MONEY9: સપ્ટેમ્બર પણ સમાપ્ત થઈ ગયો, રવિ સીઝનની વાવણી શરૂ થવાની છે અને ખેડૂતો તૈયારીમાં લાગી ગયા છે, પરંતુ સરકારે હજુ સુધી રવિ પાકના લઘુતમ ટેકાના ભાવ જાહેર નથી કર્યા. નિયમ અનુસાર તો, વાવણી શરૂ થવાના એક મહિના અગાઉ સરકારે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરી દેવા જોઈએ. પણ આ વખતે વિલંબ થયો છે અને ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.
સપ્ટેમ્બર છે મહત્ત્વનો જૂનો ટ્રેન્ડ ચકાસીએ તો, જાણવા મળે છે કે, સરકાર સપ્ટેમ્બરમાં જ રવિ પાકના લઘુતમ ટેકાના ભાવ જાહેર કરતી આવી છે. ગયા વર્ષે સરકારે 8 સપ્ટેમ્બરે ઘઉં અને સરસવ તથા ચણા સહિતના તમામ રવિ પાકના ટેકાના ભાવ જાહેર કર્યા હતા. 2020માં પણ સપ્ટેમ્બરમાં જ ટેકાના ભાવની જાહેરાત થઈ હતી. પરંતુ, આ વખતે સપ્ટેમ્બર વીતી ગયો છે અને છતાં સરકાર મૌન છે. ખેડૂતો રાહ જોઈને બેઠાં છે કારણ કે, તેના આધારે જ ખેડૂતો પાકની વાવણીનો નિર્ણય લે છે.
એક્સપર્ટનો મત ભૂતપૂર્વ કૃષિ રાજ્યમંત્રી સોમપાલ શાસ્ત્રી કહે છે કે, છેક 1986થી પાકની વાવણી થવાના એક મહિના અગાઉ ટેકાના ભાવ જાહેર કરવાની પ્રથા ચાલી આવે છે. અમુક વર્ષોને બાદ કરતાં બાકીના તમામ વર્ષોમાં સપ્ટેમ્બરમાં જ રવિ પાકના ટેકાના ભાવ જાહેર થઈ જાય છે. જે વર્ષો દરમિયાન ભાવ જાહેર કરવામાં વિલંબ થયો હતો, તેનું કારણ કૃષિ ખર્ચનું મૂલ્યાંકન કરતા પંચ CACPની ભલામણો સાથેની અસહમતિ હતી. પરંતુ ચાલુ વર્ષે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરવામાં કયા કારણસર વિલંબ થઈ રહ્યો છે, તેનું ચિત્ર સ્પષ્ટ થતું નથી.
ભાવની ફૉર્મ્યુલા સરકાર A2+FL ફૉર્મ્યુલાના આધારે ટેકાના ભાવ નક્કી કરે છે… એટલે કે બીજ, ખાતર, ડીઝલ, જંતુનાશક વગેરેના ખર્ચમાં ખેતમજૂરી ઉમેરીને કુલ ખર્ચનો આંકડો કાઢવામાં આવે છે અને તેમાં 50 ટકા ઉમેરીને મિનિમમ સપોર્ટ પ્રાઈસ એટલે કે એમએસપી નક્કી થાય છે.
બજારભાવ સપોર્ટ પ્રાઈસની જાહેરાત કરતી વેળાએ જે-તે પાકનો બજારભાવ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. રવિ સીઝનમાં મહત્તમ ઉત્પાદન ઘઉં અને સરસવ જેવા પાકનું થાય છે અને અત્યારે આ બંનેનો બજારભાવ ગયા વર્ષના ટેકાના ભાવ કરતાં ઘણો વધારે છે. ઘઉંનો ગયા વર્ષનો ટેકાનો ભાવ 2,015 રૂપિયા છે જ્યારે બજારભાવ 2,500 રૂપિયાથી વધુ ચાલી રહ્યો છે. સરસવનો ગઈ સીઝનનો ટેકાનો ભાવ 5,050 રૂપિયા છે જ્યારે બજારમાં ભાવ 6,200 રૂપિયાની ઉપર છે.
મોંઘવારીનો પડકાર જો બજારભાવની તુલનાએ એમએસપી નક્કી કરવામાં આવે, તો સરકારે ઘઉં અને સરસવના ટેકાના ભાવમાં ઘણો બધો વધારો કરવો પડશે… જો આવું કરે તો મોંઘવારી વધુ ભડકે બળે અને આમ પણ, સરકાર સામે તો પહેલેથી જ મોંઘવારીને અંકુશમાં રાખવાનો મોટો પડકાર છે. એટલે લાગે છે કે, ટેકાના ભાવ અને બજારભાવ વચ્ચેના ગણિતમાં ખોટો સરવાળો થઈ ગયો તો, મોંઘવારી સીધી ગુણાકારમાં વધી જશે, એવી બીકે સરકાર એમએસપી જાહેર કરવામાં મોડું કરી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો