Money9 Gujarati:
સરકાર 2024-25ના માર્કેટિંગ વર્ષ માટે 6 રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં 2 ટકાથી 7 ટકા સુધીનો વધારો કરી શકે છે. સરકારના વરિષ્ઠ અધિકારીઓના કહેવા પ્રમાણે, શિયાળુ પાકમાં ખાસ તો, ઘઉં અને મસૂરના ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો થવાની અપેક્ષા છે. ભારતના કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં રવિ સીઝનનો હિસ્સો લગભગ 50 ટકા છે. અત્યારે પણ સરકારને ખેડૂતો પાસેથી ખરીદી વધારવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે ઓપન માર્કેટમાં ઊંચા ભાવ મળતાં હોવાથી ખેડૂતો સરકારને માલ વેચવાનું ટાળે છે. ઓછામાં પૂરું ચૂંટણીઓ આવી રહી છે.
લઘુત્તમ ટેકાના ભાવને કારણે ખેડૂતોને ઓછામાં ઓછી આવકની ગેરન્ટી મળે છે. ટેકાનો ભાવ નક્કી થવાથી ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે છે. સરકારને પણ ખાદ્ય સુરક્ષાના મોરચે પરિસ્થિતિ કાબુમાં રાખવામાં મદદ મળે છે.
વર્તમાન ટેકાના ભાવ
ઘઉં – Rs. 2,125
જવ – Rs. 1,735
ચણા – Rs. 5,335
મસૂર – Rs. 6,000
રેપસીડ અને મસ્ટર્ડ – Rs. 5,450
સનફ્લાવર – Rs. 5,650
ઘઉં અને મસૂરના ભાવમાં મહત્તમ વધારો થવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે, સરકારે ગઈ સીઝનમાં મુખ્ય રવિ પાક ઘઉંનો ટેકાનો ભાવ 5.5 ટકા વધારીને પ્રતિ ક્વિન્ટલ 2,125 રૂપિયા કર્યો હતો જ્યારે મુખ્ય રવિ દાળમાં સ્થાન ધરાવતી મસૂરનો ટેકાનો ભાવ 9.1 ટકા વધીને 6,000 રૂપિયા કર્યો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું છે કે, ગઈ સીઝનની તુલનાએ આગામી સીઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ 7 ટકા વધીને 2,275થી 2,300 રૂપિયા જ્યારે મસૂરનો ટેકાનો ભાવ 6,425-6,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે. ટેકાના ભાવ વધશે તો ફૂડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (FCI) નાફેડ (નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા) અને NCCF (નેશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા લિ.)ને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં અનાજ અને કઠોળ-દાળની ખરીદી કરવામાં મદદ મળશે.
ચણા અને જવનો ટેકાનો ભાવ કેટલો વધશે?
મીડિયા રિપોર્ટ્સમાં નોંધ્યા પ્રમાણે, જવ અને ચણાના લઘુત્તમ ટેકાના ભાવમાં ગયા વર્ષ જેવો જ વધારો થઈ શકે છે. ચણાનો ટેકાનો ભાવ 2 ટકા જેટલો નજીવો વધીને 5,440થી 5,475 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે જ્યારે જવનો ટેકાનો ભાવ 6.6 ટકા વધીને 1,850થી 1,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઈ વખતે સરકારે માર્કેટિંગ વર્ષ 2023-24 માટે ચણાનો ટેકાનો ભાવ 2 ટકા વધારીને 5,335 રૂપિયા કર્યો હતો જ્યારે જવનો ભાવ 6.1 ટકા વધારીને 1,735 રૂપિયા કર્યો હતો.
સરસવનો ટેકાનો ભાવ 4% વધી શકે છે
રેપસીડ અને સરસવનો લઘુત્તમ ટેકાનો ભાવ 3.6થી 4 ટકા વધારીને 5,650થી 5,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવે તેવો અંદાજ છે. અત્યારે રેપસીડ અને સરસવનો ટેકાનો ભાવ 5,450 રૂપિયા છે. સનફ્લાવરનો ટેકાનો ભાવ 2.6 ટકાથી 3 ટકા વધારીને 5,800થી 5,850 રૂપિયા થઈ શકે છે. અત્યારે સનફ્લાવરનો ટેકાનો ભાવ 5,650 રૂપિયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો