Money9: હાલના સમયમાં પ્રોપર્ટી બજારની સ્થિતિ સારી છે. મકાનોનું વેચાણ વધી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટનો એક મહત્વનો નિર્ણય આવ્યો છે. આ નિર્ણયને નોઇડા અને ગ્રેટર નોઇડાના ડેવલપરો માટે એક મોટા ઝટકા સમાન માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ ડેવલપરોને હવે જમીન લીઝ માટે બાકી પેમેન્ટ પર વધારે વ્યાજ આપવું પડશે.
હકીકતમાં સર્વોચ્ચ અદાલતે જૂન 2020માં ડેવલપરોને મોટી રાહત આપી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે લીઝ પર આપવામાં આવેલી જમીનના પેમેન્ટમાં વિલંબ થાય તો 8 ટકા વ્યાજ લગાવવાની મર્યાદા નક્કી કરી હતી. હવે તાજેતરના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વ્યાજની આ મર્યાદા દૂર કરી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2020નો આદેશ ફક્ત આમ્રપાલીના એવા પ્રોજેક્ટ્સ પર લાગુ છે, જેનું નિર્માણ સરકારી કંપની NBCC કરી રહી છે. જેનો અર્થ એ થયો કે હવે ઓથોરિટી ડેવલપરો પાસેથી વધુ વ્યાજ વસૂલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી ડેવલપરોની ચિંતા વધી છે. તો ઓથોરિટીઝને બિલ્ડરો પાસે ફસાયેલા અંદાજે 10,000 કરોડ રૂપિયા મળવાની આશા જાગી છે.
સર્વોચ્ચ અદાલતનો નિર્ણય
સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય નોઇડા અને ગ્રેટર નોઇડા ઓથોરિટીની એ અરજી પર આવ્યો છે જેમાં વર્ષ 2020ના નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. ઓથોરિટીઝ આ આદેશને મોટી જીત ગણાવી રહી છે. જ્યારે ડેવલપર આને લઇને ઘણાં નિરાશ છે. તો બીજી બાજુ ઘર ખરીદનારા ઇચ્છે છે કે તેમના સપનાના ઘરનું ફક્ત રજિસ્ટ્રેશન થઇ જાય.
ડેવલપરોના જણાવ્યા અનુસાર, જમીનના પ્રીમિયમ પર 12 ટકા વ્યાજ ઉપરાંત 3 ટકાના દરે અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવાય છે જે સરવાળે 22 થી 24 ટકા જેટલું થઇ જાય છે. ઘણાં ડેવલપરોએ ફક્ત એટલા માટે બાકી રકમની ચુકવણી નહોતી કરી કારણ કે તેમને આશા હતી કે ઓથોરિટીઝ વ્યાજના દરો ઘટાડશે. હવે તેમને ડર સતાવી રહ્યો છે કે ઓથોરિટીઝ જો વધારે વ્યાજ દરો પર બાકી લેણાંની વસૂલાત કરશે તો તેનાથી રિયલ એસ્ટેટ સેક્ટર પર અસર પડશે.
નોઇડા અને ગ્રેટર નોઇડાના રહેણાંક પ્રોજેક્ટમાં ઘર ખરીદનારા લાંબા સમયથી બિલ્ડર અને ઓથોરિટી પાસે રજિસ્ટ્રેશન કરવાની માંગ કરી રહ્યા છે. નોઇડા ઓથોરિટીએ એક નિવેદનમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ અંદાજે 40 હજાર ઘર ખરીદનારા ફ્લેટનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. તો બીજી બાજુ ડેવલપર્સનું માનવું છે કે આનાથી ઘર ખરીદનારાની મુશ્કેલીમાં વધારો થશે.
નિર્ણયથી શું અસર થશે
ક્રેડાઇ એનસીઆરના પ્રેસિડેન્ટ અને ગૌડ સંસ ગ્રુપના સીએમડી મનોજ ગૌડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વ્યાજ દરના મહત્વના મુદ્દે અનિશ્ચિતતાની સ્થિતિ દૂર થઇ છે. જો કે, ઓથોરિટીએ વ્યાજ દરો અને આને વસૂલવાની રીત પર જરૂર પુર્નવિચાર કરવો જોઇએ. જો આવી જ વ્યવસ્થા રહી તો બીજા ઘણાં પ્રોજેક્ટ NCLTની પાસે પહોંચી જશે. આવી સ્થિતિમાં ખરીદનાર, બેંકો અને ઓથોરિટી સહિત તમામ સંભવિત પક્ષોને ફક્ત નુકસાન જ થશે. અમે આશા રાખીએ છીએ કે ઓથોરિટી બાકી લેણાંને એકસાથે જ વસૂલવાની કોઇ સ્કીમ લઇને આવશે.
આવો જાણીએ આ નિર્ણયની સૌથી વધુ જ્યાં અસર પડશે ત્યાં કેવી છે ઘરોની હાલત. રિયલ એસ્ટેટ ડેવલપરોના સંગઠન ક્રેડાઇના અનુસાર, નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં 1 લાખ 90 હજાર ઘર અટકેલા પડ્યા છે. જેની કુલ કિંમત એક લાખ કરોડ રૂપિયા છે. જ્યારે 36 રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો