Money9 Gujarati:
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે વિશ્વાસ વ્યક્ત છે કે, મોંઘવારી નિયંત્રણમાં આવી હોવાથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પોલિસી રેટમાં ઘટાડો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પોલિસી રેટ રેપો ફેબ્રુઆરી 2023થી 6.5 ટકાના ઉચ્ચ સ્તરે યથાવત્ છે. મોંઘવારીને અંકુશમાં લાવવા માટે RBIએ રેપો રેટ 4 ટકાથી ધીમે ધીમે વધારીને 6.5 ટકાએ પહોંચાડ્યા છે, પરંતુ હવે મોંઘવારીનો દર ઘટ્યો હોવાથી RBI રેપો રેટ ઘટાડે તેવી શક્યતા છે.
ગોયલે 19 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે દેશનો આર્થિક પાયો મજબૂત છે અને મોંઘવારી નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે ભારતમાં 10 વર્ષનો સરેરાશ મોંઘવારી દર 5થી 5.5 ટકાની આસપાસ રહ્યો છે. આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દશક હતો અને તેના કારણે વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને કેન્દ્રીય બેંક વધુ મજબૂત બની હતી અને હવે વ્યાજદરમાં ઘટાડો કરવાની ક્ષમતા ધરાવે છે.
તેમણે કહ્યું કે, “અલબત્ત છેલ્લા દોઢ વર્ષમાં યુક્રેન કટોકટી બાદ વ્યાજ દરમાં 2.50 ટકાનો વધારો થયો છે. પરંતુ હવે ફુગાવો મોટાભાગે નિયંત્રણમાં છે, મને આશા છે કે વ્યાજ દરની સ્થિતિ બદલાશે અને ટૂંક સમયમાં નીચે આવશે. ભલે વ્યાજ દરમાં આ ઘટાડો આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં અથવા તે પછીની બીજી નાણાકીય નીતિ સમીક્ષામાં થાય.”
જો રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરે છે, તો કંપનીઓ અને વ્યક્તિઓ બંને માટે ઋણ લેવાનો ખર્ચ ઘટશે અને પરિણામે EMI (લોનનો માસિક હપતો) ઓછો થશે. 8 ફેબ્રુઆરીના રોજ, સેન્ટ્રલ બેંકે સતત છઠ્ઠી વખત પોલિસી રેટ રેપોને 6.5 ટકા પર જાળવી રાખ્યો હતો.
RBIની આગામી નાણાકીય નીતિ સમીક્ષા 5 એપ્રિલે થશે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો આ વર્ષે જાન્યુઆરીમાં 5.1 ટકા હતો, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 6.52 ટકાના સ્તરે હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો જાન્યુઆરીમાં 0.27 ટકાના ત્રણ મહિનાના નીચલા સ્તરે હતો. જથ્થાબંધ ફુગાવાનો દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે નીચે આવ્યો છે.
19 લેટિન અને કેરેબિયન દેશોના 35 પત્રકારોને સંબોધતા, ગોયલે એમ પણ કહ્યું કે સરકાર વર્તમાન 3,700 અબજ ડૉલરથી વધીને 2047 સુધીમાં 30,000 અબજ ડૉલરથી 35,000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
US ફેડરલ રિઝર્વ પણ ચાલુ વર્ષના અંત સુધીમાં વ્યાજના દરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. એક અંદાજ છે કે, જૂન 2024 સુધીમાં અમેરિકામાં વ્યાજ દરમાં ઓછામાં ઓછા 0.25 ટકાનો ઘટાડો થઈ શકે છે. જો અમેરિકા વ્યાજના દરમાં ઘટાડો શરૂ કરશે તો ભારત જેવા ઊભરતા દેશોમાં પણ તેમજ વિશ્વના અન્ય દેશોમાં પણ વ્યાજ દરમાં ઘટાડાની શરૂઆત થઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો