Money9: ફેસ્ટિવ સીઝનમાં ખરીદીનો જોશ સાતમા આસમાને હોય છે. દિવાળીના પ્રસંગે દરેક સેક્ટરમા માંગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. સતત મોંઘી થવા છતાં દેશમાં હોમ લોનની માંગ ઝડપથી વધી રહી છે. આરબીઆઇના આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બરમાં વાર્ષિક આધારે ક્રેડિટ ગ્રોથ 16 ટકાની ઉપર રહ્યો જે છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ છે.
ઘરોના વેચાણની દ્રષ્ટિએ 2022નું વર્ષ શાનદાર સાબિત થઇ રહ્યું છે. રિયલ્ટી કન્સલ્ટન્સી ફર્મ એનારોકના રિપોર્ટ અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરની વચ્ચે મકાનોનું વેચાણ 2.72 લાખ યૂનિટ રહ્યું જે કોવિડ કાળના પહેલા એટલે કે વર્ષ 2019ના વેચાણના આંકડાથી વધુ છે. તે સમયે 2.61 લાખ યૂનિટનું વેચાણ થયું હતું. આ વર્ષે આ આંકડો 3.6 લાખ યૂનિટ સુધી પહોંચવાનું અનુમાન છે.
સારી રીતે હોમવર્ક કરી લો
જો તમે પણ ઘરનું સપનું પૂર્ણ કરવાનું વિચારી રહ્યા છો તો હોમ લોન અંગે સારી રીતે હોમવર્ક કરી લો. સામાન્ય રીતે હોમ લોન લેતી વખતે લોકો વ્યાજ દરોની તુલના કરે છે. પરંતુ લોન માટે અરજી કરતી વખતે બેંક અને ફાઇનાન્સ કંપનીઓ તરફથી વસૂલાતા હિડન ચાર્જિસને અવગણે છે. આ બેદરકારી આગળ જઇને ઘણી ભારે પડે છે. આ બોજને હલકો કરવા માટે લોન લેતી વખતે આ ચાર્જિસ અંગે બરોબર તપાસ કરી લો. આવો સમજીએ કે તે કયા-કયા ચાર્જિસ છે જે હોમલોન લેતી વખતે વસૂલવામાં આવે છે.
હોમ લોન માટે અરજી કરતી વખતે લોકો વિચારે છે કે પ્રોસેસિંગ ફીના નામે બેંક ફક્ત એક ચાર્જ વસૂલે છે. જ્યારે આ સિવાય પણ અનેક પ્રકારના ચાર્જ વસૂલવામાં આવે છે. મોટાભાગના કિસ્સામાં બેંક લોનની એક નિશ્ચિત ટકાવારી કે એક નિયત રકમ પ્રોસેસિંગ ફી તરીકે વસૂલે છે. લોનની પ્રોસેસિંગ ફી 0.2 ટકાથી લઇને બે ટકા સુધી હોય છે. આ ચાર્જની લઘુત્તમ અને મહત્તમ મર્યાદા પણ હોઇ શકે છે જે બેંકોના નિયમ અને શરતોના આધારે નિર્ધારિત થાય છે.
એડમિનિસ્ટ્રેશન ચાર્જ
હોમ લોન આપતા પહેલા તમામ નાણાકીય સંસ્થાઓ પ્રોપર્ટીનું બજાર ભાવના આધારે મૂલ્યાંકન કરાવે છે. ભવિષ્યમાં કોઇ કાયદાકીય ચુંગાલથી બચવા માટે લીગલ તપાસ પણ કરાવે છે. બેંક લીગલ અને મૂલ્યાંકન કરાવવા માટે અલગ-અલગ ફીસ વસૂલે છે. જેના માટે માર્કેટ્સ એક્સપર્ટ્સની સેવાઓ લેવામાં આવે છે. એડમિનિસ્ટ્રેશન ચાર્જ પ્રોપર્ટીની વેલ્યૂના અડધા ટકા સુધી હોઇ શકે છે. જ્યારે આપણે મકાન ખરીદવા માટે લોન લઇએ છીએ ત્યારે આ લોનની રકમ પર કોઇ જીએસટી નથી આપવો પડતો. પરંતુ લોન લઇએ ત્યારે પ્રોસેસિંગ વગેરે માટે જે ચાર્જ આપીએ છીએ તેની પર 18 ટકાના દરે જીએસટીની ચુકવણી કરવી પડે છે.
કેટલીક બેંક મેમોરેન્ડમ ઓફ ડિપોઝિટ ઓફ ટાઇટલ ડીડ એટલે કે એમઓડીટીના નામે ચાર્જ વસૂલ કરે છે. આ ચાર્જ સંપત્તિની ટાઇટલ ડીડને બંધક બનાવવાની પ્રક્રિયા માટે વસૂલવામાં આવે છે. જ્યાં સુધી તમે પૂરો ચાર્જ નથી ચૂકવી દેતા ત્યાં સુધી એમઓડીટી તમારી સંપત્તિમાં ધિરાણકર્તાનો હિસ્સો દર્શાવે છે. આ ચાર્જમાં સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જ સામેલ છે. આ રીતે જ્યારે તમે લોન માટે અરજી કરો છો તો બેંકોએ ઘણાં દસ્તાવેજ લાંબા સમય સુધી સુરક્ષિત અને મેનેજ કરવાના હોય છે. તેને સુરક્ષિત રાખવા માટે કેટલીક બેંકો ચાર્જ વસૂલ કરે છે. જ્યારે કેટલીક બેંક આ ખર્ચને પ્રોસેસિંગ ફીમાં ઉમેરી દે છે. આ ખર્ચને તે અલગ હેડમાં નથી દર્શાવતા.
અન્ય ચાર્જ
હોમલોન પર વસૂલમાં આવતા ચાર્જની યાદી ઘણી લાંબી છે. આ ખર્ચમાં આકસ્મિક ચાર્જ, ચેક રાઇડર, ક્રેડિટ સ્કોર એક્સેસ વગેરે ચાર્જ સામેલ હોય છે. આ અંગે જુદીજુદી બેંકોના ચાર્જ અલગ-અલગ હોય છે. ઘણીવાર બેંક અરજદારના જીવન વીમા, આરોગ્ય વીમા, અને ફ્લેટના ઇન્શ્યોરન્સના નામે ભારે-ભરખમ રકમ વસૂલે છે. ઘણીવાર આ રકમ લોનની રકમમાં જ ઉમેરી દેવામાં આવે છે. લાંબાગાળામાં આની અવેજમાં બહુ મોટી રકમ ચૂકવવી પડે છે.
બેંકિંગ એક્સપર્ટ કે.બી.સિંહ કહે છે કે આરબીઆઇએ હોમલોનના ચાર્જિસ માટે કેપિંગ કરી રાખ્યુ છે. છતાંપણ હોમ લોન માટે અરજી કરતા પહેલાં બેંકોના ચાર્જ અંગે વિગતવાર જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઇએ. ગ્રાહકે ફક્ત હોમ લોનના વ્યાજ દર પર જ ધ્યાન ન આપવું જોઇએ પરંતુ બેંક કઇ-કઇ વસ્તુના બદલામાં કેવા કેવા ચાર્જ વસૂલી રહી છે તે ધ્યાનમાં લઇને આ ચાર્જને ઓછા કરાવવા માટે બેંક સાથે ભાવતાલ કરવો જોઇએ. જો તમારો સિબિલ સ્કોર સારો છે તો બેંક ચાર્જમાં થોડોક ઘટાડો કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો