MONEY9: ઓક્ટોબરમાં કમોસમી વરસાદે ‘દુકાળમાં અધિક માસ’ જેવી સ્થિતિ પેદા કરી છે. એક તો, આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે… ડાંગરનો વાવેતર વિસ્તાર ઘટ્યો હોવાથી ચોખાનું ઉત્પાદન પણ ઘટવાનો અંદાજ છે અને હવે ડાંગરની લણણી કરવાની સીઝન આવી, ત્યાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, ખેતરોમાં કાપેલો પાક તરી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે ઊભો પાક તણાઈ ગયો છે.
ડાંગરનું ઉત્પાદન ઘટશે ‘બિન બુલાએ મહેમાન’ જેવા આ વરસાદને લીધે ડાંગરની ઉપજમાં હજુ પણ વધારે ઘટાડો થવાની ચિંતાએ જોર પકડ્યું છે. આ ચિંતાનું મોજું માત્ર એકાદ-બે રાજ્યોમાં નહીં, પરંતુ સમગ્ર દેશનાં અડધો ડઝન રાજ્યોમાં ફરી વળ્યું છે, કારણ કે આ રાજ્યો પણ વણજોઈતા વરસાદની ઝપટમાં આવી ગયા છે.
ઓક્ટોબરમાં વરસાદ હવામાન વિભાગનાં આંકડા દર્શાવે છે કે, ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં દિલ્હીમાં સામાન્ય કરતાં 8 ગણો વધુ વરસાદ વરસ્યો છે. ચોમાસાની સીઝનમાં દુકાળનો સામનો કરનાર ઉત્તર પ્રદેશમાં પણ ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં સામાન્ય દિવસો કરતાં સાતેક ગણો વધુ વરસાદ ખાબક્યો છે. આવી જ રીતે, હરિયાણામાં 7 ગણો, ઉત્તરાખંડમાં 6 ગણો, રાજસ્થાનમાં 5 ગણો અને મધ્ય પ્રદેશમાં 3 ગણો વરસાદ પડ્યો છે. સમગ્ર દેશની વાત કરીએ તો, ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં સામાન્ય દિવસોની તુલનાએ સરેરાશ 67 ટકા વધુ વરસાદ વરસ્યો છે. આ તમામ રાજ્યોમાં ભારે વરસાદને કારણે, ખેતરોમાં તૈયાર થયેલા ખરીફ પાકને નુકસાન પહોંચવાની આશંકા છે.
એક્સપર્ટ્સનો મત ઑલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટ્સ એસોસિયેશનના ભૂતપૂર્વ ચેરમેન વિજય સેતિયા કહે છે કે, ખેતરોમાં જે પાક તૈયાર થઈ ગયો છે, તેને આ કમોસમી વરસાદથી નુકસાન પહોંચી શકે છે. ઉત્તર પ્રદેશમાં ડાંગરની મસૂરી, 1509 અને સુગંધા વેરાઈટીની ઉપજમાં 7 થી 8 ટકા ઘટાડો થવાની આશંકા છે જ્યારે હરિયાણામાં પણ 1121 બાસમતી ડાંગરની ઉપજ 1થી 1.5 ટકો ઘટી શકે છે.
રવિ પાકને પણ નુકસાન આ વરસાદથી માત્ર ખરીફ પાકને જ નહીં, પરંતુ રવિ પાકને પણ નુકસાન પહોંચવાનો ભય સતાવી રહ્યો છે. રવિ પાકના વાવેતર પર અસર પડી શકે છે. ભારતીય સરસવ રિસર્ચ સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. ધીરજ સિંહનું કહેવું છે કે, ઓક્ટોબરમાં વરસેલા વરસાદને કારણે સરસવ પકવતા મુખ્ય રાજ્યોમાં સરસવની ખેતી એક પખવાડિયું પાછી ઠેલવાનો વારો આવી શકે છે.
ખાદ્ય મોંઘવારી પર અસર ચાલુ વર્ષે ભારતમાં ઘઉંનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ઓછું થયું છે અને ચોખાના ઉત્પાદનમાં પણ ગયા વર્ષ કરતાં ઓછું ઉત્પાદન થવાનો અંદાજ છે. સરકારી વખારોમાં પણ અનાજનો જથ્થો છેલ્લાં 5 વર્ષના તળિયે પહોંચી ગયો છે, અનાજ મોંઘું થઈ રહ્યું છે. આટલા બધા કપરા સંજોગોની વચ્ચે વરસાદની ખોટા ટાઈમે થયેલી એન્ટ્રીથી ડાંગર તથા રવિ પાકને મહત્તમ નુકસાન પહોંચવાની શક્યતા વધી છે. એટલું જ નહીં, રવિ પાકના વાવેતરમાં પણ વિલંબ થઈ શકે છે. આમ, ખાદ્ય મોંઘવારીના મોરચે અનેક પડકારો ઊભા થવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો