંગમાં. આ પછી કપિલની મૂંઝવણ વધુ વધી ગઈ. તમારા માટે કઈ FD યોગ્ય રહેશે, કેટલા દિવસો માટે અને ક્યાં રોકાણ કરવું? જો તમે પણ આવા બધા પ્રશ્નોથી પરેશાન છો, તો ચાલો તમને જણાવીએ કે તમે તમારી મહેનતની કમાણી પર કેવી રીતે વધારે સારું વળતર મેળવી શકો છો.
વાસ્તવમાં, ફુગાવાને અંકુશમાં લેવાની કવાયતના ભાગરૂપે, આરબીઆઈએ મે મહિનાથી નીતિગત વ્યાજ દર રેપોમાં ત્રણ વખત વધારો કર્યો છે. એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં તેમાં હજુ વધારો થઈ શકે છે. જેના કારણે બેંકો વચ્ચે FD પર વ્યાજ વધારવાની હરીફાઈ ચાલી રહી છે. લોનની માંગમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં FDના દરમાં વધારે વૃદ્ધિ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં FD તરફ લોકોનું વલણ વધે તે સ્વાભાવિક છે. પરંતુ કપિલની જેમ, મોટાભાગના લોકો એફડીમાં રોકાણની વ્યૂહરચના કેવી રીતે બનાવવી તે અંગે મૂંઝવણમાં છે.
કોરોના મહામારીના અંત પછી બજારમાં લોનની માંગ વધી છે. દુર્ગા પૂજા સાથે, દેશમાં તહેવારોની મોસમ શરૂ થવાની છે, જે નવા વર્ષ સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં ક્રેડિટની માંગ ઝડપથી વધશે. દેખીતી રીતે, આ માંગને પહોંચી વળવા માટે, બેંકો થાપણ દરોમાં વધુ વધારો કરશે. જો તમે FD લેવાનું વિચારી રહ્યા છો, તો છ મહિનાનો વિકલ્પ હાલના સમયમાં વધુ સારો રહેશે. આ એફડી મેચ્યોર થાય એટલે તે રકમનું ફરીથી રોકાણ કરો. તેનાથી તમે વધેલા વ્યાજ દરનો લાભ મેળવી શકશો. જો મોટી રકમ હોય, તો તેનું 3-4 ભાગમાં રોકાણ કરો. તેનાથી તમારા રિટર્ન પર તો કોઇ ફરક નહીં પડે , પરંતુ જો તમને મેચ્યોરિટી પહેલા પૈસાની જરૂર પડે તો તમારે સંપૂર્ણ રોકાણ તોડવું નહીં પડે. જો બેંક સમય પહેલા FD તોડવા પર પેનલ્ટી વસૂલ કરતી હોય તો પ્રમાણમાં ઓછું નુકસાન થશે.
અર્થવ્યવસ્થાને લગતા અનુમાનો દર્શાવી રહ્યા છે કે વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ રહેશે. જેના કારણે લોકો એફડીમાં લાંબા ગાળાનું રોકાણ કરતા અચકાઇ રહ્યાં છે. રોકાણકારોની આ શંકાને દૂર કરવા માટે બેંકોએ ફ્લોટિંગ એફડીના રૂપમાં એક નવો વિકલ્પ શરૂ કર્યો છે. આ યોજનામાં, રોકાણ પરના વળતરને રેપો સાથે જોડવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એક્સિસ બેંક રેપોમાં 1.6 ટકા ઉમેરીને ફ્લોટિંગ રેટ એફડી પર વ્યાજ ઓફર કરી રહી છે. રેપો લિંક્ડ એફડી હોમ અને ઓટો લોનની જેમ કામ કરશે. જો રેપો રેટ વધે છે, તો દેખીતી રીતે FDનું વળતર વધશે. આ માટે, રોકાણકારે કોઈ પેપરવર્ક કરવાનું રહેશે નહીં. જો રેપો રેટમાં ઘટાડો થશે તો એફડીનું વળતર આપોઆપ ઘટશે.
અત્યારે ટોચની સરકારી બેંકો એક થી પાંચ વર્ષની FD પર વાર્ષિક 5.25 થી 5.75 ટકા વ્યાજ આપી રહી છે. ખાનગી ક્ષેત્રની બેંકોમાં આ દર 5.60 થી 7.00 ટકાની વચ્ચે છે. સ્મોલ ફાઇનાન્સ બેંકો આ મામલે આગળ છે. આ બેંકો એક થી પાંચ વર્ષની FD પર 6.50 થી 7.50 ટકા વ્યાજ આપી રહી છે. કેટલીક બેંકોએ તેને આઝાદીના અમૃત ઉત્સવ સાથે જોડીને થોડા ઊંચા વ્યાજ દરો ઓફર કર્યા છે. આ રીતે, કેટલીક સ્મોલ ફાઇનાન્સ બેંક FD પર 8.00 ટકા સુધી વ્યાજ આપી રહી છે. નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ આનાથી પણ વધુ વ્યાજ ઓફર કરી રહી છે. એકથી પાંચ વર્ષની એફડી પરનો તેમનો વ્યાજ દર 6.50 થી 8.25 ટકાની વચ્ચે છે. મોટાભાગની બેંકો વરિષ્ઠ નાગરિકોને અડધા ટકા સુધી અને NBFCને 0.8 ટકા સુધીનું ઊંચું વ્યાજ આપી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ ડૉ.રાહુલ શર્મા કહે છે કે માર્કેટમાં લોનની માંગ વધી રહી છે. બેંકો તહેવારોની સીઝનમાં FDના વ્યાજ દર વધારવાનો સિલસિલો ચાલુ રાખશે. જેને ધ્યાનમાં લેતા, ફ્લોટિંગ રેટ એફડી હાલમાં એક સારો વિકલ્પ છે. જો રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થયા પછી બેંકો વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કરે છે, તો તમને પણ નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, ફ્લોટિંગ રેટ એફડીનો લાભ ત્યાં સુધી જ મળશે જ્યાં સુધી બેંકો દરમાં વધારો કરશે. બેંકો વ્યાજદરમાં જેવો ઘટાડો કરવાનું શરૂ કરશે, તમને નુકસાન થવાનું શરૂ થઈ જશે. જ્યારે ફિક્સ રેટ એફડી પર, બેંકો પહેલેથી જ વ્યાજ નક્કી કરે છે, જે રોકાણના સંપૂર્ણ સમયગાળા માટે ઉપલબ્ધ રહેશે. પરંતુ જો પાકતી મુદત પહેલા વ્યાજ દર વધી જાય છે, તો તમને તેનો લાભ નહીં મળે. ડૉ. શર્મા કહે છે કે હાલમાં માત્ર થોડી જ બેંકો ફ્લોટિંગ એફડીની તક આપી રહી છે પરંતુ અત્યારે લાંબા ગાળા માટે એફડી કરાવવાનો કોઈ અર્થ નથી. તમામ વિકલ્પોમાં નફા-નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી જ કોઇ અંતિમ નિર્ણય લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો