Money9: તેમાં કોઇ બેમત નથી કે નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે ક્રેડિટ કાર્ડ એક સારો વિકલ્પ છે. પરંતુ તેના વપરાશમાં ધ્યાન રાખવું. ગુરુગ્રામની આઇટી કંપનીમાં કામ કરતા રોહિતે ગયા મહિને ક્રેડિટ કાર્ડથી 51,500 રૂપિયા ખર્ચ કર્યા. આ બિલને ચુકવવાની અંતિમ તારીખ 20 જુલાઇ હતી. રોહિતે 16 જુલાઇના રોજ 46,500 રૂપિયાની ચુકવણી એક બેંક ખાતાથી અને 5000 રૂપિયાની બીજા ખાતાથી કરી દીધી. તેને 22 તારીખે ખબર પડી કે 5000 રૂપિયા ટ્રાન્ઝેક્શન ડિક્લાઇન થઇ ગયું છે. તેણે તરત તેની ચુકવણી કરી દીધી. હવે એક ઓગસ્ટે બિલ આવ્યું તો તેમાં 2,368 રૂપિયાનું વ્યાજ તેમજ જીએસટી ઉમેરેલું હતું.
મજબૂરીનો લાભ
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો રોહિતના ઉદાહરણથી જરૂર બોધપાઠ લેવો જોઇએ. ફક્ત 5000 રૂપિયાનું પેમેન્ટ બે દિવસ લેટ થવાથી રોહિતને 2,368 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડ્યું. આ તો ફક્ત ટ્રેલર છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ ગ્રાહકોની જરા અમથી ચૂક અને મજબૂરીનો ગેરલાભ ઉઠાવે છે. તેમ છતાં દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આરબીઆઇનો રિપોર્ટ જણાવે છે કે માર્ચ 2022મા દેશમાં 19 લાખ નવા કાર્ડ ઇશ્યૂ થયા જે અંદાજે 23 મહિનામાં સૌથી વધુ છે. આ સાથે જ કુલ ક્રેડિટ કાર્ડની સંખ્યા 7.36 કરોડના સ્તરે પહોંચી ગઇ. વાર્ષિક આધારે તેમાં 18.7 ટકાની વૃદ્ધિ થઇ. ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ રેકોર્ડ એક લાખ કરોડ રૂપિયા રહ્યો.
તેમાં કોઇ બેમત નથી કે નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે ક્રેડિટ કાર્ડ એક સારો વિકલ્પ છે. આખો મહિનો ખર્ચ કરીને મહિનાના અંતમાં એકસાથે ચુકવણી કરી દો. એટલું જ નહીં, આ બિલને ચુકવવા માટે અંદાજે 50 દિવસનો સમય પણ મળે છે. આ રકમ પર કોઇ વ્યાજ નથી વસૂલાતું. પરંતુ એ વાતને સારીરીતે સમજી લેવાની જરૂર છે કે બેંક કે કોઇ કંપની ધર્માદો કરવા નથી બેઠી. એટલે છેવટે કમાણી તો ગ્રાહકોના ખિસ્સામાંથી જ કરવામાં આવે છે. બસ, તેઓ ગ્રાહકોની મામૂલી ચૂક કે મજબૂરીની રાહ જોતા હોય છે. અને ગ્રાહકો જેવી ભૂલ કરે, બેંકો તેનો ફાયદો ઉઠાવીને દંડ સ્વરૂપે સારીએવી કમાણી પણ કરી લે છે.
ચુકવણીના વિકલ્પ
જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ આવે છે તો તેને ચૂકવવા માટે બે વિકલ્પ મળે છે. તેમાંનો એક વિકલ્પ લઘુત્તમ ચુકવણીનો હોય છે. જો તમે આ વિકલ્પને પસંદ કરો છો તો બાકીના બિલની ચુકવણી બીજા મહિને શિફ્ટ થઇ જાય છે. જો તમે સંપૂર્ણ બાકી રકમની ચુકવણી નથી કરતા તો તમને ઇન્ટરેસ્ટ ફ્રી ક્રેડિટ પીરિયડની સુવિધાનો લાભ નહીં મળે. આ સ્થિતિમાં આખી રકમ પર ખરીદીના પહેલા દિવસથી જ વ્યાજ લાગશે જે વાર્ષિક 48 થી 60 ટકા હોય છે. જો તમે આવું સતત કરો છો તો આ રકમ વધતી જાય છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ આ મિનિમમ એમાઉન્ટ ડ્યુમાંથી જ સૌથી વધુ કમાણી કરી લેતી હોય છે.
આજકાલ મોટી સંખ્યામાં લોકો એકથી વધુ ક્રેડિટ કાર્ડ રાખે છે. જો કોઇ કાર્ડમાં બિલનો એક પણ રૂપિયો પણ બાકી રહી જાય છે તો પાછલા બિલની પૂરી રકમ પર વ્યાજ અને પેનલ્ટી લાગતી રહે છે. એવું પણ શક્ય છે કે તેમાં કાર્ડની વાર્ષિક ફી ઉમેરાતી રહે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ કંપનીઓ આ પ્રકારની બાકી માટે ત્યારે જ દબાણ કરે છે જ્યારે આ રકમ મોટી થઇ જાય છે. આવા સંજોગોમાં લોકોનો ક્રેડિટ સ્કોર ખરાબ થઇ જાય છે. જ્યારે તે કોઇ લોન માટે અરજી કરે છે ત્યારે તે અરજી રિજેક્ટ થઇ જાય છે. લોનની જરૂરિયાત હોવાથી છેવટે ગ્રાહકે ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી કરવી જ પડે છે.
બિલની સમયસર કરો ચૂકવણી
સેબી સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર જીતેન્દ્ર સોલંકી કહે છે કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં કંઇ ખોટું નથી. નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે આ એક સારો વિકલ્પ છે. પરંતુ તેની સમયસર ચૂકવણી કરતા રહો. મિનિમમ પેમેન્ટથી બચવાનો પૂરો પ્રયાસ કરો. જો બાકી રકમ વધારે છે અને તમે તેની એકસાથે ચુકવણી કરવામાં અસમર્થ છો તો તેની ઇએમઆઇ બનાવી લો. આનાથી પેમેન્ટ કરવામાં સરળતા રહેશે. સાથે જ વ્યાજ પણ ઓછું લાગશે. જો એકથી વધુ ક્રેડિટ કાર્ડ યૂઝ કરો છો અને તેમાંના કોઇપણ કાર્ડમાં 10-20 રૂપિયા પણ બાકી છે તો તેને ચુકવી દો.
જે કાર્ડનો ઉપયોગ નથી કરી રહ્યા તો તેને તત્કાળ બંધ કરી દો. નહીંતર તેની પર વાર્ષિક ચાર્જ લાગશે. અને આ ચાર્જની ચુકવણી નહીં કરો તો પેનલ્ટી અને વ્યાજ પર વ્યાજ લાગતાં મોટી રકમ ચૂકવવી પડી શકે છે. પરિણામે ક્રેડિટ સ્કોર ખરાબ થવાની સાથે-સાથે બીજા પણ ઘણાં નુકસાન ઉઠાવવા પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો