દાળ મોંઘી થઈ રહી છે અને વાવેતર પણ ઘટી રહ્યું છે દાળની મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકારે કરેલાં પ્રયાસો નિષ્ફળ ગયા છે. તુવેર, અડદ, મગ સહિતની દાળના ભાવ સતત વધી રહ્યાં છે. ગ્રાહક મંત્રાલયના આંકડા અનુસાર, 16 જુલાઈ સુધીમાં તુવેરનો ભાવ વાર્ષિક ધોરણે 32 ટકા વધ્યો છે. છેલ્લાં એક સપ્તાહમાં તો રોજેરોજ કિંમત વધી છે. જૂન મહિનામાં તુવેરમાં 7 ટકાનો તીવ્ર વધારો નોંધાયો છે. વર્ષ પહેલાં 1 કિલો તુવેર 103 રૂપિયામાં અને મહિના પહેલાં 127 રૂપિયામાં મળતી હતી, પણ 16 જુલાઈએ તેનો ભાવ 136 રૂપિયા બોલાઈ રહ્યો છે. તુવેરની સાથે સાથે અડદ અને મગના ભાવ પણ વધી રહ્યાં છે. વાર્ષિક ધોરણે અડદ 10 ટકા જ્યારે મગ 8.8 ટકા મોંઘા થયા છે. જુલાઈના પહેલાં પખવાડિયા સુધીમાં દેશમાં દાળનું વાવેતર 25 ટકાથી પણ ઓછું થયું છે. તુવેરનું વાવેતર તો 45 ટકા ઘટ્યું છે જ્યારે અડદનું વાવેતર 15 ટકા ઘટ્યું છે. જોકે, મગનું વાવેતર પાંચેક ટકા વધ્યું છે. જો દાળનાં ભાવ અંકુશમાં નહીં આવે તો ખાદ્ય મોંઘવારી આકરી બનવાની શક્યતા છે.
ઘઉંનાં ભાવમાં આવ્યો ઓચિંતો ઉછાળો રશિયાએ યુક્રેનમાં પાકતા ઘઉંને કાળા સમુદ્રના માર્ગે અન્ય દેશોમાં મોકલવાની ના પાડી દીધી છે. આ સમાચારને પગલે, 17 જુલાઈ-સોમવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંના ભાવમાં સાડા ત્રણ ટકાનો ઉછાળો આવ્યો હતો. રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં એક વર્ષ કરતાં પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે વૈશ્વિક માર્કેટમાં ખાદ્ય કટોટકી ઊભી ના થાય તે માટે 2022ના જુલાઈ મહિનામાં યુનાઈટેડ નેશન્સે મધ્યસ્થી કરીને બ્લેક સી રૂટ મારફતે યુક્રેનમાંથી અનાજ અને ખાતરની નિકાસની છૂટ આપવા માટે રશિયાને મનાવી લીધું હતું. આ સોદાની મુદત 17 જુલાઈએ પૂરી થઈ હતી અને રશિયાએ તેમાં આગળ વધવાની ના પાડી દીધી છે. આ સોદાને કારણે યુદ્ધની વચ્ચે પણ યુક્રેનમાંથી 3.2 કરોડ ટન અનાજની નિકાસ કરવામાં સફળતા મળી હતી. યુક્રેનમાંથી આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયાના વિકસિત તેમજ ગરીબ દેશોને ઘઉંનો સપ્લાય થતો હતો.
અમદાવાદ જતી ફ્લાઈટ્સના ભાડાં 350% સુધી વધ્યા નવરાત્રિમાં ફ્લાઈટ પકડીને અમદાવાદ આવવાનું હોય તો ખિસ્સા ખાલી કરવા માટે તૈયાર રહેજો. કારણ કે, 15 ઓક્ટોબરે પહેલા નોરતાના દિવસે જ મોટેરા સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ છે. આ મેચને કારણે અમદાવાદની હોટેલ્સના ભાડાં તો આસમાને પહોંચી જ ગયા છે અને હવે હવાઈભાડાં પણ અનેક ગણા ઊંચકાયા છે. દેશનાં મુખ્ય શહેરોથી અમદાવાદની નોન-સ્ટોપ રાઉન્ડ ટ્રિપના ભાડાં 350 ટકા જેટલાં વધી ગયા છે. જેમકે, 14થી 16 ઓક્ટોબરની વચ્ચે ચેન્નાઈથી અમદાવાદની ફ્લાઈટની ટિકિટ વ્યક્તિ દીઠ 45 હજારે પહોંચી છે જે સામાન્ય દિવસમાં 10 હજારની આસપાસ હોય છે. મુંબઈથી અમદાવાદનું ભાડું સામાન્ય દિવસોમાં 5 હજારની આસપાસ હોય છે, પરંતુ ભારત-પાક મેચની આગળ-પાછળની તારીખો દરમિયાન 22 હજાર બોલાઈ રહ્યું છે. કોલકાતાથી અમદાવાદની ફ્લાઈટ ટિકિટ 42 હજારને પાર થઈ ગઈ છે. દિલ્હીથી અમદાવાદની ટિકિટ 22 હજારને પાર થઈ ગઈ છે જ્યારે ચંદીગઢથી અમદાવાદની ટિકિટ 25 હજારને પાર થઈ ગઈ છે.
નિફ્ટી, સેન્સેક્સ લાઈફ-ટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યાં શેરબજારમાં તેજીનો વરસાદ વરસી રહ્યો છે… નિફ્ટીએ પહેલીવાર 19,700નું લેવલ ક્રોસ કરી દીધું છે. 17 જુલાઈએ સપ્તાહનાં પ્રથમ દિવસે સેન્સેક્સ પણ 529 પોઈન્ટ્સ વધીને 66,590ની લાઈફ-ટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યો છે. આજે 1,258 શેર વધ્યા હતા જ્યારે 829 શેરમાં ઘટાડો નોંધાયો હતો. ભારતીય શેરબજારમાં તેજીનું મોમેન્ટમ જળવાઈ રહેવાની શક્યતા છે કારણ કે, ચીનનો વૃદ્ધિદર ઘટી રહ્યો છે, જેના કારણે વૈશ્વિક રોકાણકારો ભારતીય માર્કેટ માટે બુલિશ બન્યાં છે. જો સ્ટોક-સ્પેસિફિક વાત કરીએ તો, HDFC બેન્કે મજબૂત રિઝલ્ટ આપ્યા હોવાથી તેનો શેર બે ટકા વધ્યો છે અને માર્કેટ-કેપ 100 અબજ ડૉલરને પાર થઈ ગઈ છે. મુકેશ અંબાણીની RILનો શેર પણ 2,815ના ફિફ્ટી-ટુ વીક હાઈ લેવલને સ્પર્શી ગયો છે.
નેટવેબ ટેકનોલોજિસનો IPO ખુલતાંની સાથે જ ભરાઈ ગયો શેરબજારમાં તેજીને પગલે IPO માટે પડાપડી થઈ રહી છે. 17 જુલાઈ-સોમવારે નેટવેબ ટેક્નોલોજીસનો IPO ખુલતાંની સાથે જ ભરાઈ ગયો હતો. કંપનીએ 475થી 500 રૂપિયાના ભાવે શેર ઑફર કર્યાં છે. તેના IPOમાં અરજી કરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. ગ્રે માર્કેટમાં તેના શેરની માંગ સતત વધી રહી છે અને અત્યારે સાડા ત્રણસો રૂપિયાથી પણ વધારે પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. 17 જુલાઈએ અસર્ફી હોસ્પિટલનો 27 કરોડ રૂપિયાનો SME IPO પણ ખુલી ગયો છે. તેની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. ઝારખંડની આ કંપનીએ 51થી 52 રૂપિયા પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે.
લોકો પ્રોપર્ટી અને ગોલ્ડ ખરીદવાનું પસંદ કરે છેઃ જેફરિઝ લોકો ક્યાં રોકાણ કરે છે તેની રસપ્રદ માહિતી જાણવા મળી છે. ભારતીય પરિવારો વીમા અને મ્યુચ્યુઅલ ફંડ જેવી આર્થિક એસેટની તુલનાએ રિયલ એસ્ટેટ અને સોના જેવી ભૌતિક એસેટને વધારે પસંદ કરે છે. માર્ચ 2023 સુધીના ડેટા અનુસાર, ભારતીય પરિવારોની કુલ ઘરગથ્થુ સંપત્તિનું કદ 11.10 ટ્રિલિયન ડૉલર છે, જેનો સૌથી મોટો હિસ્સો પ્રોપર્ટી અને ગોલ્ડનો છે. આ બંને એસેટ ક્લાસમાં ભારતીય પરિવારોનો 66 ટકા હિસ્સો છે અને તેમાં પણ સૌથી વધુ 51 ટકા રોકાણ રિયલ એસ્ટેટમાં છે. ગોલ્ડમાં લોકોનું રોકાણ 15 ટકા છે. ત્યારબાદ લોકો બેન્કમાં ડિપોઝિટ કરવાનું પસંદ કરે છે. કુલ ઘરેલુ સંપત્તિમાં 14 ટકા હિસ્સો બેન્ક ડિપોઝિટનો છે જ્યારે વીમા અને પેન્શન ફંડનો હિસ્સો 5.8 ટકા છે. ભારતીય પરિવારોની કુલ સંપત્તિમાં ઈક્વિટીઝનો હિસ્સો માત્ર 4.7 ટકા છે જ્યારે રોકડનો હિસ્સો માત્ર 3.4 ટકા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો