MONEY9: લોન લેવાથી પોતાનું ઘર બનાવવાનું સપનું પૂર્ણ કરવામાં મદદ મળે છે. એટલે હોમ લોન (HOME LOAN) લેનારાની સંખ્યા પણ વધી રહી છે. પરંતુ હોમ લોન પર જે રીતે વ્યાજદરો (INTEREST RATE) વધી રહ્યાં છે તેનાથી લોન બોજારૂપ બની રહી છે.
RBIનો એપ્રિલ 2022માં આવેલો ગ્રોસ બેંક ક્રેડિટ રિપોર્ટ એ દર્શાવે છે કે બેંકોએ કયા સેક્ટરમાં કેટલી લોન આપી છે. 34 લાખ કરોડની કુલ પર્સનલ લોનમાં અડધો હિસ્સો હોમ લોનનો છે. અંદાજે 17 લાખ કરોડ રૂપિયાની હાઉસિંગ લોન છે. તેમાં એપ્રિલ 2021ની સરખામણીમાં 13.7 ટકાની વૃદ્ધિ થઇ છે.
રિઝર્વ બેંકના નીતિગત દરોમાં દરેક 50 બેઝિસ પોઇન્ટનો વધારો લોનની EMI ને 4 ટકા વધારી દે છે. બે રેટ હાઇક બાદ RBIએ મે-જૂનમાં 90 બેઝિસ પોઇન્ટનો વ્યાજમાં વધારો કર્યો છે. આવામાં EMI વધવાનો સમય આવી ગયો છે. 10 વર્ષના ટેન્યોરવાળી 35 લાખ રૂપિયાની હોમ લોન, કે જેની પર 7.1 % નું વ્યાજ હતું હવે તે વધીને 8 % થઇ ગયું છે. 40 હજાર 818 રૂપિયાની EMI વધીને 42 હજાર 465 રૂપિયા થઇ જશે. કુલ લોન પર વ્યાજ ચુકવણી પણ 13.98 લાખથી વધીને 15.96 લાખ થઇ જશે. લોન પર વધેલો ખર્ચ જો તમારા બજેટને બગાડી નાંખે તો ડિફૉલ્ટની પરિસ્થિત આવી શકે છે.
ડિફૉલ્ટથી બચવા માટે આ ચાર પગલાંને અનુસરો-
1) ફિકસ્ડ ડિપોઝિટ જેવા પોતાના રોકાણમાંથી પૈસા કાઢીને વધારાના ફંડની વ્યવસ્થા કરો.
2) પોતાના ખર્ચાને ઘટાડીને લોન ચુકવવાની વ્યવસ્થા કરો.
3) જો તમારી પાસે ઇમરજન્સી ફંડ છે તો તેનો ઉપયોગ કરો.
4) પર્સનલ લોન લઇને પૈસાની વ્યવસ્થા કરવાની પરિસ્થિતિ આવે તો તેનો અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરો. ઘણી સંસ્થા પોતાના કર્મચારીઓને પર્સનલ લોન આપે છે તો પોતાની ઓફિસમાં એવી કોઇ સ્કીમ હોય તો તે અંગે તપાસ કરો.
લોનના હપ્તામાં વિલંબ માઇનોર ડિફૉલ્ટ ગણવામાં આવે છે અને તેનું સંપૂર્ણ રીતે ચૂકી જવું મેજર ડિફોલ્ટ ગણાશે. ડુબેલી લોન એટલે કે નૉન પર્ફોર્મિંગ એસેટમાં લોનને સામેલ કરતાં પહેલા તમને તમારી બેંક ચેતવણીની સાથે પેમેન્ટ માટે સમય આપે છે.
સૌથી પહેલા એક કે બે સપ્તાહનો ભલે વિલંબ થાય પણ જો તમે પેમેન્ટ કરી દેશો તો બેંક ડ્યૂ ઇન્સ્ટોલમેન્ટ પર 1 થી 2%ની પેનલ્ટી લગાવશે. પરંતુ આ વિલંબ 30 દિવસથી વધારેનો થઇ જાય તો વાત બગડી શકે છે. અને 90 દિવસના વિલંબમાં સંપત્તિ જપ્ત પણ થઇ શકે છે.
જ્યારે EMI ચૂકવવામાં 90 દિવસનો વિલંબ થાય તો મેજર ડિફૉલ્ટ બની જાય છે. આ સ્થિતિમાં લોનને ડૂબેલી લોન માનવામાં આવશે અને બેંક લોન રિકવરીની પ્રક્રિયા શરૂ કરી શકે છે. 2002માં બનેલો સરફેસી કાયદો એટલે કે સિક્યુરીટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ( Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest ACt ) બેંકને લોન લેનારની સંપત્તિ જપ્ત કરવા અને વેચવાનો અધિકાર આપે છે, જેથી બાકી લોનની વસૂલાત થઇ શકે. જ્યારે કોઇપણ રીતે લોનની વસૂલાત ન થઇ શકે તેમ હોય ત્યારે બેંક આ પ્રકારનું પગલું ભરી શકે છે.
નિષ્ણાતની સલાહ
લોન એડવાઇઝર મંદાર જલકીકર કહે છે કે જો આર્થિક મુશ્કેલીના કારણે લોનનો હપ્તો ભરવામાં અસમર્થ છો તો બેંકથી ભાગો નહીં પરંતુ બેંકને સમગ્ર સ્થિતિથી વાકેફ કરો. તમે તમારા પોતાના રોકાણ કે ઘરના સભ્યો પાસેથી ઉછીના પૈસા લઇને પણ શક્ય હોય ત્યાં સુધી EMIને બાઉન્સ ન થવા દેશો.
લોનધારક બેંક સાથે વાત કરીને વચ્ચેનો રસ્તો કાઢવાનો આગ્રહ કરી શકે છે. જે મુજબ જો પૂરી EMI ન ચૂકવી શકો તો કેવળ વ્યાજ ચૂકવવાની મંજૂરી લો કે પછી રીસ્ટ્રક્ચરિંગ દ્વારા લોનના સમયગાળાને વધારવા કે કેટલાક સમય સુધી લોન નહીં ચૂકવવા માટે મોરેટોરિયમની માંગ પણ કરી શકો છો.
ધ્યાન રાખો કે હોમ લોનની એક મહિનાની EMI ની ચુકવણી ન થવાનો અર્થ એ છે કે તમારા ક્રેડિટ સ્કોરમાં 50 પોઇન્ટનો ઘટાડો. અને ક્રેડિટ સ્કોર એકવાર ખરાબ થયો તો તેને સુધારવામાં વર્ષો લાગી જાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો