RBIએ NBFCને આપી કડક સૂચનાઃ Rs 20,000થી વધારે કેશ લોન નહીં આપવાનો નિયમ પાળો
કોઈ પણ NBFCએ Rs 20,000થી વધારે રકમની લોન રોકડમાં ન આપવાની સૂચના આપવામાં આવી છે. ભારતમાં રિટેલ લોન ઝડપથી વધી રહી છે અને ખાસ તો છેલ્લાં 4 વર્ષમાં ગોલ્ડ લોનનું પ્રમાણ 3 ગણું વધી ગયું છે.
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC)ને ચુકવણી મર્યાદા મુજબ રોકડમાં લોનનું વિતરણ કરવા જણાવ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, RBIએ એક પત્રમાં NBFCને રોકડ લોનનું વિતરણ કરતી વખતે 20,000 રૂપિયાની મર્યાદાનું કડક પાલન કરવા કહ્યું છે. આ સૂચના એવા સમયે આપવામાં આવી છે જ્યારે RBI રોકડ વ્યવહારો રોકવાનું લક્ષ્ય બનાવી રહી છે.
રિપોર્ટમાં શું જણાવવામાં આવ્યું છે?
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “કૃપા કરીને આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 269SS ની જોગવાઈઓનો સંદર્ભ લો. તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ 20,000 રૂપિયાથી વધુની લોન રોકડમાં લઈ શકે નહીં. તેથી, કોઈપણ NBFCએ લોનની રકમ 20,000 રૂપિયાથી વધુ રોકડમાં આપવી જોઈએ નહીં.
શા માટે કરી કાર્યવાહી?
RBIએ IIFL Financeને તેના ડેટ મેનેજમેન્ટમાં મોટી ક્ષતિઓને કારણે તેની ગોલ્ડ લોન કામગીરી બંધ કરવાનો નિર્દેશ આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. IIFL ફાઇનાન્સનું ગોલ્ડ લોન ઓપરેશન તેના કુલ બિઝનેસમાં એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. સોનાની શુદ્ધતા અને વજનની તપાસમાં ખામીઓ, રોકડ લોન પર વૈધાનિક મર્યાદાના ઉલ્લંઘન અને ગ્રાહક ખાતાની ફીમાં પારદર્શિતાના અભાવને કારણે RBIએ IIFL ફાયનાન્સને ગોલ્ડ લોનનું વિતરણ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં રિટેલ લોન ઝડપથી વધી રહી છે અને ખાસ તો છેલ્લાં 4 વર્ષમાં ગોલ્ડ લોનનું પ્રમાણ 3 ગણું વધી ગયું છે. ગોલ્ડ લોનની મોટા ભાગની રકમ રોકડમાં આપવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.
NBFC સામે RBIની કાર્યવાહી COVID-19 રોગચાળાને પગલે રિટેલ લોનમાં ઉછાળા વચ્ચે આવી છે, જેણે નિયમનકારને સક્રિય પગલાં લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
Published - May 8, 2024, 08:00 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો