સરકારના વેરહાઉસમાં ઘઉંનો જથ્થો 7 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ઘઉંનો સ્ટોક ઘટીને 97 લાખ મેટ્રિક ટન નોંધાયો છે, જે 2017 પછીનું સૌથી નીચું સ્તર છે. સપ્લાય વધારવા માટે અને વધતા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે સ્થાનિક બજારમાં ઘઉંનું વેચાણ વધાર્યું હોવાથી ગોદામોમાં જથ્થો ઘટ્યો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) અનુસાર, માર્ચની શરૂઆતમાં દેશભરનાં વેરહાઉસમાં ઘઉંનો જથ્થો 97 લાખ ટન હતો, તેની તુલનાએ માર્ચ 2022માં જથ્થો 117 લાખ ટન હતો.
પુરવઠામાં ઘટાડો થવા છતાં, સરકાર ઘઉંની આયાત પરની 40 ટકા ડ્યૂટી ઘટાડશે અથવા દૂર કરશે તેવી અપેક્ષા નથી. તે જ સમયે, સરકારે રશિયા જેવા ટોચના સપ્લાયર્સ પાસેથી સીધી આયાતને પ્રોત્સાહિત કરવાનો વિરોધ પણ કર્યો છે.
સરકારે તેના બદલે લોટ મિલો અને બિસ્કિટ ઉત્પાદકો જેવા જથ્થાબંધ ખરીદદારોને ઘઉં વેચવા માટે રાજ્યના સ્ટોકનો આશરો લીધો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા પાકની લણણીના સમયથી ઘઉંની કિંમત સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ ખરીદ કિંમત કરતા વધારે છે. આવી સ્થિતિમાં, વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે, સરકાર તેના વેરહાઉસમાંથી સ્ટોક ઘટાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જૂન 2023માં સરકારે ખાનગી વેપારીઓને ઘઉં વેચવાનું શરૂ કર્યું હતું. ગયા મહિનાના અંત સુધીમાં, સરકારે 90 લાખ ટનથી વધુ ઘઉંનું વેચાણ કર્યું હતું. નોંધનીય છે કે 2020માં, ભારતે કોવિડ લોકડાઉન દરમિયાન અનાજની અછતને દૂર કરવા માટે કરોડો ભારતીયોને મફત ઘઉંનું વિતરણ કર્યું હતું.
વધતા તાપમાનને કારણે ઉત્પાદનમાં ઘટાડો થતાં ભારતે 2022માં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં પુરવઠામાં ઘટાડો થવાને કારણે ઘઉંની માંગમાં વધારો થયો હતો.
Published - March 12, 2024, 09:45 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો