Money9 Gujarati:
કઠોળની મોંઘવારી છેક દિવાળી સુધી હેરાન કરે તેવી શક્યતા છે. કઠોળમાં ડિમાન્ડ અને સપ્લાયનું ગણિત ખોરવાઈ ગયું છે અને જ્યાં સુધી નવો માલ બજારમાં નહીં આવે ત્યાં સુધી કઠોળના ભાવ ઊંચા રહેવાની ધારણા છે. કઠોળમાં ફુગાવાનો દર છેલ્લાં ઘણા મહિનાથી ઊંચો છે અને ઓક્ટોબરમાં નવો પાક આવશે પછી તેમાં રાહત મળવાની શક્યતા છે.
ગયા વર્ષના એપ્રિલમાં કઠોળનો ફુગાવાનો દર 5.3 ટકા હતો, જે એપ્રિલ 2024માં વધીને 16.8 ટકા હતો, તેમાં તુવેરનો ફુગાવાનો દર 31.4 ટકા, ચણામાં 14.6 ટકા અને અડદમાં 14.3 ટકા ફુગાવો હતો. એપ્રિલમાં ખાદ્ય ફુગાવાનો દર 8.7 ટકા રહ્યો હતો. કઠોળની મોંઘવારીનો દર છેક માર્ચ 2023થી બે આંકડામાં રહ્યો છે.
નિષ્ણાતો કહે છે કે, કઠોળનો ફુગાવાનો દર છેક ઓક્ટોબર મહિના સુધી બે આંકડામાં જળવાઈ રહેશે. જો સારો વરસાદ નહીં પડે તો, કઠોળની મોંઘવારી લાંબો સમય સુધી પરેશાન કરશે. માંગને પહોંચી વળવા માટે સરકારે કઠોળની આયાત પર લાગતો વેરો પણ નાબૂદ કરી દીધો હતો, આમ છતાં કઠોળના ભાવ નીચે લઈ જવામાં સરકારને સફળતા મળી નથી. કઠોળ માર્કેટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાવ નજીકના સમયમાં ઘટે તેવી શક્યતા નથી. નિષ્ણાતો કહે છે કે, બજારમાં જ્યાં સુધી નવો માલ નહીં ઉતરે ત્યાં સુધી તો દેશમાં કઠોળના ભાવ ઉપર જ રહેશે. ઓક્ટોબર મહિનામાં નવા પાકની આવક શરૂ થશે. એટલે કે, જનતાએ છેક ઓક્ટોબર મહિના સુધી મોંઘા ભાવના કઠોળ ખાવા પડશે.
હાલમાં, સરકાર દ્વારા કઠોળ દાળના ભાવને અંકુશમાં લેવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં સફળતા મળી રહી નથી. ભારત કઠોળનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, પરંતુ વપરાશ ઉત્પાદન કરતાં વધી જાય છે. આવી સ્થિતિમાં ભારતે કઠોળની આયાત કરવી પડે છે. 2022-23 પાક વર્ષમાં દેશમાં કઠોળનું અંદાજિત ઉત્પાદન 26.05 મિલિયન ટન હતું, જ્યારે વપરાશ 28 મિલિયન ટન હોવાનો અંદાજ છે.
ઓલ ઈન્ડિયા કઠોળ મિલ એસોસિએશનના પ્રમુખ સુરેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કઠોળની આગામી વાવણી, ખાસ કરીને તુવેર અને અડદની વાવણી ચોમાસાની શરૂઆત પછી જૂન-જુલાઈમાં શરૂ થશે. તેમનું કહેવું છે કે અડદની લણણી ઓક્ટોબર-નવેમ્બરમાં થશે, જ્યારે તુવેરની લણણી જાન્યુઆરીથી શરૂ થશે. જો કે તેમનું કહેવું છે કે અમુક કઠોળ, ખાસ કરીને મગની ખેતી રવિ અને ખરીફ વચ્ચે થાય છે, પરંતુ તેમનું ઉત્પાદન એટલું નથી કે કઠોળના ભાવ પર મોટી અસર પડે.
માહિતી અનુસાર, છેલ્લા બે વર્ષથી દેશમાં તુવેર અને અડદના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ જ કારણ છે જેના કારણે સરકારે આયાત નિયંત્રણો હળવા કરવા પડ્યા છે. ગયા વર્ષે, સરકારે તુવેર, અડદ અને મસૂરની આયાત પરની ડ્યૂટી ઘટાડીને શૂન્ય કરી દીધી હતી અને તે માર્ચ 2024 સુધી લાગુ હતી. જોકે, બાદમાં સરકારે તેની સમયમર્યાદા માર્ચ 2025 સુધી લંબાવી હતી. આ સિવાય સરકારે ડિસેમ્બર 2023ની શરૂઆતમાં માર્ચ 2024 સુધી પીળા વટાણાની ડ્યૂટી ફ્રી આયાતની મંજૂરી પણ આપી હતી અને તેને જૂન સુધી લંબાવવામાં આવી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો