Money9: ભારતમાં મોટાભાગના પરિવારો પાસે સોનાના ઘરેણા હોય છે. લોકો સોનાને મુશ્કેલીનો સાથી માને છે. પરંતુ સોનું રાખનારાને આ સમાચાર પરેશાન કરી શકે છે કારણકે હવે તેઓ ઘરમાં પડેલા હોલમાર્ક વગરના સોનાના ઘરેણાં વેચી શકશે નહીં અથવા નવા ઘરેણાં સાથે તેને બદલી પણ શકશે નહીં. વાસ્તવમાં, આ સંકટ સરકારના હોલમાર્કિંગ નિયમના અમલીકરણને કારણે થયું છે. સરકારે 1 એપ્રિલ, 2023થી સોનાની શુદ્ધતા માટે હોલમાર્કિંગનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. આ સાથે, ગોલ્ડ જ્વેલરી માટે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નો લોગો અને શુદ્ધતા ચિહ્ન (જેમ કે 22K અથવા 18K લાગુ પડતું હોય) હોવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેનાથી સામાન્ય લોકોને છેતરપિંડીમાંથી રાહત મળશે અને ખરીદી પર શુદ્ધ સોનું મળશે. જો કે તેની સાથે સંકટ પણ ઉભું થયું છે. કારણ કે હવે લોકો તેમના ઘરમાં પડેલા હોલમાર્ક વગરના દાગીના વેચી શકશે નહીં, ન તો નવા દાગીના ખરીદતી વખતે તેને એક્સચેન્જ કરી શકશે.
વેચાણ અથવા એક્સચેન્જ પહેલાં કરાવવું પડશે હોલમાર્ક
BISના નિર્દેશ મુજબ, જે ઉપભોક્તાઓ પાસે અનહોલમાર્ક્ડ ગોલ્ડ જ્વેલરી હોય તેમણે તેને વેચતા પહેલા અથવા નવા ઘરેણાં સાથે એક્સચેન્જ કરતા પહેલા તેને ફરજિયાતપણે હોલમાર્ક કરાવવું પડશે. આવી સ્થિતિમાં લોકો પાસે બે વિકલ્પ હશે. પહેલો વિકલ્પ એ કે તમારી જ્વેલરી લઇને કોઇ બીઆઈએસ રજિસ્ટર્ડ હોય તેવા જ્વેલર પાસે લઈ જાઓ. BIS રજિસ્ટર્ડ જ્વેલર હોલમાર્ક વગરના સોનાના દાગીનાને હોલમાર્ક કરાવવા માટે બીઆઇએસ એસેસિંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર લઇ જશે. ત્યાં તે દાગીનાનું હોલમાર્કિંગ થશે. જો કે આના માટે ગ્રાહકે દરેક આઇટમ દીઠ 45 રૂપિયાનો નજીવો ચાર્જ ચૂકવવો પડશે.
તમે પોતે પણ હોલમાર્કિંગ સેન્ટર લઈ જઇ શકો છો
જો તમારી પાસે ઘરમાં હોલમાર્ક વગરની જ્વેલરી હોય, તો તમારી પાસે તેને કોઈપણ BIS-માન્યતા પ્રાપ્ત એસેસિંગ અને હોલમાર્કિંગ સેન્ટરમાં લઈ જવા અને તેને હોલમાર્ક કરાવવાનો બીજો વિકલ્પ પણ છે. અહીં તમારે પ્રતિ આઇટમ 45 રૂપિયા ચૂકવવા પડશે. જો ચારથી વધુ દાગીના હશે તો 200 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે BISએ જૂના અને હોલમાર્ક વગરની ગોલ્ડ જ્વેલરીના ટેસ્ટિંગ માટે અલગ-અલગ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. BIS માન્યતાપ્રાપ્ત એસેસિંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટ જ્વેલરીની શુદ્ધતા અંગેનું પ્રમાણપત્ર છે. ગ્રાહક પોતાના જુના હોલમાર્ક વગરના સોનાના દાગીનાને વેચવા માટે આ રિપોર્ટને કોઇપણ સોની પાસે લઇ જઇ શકે છે. ત્યારબાદ ગ્રાહક તેને સરળતાથી વેચી અથવા એક્સચેન્જ કરી શકશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો