Money9 Gujarati:
દેશભરનાં કૃષિ બજારમાં ખરીફ પાકની આવક શરૂ થઈ ગઈ છે. ગાંધી જયંતિની રજા બાદ દેશનાં મુખ્ય પીઠાઓમાં 9 ખરીફ પાકમાંથી 6 પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કરતાં ઊંચા ભાવે સોદા થયા હોવાના વાવડ મળ્યાં છે. બજારમાં ધીમી ગતિએ માલ આવી રહ્યો છે અને ઉત્પાદનના કાચા-પાકા અંદાજ મળી રહ્યાં હોવાથી બજાર ભાવ ટેકાના ભાવ કરતાં વધારે બોલાયો છે. કપાસ, મગફળી, તુવેર, અડદ, જુવાર અને મકાઈના ભાવ 3 ટકાથી 54 ટકા વધારે બોલાઈ રહ્યાં છે જ્યારે સોયાબીન, મગ અને બાજરામાં ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે સોદા પડ્યા છે. દેશમાં ખરીફ માર્કેટિંગ સીઝન 1 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની રજા બાદ પીઠાઓમાં ખરીફ પાકની આવક શરૂ થઈ છે.
ટેકાના ભાવ (MSP) કરતાં બજાર ભાવ વધારે
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના Agmarknet પોર્ટલ પરથી મળતો ડેટા દર્શાવે છે કે, દેશભરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે મુખ્ય 9 ખરીફ પાકના ભાવ અલગ-અલગ બોલાઈ રહ્યાં છે. એવરેજ ભાવની વાત કરીએ તો, જુવાર, તુવેર, મગફળી, અડદ, કપાસ અને મકાઈના ભાવ MSP કરતાં 3 ટકા-54 ટકા વધારે છે. મગ અને બાજરીના ભાવ MSP કરતાં અનુક્રમે 11 ટકા અને 22 ટકા નીચા છે.
ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો સંબંધ
જે પાકના ભાવ MSP કરતાં વધારે છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે, સપ્લાય ઓછો છે. જે સેન્ટરમાં ટેકાના ભાવ કરતાં વધારે ભાવ બોલાયા હશે ત્યાં સપ્લાય ઓછો હોવો જોઈએ. બીજું પરિબળ છે ઉત્પાદનનો અંદાજ. ખરીફ પાકનું વાવેતર કેટલા વિસ્તારમાં થયું છે તેના આધારે ઉત્પાદનનો અંદાજ કાઢવામાં આવે છે. જો ઓછું ઉત્પાદન થવાનો અંદાજ હોય તો બજારમાં માલ ઓછો આવવાની શક્યતા છે, જેના લીધે પણ ભાવ ઊંચકાઈ શકે છે, એમ કૃષિ બજારનાં નિષ્ણાત એસ. ચંદ્રસેકરન જણાવે છે.
મહારાષ્ટ્રમાં જવારની સરેરાશ કિંમત 4,884 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઈ છે જ્યારે MSP 3,180 રૂપિયા છે. આમ, જવારમાં ટેકાના ભાવ કરતાં 54 ટકા વધારે બજાર ભાવ છે. કર્ણાટકમાં મકાઈનો સરેરાશ બજારભાવ પ્રતિ ક્વિનટ્લ 2,150 રૂપિયા છે જ્યારે ટેકાનો ભાવ 2,090 રૂપિયા છે. આમ મકાઈમાં બજારભાવ 3 ટકા વધારે છે.
સૌરાષ્ટ્રમાં કપાસની આવક
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રથી આવતો કપાસ પ્રતિ મણ 1,400થી 1,500 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યો છે. જસદણમાં તો પ્રતિ મણ 1,570 રૂપિયાનો ભાવ પણ બોલાયો છે જ્યારે ખરાબ ક્વૉલિટીનો માલ નીચામાં 1,400 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે. વેપારીઓ જણાવે છે કે, રજાઓ બાદ નવો માલ આવવાનું શરૂ થયું છે અને આગામી દિવસોમાં આવક વધશે તે પ્રમાણે ભાવમાં વધ-ઘટ જોવા મળશે. આગામી દિવસોમાં રૂ બજારમાં ડિમાન્ડ અને કપાસની વેચવાલીના આધારે બજારની ચાલ નક્કી થશે.
રાજકોટ યાર્ડમાં નવા કપાસની ૧૪થી ૧૫ હજાર મણની આવક શરૂ થઈ છે. અત્યારે જૂનામાં ભાવ 4Gમાં 1,550થી 1,570 રૂપિયા, A-ક્વૉલિટીમાં 1,530થી 1,550 રૂપિયા, B-ક્વૉલિટીમાં 1,500થી 1,530 રૂપિયા, C-ક્વૉલિટીમાં 1,400થી 1,500 રૂપિયા ભાવ બોલાયા છે. નવા કપાસમાં A-ગ્રેડમાં 1,470થી 1,530 રૂપિયા, B-ગ્રેડમાં 1,300થી 1,400 રૂપિયાઅને C-ગ્રેડમાં 1,120થી 1,280 રૂપિયા ભાવ બોલાયા છે.
મગફળી બજારના હાલ
ખેડૂતો હવે મગફળી વાઢવા લાગ્યા છે અને ભાવ ઘટે એ પહેલાં સોદા કરવા માંગે છે. આથી મગફળીની બજાર થોડી નરમ છે અને વેપારીઓ વધારે ભાવ આપતા નથી. ગોંડલ અને ડીસા જેવા મુખ્ય માર્કેટ યાર્ડમાં મગફળીની 50,000 બોરીની આવક નોંધાઈ છે, આથી પિલાણ મગફળીનાં ભાવ થોડાક નરમ પડ્યાં છે અને દાણાબરમાં ક્વૉલિટી પ્રમાણે ભાવ ઘટ્યા છે. ખેડૂતો જણાવે છે કે, અત્યારે હવાવાળો માલ આવી રહ્યો છે, એટલે ભાવ દબાણમાં છે. મગફળીનાં દલાલો અને એજન્ટો કહે છે કે, ગાંધી જયંતિની રજા પછી ધીમે ધીમે મગફળીની આવક વધશે અને માત્ર સૌરાષ્ટ્રમાં નવી મગફળીની 1 લાખથી 1.5 લાખ ગુણી આવક થવાનો અંદાજ છે.
37 નંબરની મગફળીના ભાવ પ્રતિ મણ 1,200થી 1,400 રૂપિયા જ્યારે 24 નંબરમાં 1,200થી 1,625 રૂપિયા, 39 નંબરમાં હવાવાળો માલ હોય તો મહત્તમ 1,150 રુપિયા, મીડિયમ માલ હોય તો 1,200થી 1,450 રૂપિયા, રોહિણીના 1,200થી 1,350 રૂપિયા જ્યારે G20માં 1,450 રૂપિયા ભાવ બોલાયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો