Money9: શું ઘઉં અને ચોખા બાદ હવે સરકાર દાળની નિકાસ પર પણ લગામ લગાવશે..આ સવાલ એવા સમયે ઉઠી રહ્યો છે જ્યારે દાળના ભાવ વધવા લાગ્યા છે. આ વર્ષે ખરીફ સીઝનમાં કઠોળનું વાવેતર પણ ઘટ્યું છે અને દેશમાંથી દાળની નિકાસ 4 ગણી વધી ગઇ છે.
આ વર્ષે એપ્રિલથી જુલાઇ દરમિયાન દેશમાં 3.25 લાખ ટન કઠોળની નિકાસ થઇ ચૂકી છે. જે ગત વર્ષના સમાનગાળાની સરખામણીએ 337 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આખા વર્ષમાં 3.88 લાખ ટનથી વધુ દાળની નિકાસ થઇ હતી. જે દેશમાંથી કઠોળની નિકાસનો રેકોર્ડ છે.
કઠોળનું વાવેતર ઘટ્યું
પરંતુ ગયા આખા વર્ષમાં જેટલા કઠોળની નિકાસ થઇ તેની લગભગ 84 ટકા નિકાસ માત્ર 4 મહિનામાં થઇ ગઇ. ઉપરથી આ વર્ષે ખરીફ કઠોળની ખેતી પણ ગત વર્ષની સરખામણીમાં ઘટી ગઇ છે. કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે કે 9 સપ્ટેમ્બર સુધી દેશભરમાં ખરીફ કઠોળનું વાવેતર 5 લાખ હેક્ટરથી વધારે ઘટ્યું છે. ત્રણેય મુખ્ય કઠોળ એટલે કે તુવેર, અડદ અને મગની ખેતી ઘટી છે. આ કારણે ત્રણેયની ઉપજ ઘટવાની આશંકા છે.
દાળની વધેલી નિકાસ અને તેના પાકમાં થયેલા ઘટાડાના કારણે તેના ભાવમાં ઉછાળો આવ્યો છે. રિટેલ બજારમાં છેલ્લા 15 થી 20 દિવસમાં ભાવ સતત વધ્યા છે. દિલ્હીમાં ચણા અને મગની કિંમતો વધી છે. અડદનો ભાવ સ્થિર રહ્યો છે. અને તુવેરમાં સામાન્ય નરમાશ આવી છે.
દાળની કિંમત નિયંત્રણથી બહાર ન જાય તેના માટે સરકારે પોતાના સ્ટોકમાંથી રાજ્યોને 8 રૂપિયા ડિસ્કાઉન્ટ પર 15 લાખ ટન ચણાનો સપ્લાય કરવાનો નિર્ણય જરૂર કર્યો છે પરંતુ આ નિર્ણય બાદ પણ રિટેલ બજારમાં ભાવ પર બહુ મોટી અસર નથી થઇ. જો કિંમતોમાં બહુ મોટો વધારો થયો તો સરકારે ઘઉં અને ચોખાની જેમ દાળની નિકાસને લઇને પણ સખ્તાઇ કરવી પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો