Money9: ઘઉં અને ચોખા બાદ હવે મોંઘી થતી દાળો સરકાર માટે માથાનો દુઃખાવો બની રહી છે. ખરીફ સીઝનમાં થતી કઠોળની ખેતીમાં આવેલા ઘટાડાથી ઉત્પાદનમાં ઘટાડાની આશંકા વધી ગઇ છે. આ આશંકા દાળોના ભાવને વધારી રહી છે. ખાસ કરીને તુવેર અને અડદના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. એક જ મહિનામાં તુવેરનો ભાવ અંદાજે 17 ટકા અને અડદનો ભાવ 10 ટકાથી પણ વધુ વધ્યો છે.
વાવેતર ઘટ્યું
ખરીફ સીઝનમાં કઠોળની ખેતી જોઇએ તો તેનું વાવેતર 5 લાખ હેક્ટરથી પણ વધારે ઘટ્યું છે. તુવેર અને અડદની ખેતીમાં જ વધારે ઘટાડો આવ્યો છે. તુવેરનું વાવેતર સાડા પાંચ લાખ હેક્ટરથી વધુ ઘટ્યું છે જ્યારે અડદનું વાવેતર પણ અંદાજે પોણા 2 લાખ હેક્ટર ઓછું છે.
કઠોળનું વાવેતર ઘટવા ઉપરાંત મોટા ઉત્પાદક રાજ્યોમાં પડેલા મુશળધાર વરસાદના કારણે પાકને નુકસાનની આશંકા પણ છે. સરકારને ડર છે કે ઓછું વાવેતર અને પાકને નુકસાનની આશંકાથી દાળોની કાળાબજારીને પ્રોત્સાહન મળશે. જે ભાવ વધારાની આગને વધારે હવા આપશે. આ જ કારણે સરકારે પણ બધા રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે તુવેરના કારોબારીઓના સ્ટૉકની તપાસ કરો અને સ્ટૉકની જાણકારી દર સપ્તાહે ગ્રાહકોના મંત્રાલયને આપતા રહો.
સરકારની યોજના
સરકારનું કહેવું છે કે દાળના ભાવમાં વધારે વૃદ્ધિ થશે તો તે પોતાના સ્ટૉકમાં રાખેલા 38 લાખ ટન કઠોળના જ્થ્થાને ખુલ્લા બજારમા ઉતારી શકે છે. પરંતુ સરકાર પોતાની પાસે રહેલા કઠોળના પૂરા સ્ટોકને બજારમાં ઉતારી દે તો પણ કદાચ તુવેર અને અડદના ભાવ પર લગામ ન લાગી શકે. કારણ કે સરકારી સ્ટૉકમાં જે કઠોળ છે તેમાં મોટાભાગનો હિસ્સો ચણાનો છે અને ચણાનો ભાવ પહેલેથી જ નિયંત્રણમાં છે.
ઉપરથી ભારતીય દાળોની એક્સપોર્ટ માંગ પણ સતત વધી રહી છે. આ વર્ષે એપ્રિલ અને મે દરમિયાન કઠોળની નિકાસમાં 5 ગણાથી વધુની વૃદ્ધિ થઇ છે. 1.9 લાખ ટન દાળોની નિકાસ થઇ છે. દાળોની આ વધેલી નિકાસ પણ ભાવ વધારાને પ્રોત્સાહન આપી રહી છે. જો કે ભારતથી કઠોળની નિકાસની સરખામણીમાં આયાત વધારે થાય છે. અને જે દેશોમાંથી ભારત દાળોની આયાત કરે છે. ત્યાં આ વર્ષે સારો પાક થયો છે. કેનેડામાં તો સુકા વટાણા અને મસૂરનું ઉત્પાદન 50 ટકા સુધી વધવાનું અનુમાન છે.
દેશમાં કિંમતો વધી તો વિદેશોની વધારે ઉપજ આયાતોને વધારવામાં મદદગાર સાબિત થશે. અને આ વધેલી આયાત કિંમતોમાં વધારે વૃદ્ધિને રોકી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો