Money9: માણસની મુખ્ય 3 જરૂરિયાતો છે- રોટી, કપડા અને મકાન…જેના માટે લોકો દિવસ રાત મહેનત કરે છે. મકાન બનાવતી વખતે ઘણી ચીજોનું ધ્યાન રાખવાનું હોય છે. તેમાંથી એક છે પ્લમ્બિંગ…. પ્લમ્બિંગનું કામ પુરી તકેદારી સાથે કરાવવું જોઇએ. કારણ કે ઘરમાં આ એકમાત્ર વસ્તુ છે જે તમારા આરોગ્ય સાથે સીધી જ જોડાયેલી છે. આવા સંજોગોમાં થોડી પણ બેદરકારી તમારા ડ્રીમ હોમને બીમારીનું ઘર બનાવી શકે છે. મોટો ખર્ચો કરાવી શકે છે.
ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરમીત સિંહ અરોડા કહે છે કે જળ છે તો જીવન છે, જળ નહીં તો જીવન નહીં…દુનિયાની 17 ટકા વસતી ભારતમાં રહે છે પરંતુ આપણી પાસે સ્વચ્છ પાણીનો સ્ત્રોત ફક્ત 4 ટકા છે. ત્યારે આપણે ઘરોમાંથી નીકળતા ગંદા પાણીને ટ્રિટ કરીને ગાર્ડનિંગ અને ફ્લશિંગ જેવા કામોમાં લઇ શકીએ છીએ. ઉદાહરણ તરીકે સિંગાપુરમાં 40 ટકા ટ્રીટ કરેલું પાણી ફરી ઉપયોગમાં લેવાય છે.
પ્લમ્બિંગનું કામ રોજે-રોજ નથી કરાવી શકાતું. ઉદાહરણ તરીકે જો પાઇપલાઇન કે સુએઝ સિસ્ટમમાં ગરબડ છે તો તમે વારંવાર તોડફોડ નહીં કરાવી શકો. આવામાં પ્લમ્બિંગનું કામ પૂરા પ્લાનિંગ સાથે કરાવવું જોઇએ. અહીં અમે 5 મહત્વના પોઇન્ટ તૈયાર કર્યા છે. જેના આધારે તમે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લમ્બિંગનું કામ કરાવી શકો છો.
પાણીનું પર્યાપ્ત પ્રેશર અને સપ્લાય
દરેક વ્યક્તિને પ્રતિદિન 135 લીટર પાણીની જરૂર પડે છે. પ્લમ્બિંગ સિસ્ટમને એ રીતે તૈયાર કરો કે આ જરૂરિયાત પૂરી થઇ જાય. પાણીની લાઇનમાં 4.5 બારનું પ્રેશર હોવું જોઇએ. એક બાર એટલે કે 65 પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચ. પ્રેશર ઓછું હોવાથી પાણીનો પર્યાપ્ત સપ્લાય નહીં મળે. જ્યારે પ્રેશર વધુ હશે તો પાણી બરબાદ થશે. નળને સમયાંતરે સાફ કરતા રહો જેથી પાણીનો ફ્લો જળવાઇ રહે.
સ્વચ્છ અને શુદ્ધ પાણી માટે જરૂરી સિસ્ટમ લગાવો
લગભગ 70 ટકા બીમારીઓ દૂષિત પાણીથી થાય છે. જેમ કે ડાયેરિયા, ટાઇફોઇડ, કોલેરા કે પેટ સંબંધિત રોગો..આવા સંજોગોમાં સ્વચ્છ પાણી આપણી પહેલી જરૂરિયાત છે. જેથી આપણે ઘરમાં પીવાના પાણી માટે RO કે વોટર પ્યૂરિફાયર લગાવી શકીએ છીએ. જ્યારે દૈનિક કામકાજ માટે સપ્લાયવાળા પાણીનો ઉપયોગ કરી શકાય છે કારણ કે તેમાં ક્લોરિન ભેળવેલું હોય છે. અંદાજે 3.77 કરોડ ભારતીયો દર વર્ષે દૂષિત પાણીના ઉપયોગથી બીમાર પડે છે. લગભગ 15 લાખ બાળકો ડાયેરિયાથી મૃત્યુ પામે છે. સરકારે હાલમાં જ સંસદમાં જણાવ્યું હતું કે ભૂર્ગભ જળમાં ઝેરીલી ધાતુઓની માત્રા ચિંતાજનક સ્તરે જોવા મળી છે. દેશની 80 ટકા વસતી ભૂગર્ભ જળ એટલે કે જમીનમાંથી નીકળતા પાણીનો ઉપયોગ કરે છે. એટલેકે ભૂર્ગભ જળમાં ખતરનાક ધાતુઓની માત્રા વધવાનો અર્થ છે કે પાણી ઝેરી બની રહ્યું છે.
બાથરૂમ બનાવવામાં ન કરો આ ભૂલો
ઘરમાં બાથરૂમ એક એવો એરિયા છે જ્યાં લપસવાના કારણે સૌથી વધુ અકસ્માતો સર્જાય છે. ભીનું ફર્શ ગંભીર ઇજાઓનું કારણ બની શકે છે. ત્યારે ટોઇલેટ કે બાથરૂમ બનાવતી વખતે ગ્રેનાઇટ કે લપસી જવાય તેવા ટાઇલ્સ ન લગાવો. જો ઘરમાં વૃદ્ધ વ્યક્તિઓ છે તો ટોઇલેટ સીટ અને ન્હાવાની જગ્યા પર હેંડ બાર લગાવો. સાથે જ સુએઝ સિસ્ટમ એ રીતે રાખો કે કચરો અટકે નહીં અને દુર્ગંધ ન આવે.
પાણી અને વીજળીનું જોડાણ
નળ, શાવર અને ફ્લશ સહિત બધા પ્રકારના સેનિટરીવેર વોટર એફિશિઅન્ટ એટલે કે પાણી બચાવવામાં સક્ષમ હોવા જોઇએ કારણ કે પાણી અને વીજળીની વચ્ચે એક કનેક્શન છે. હકીકતમાં તમારા ઘર સુધી પાણી પહોંચાડવામાં સરકાર ઘણાં પૈસા ખર્ચ કરે છે. લો ફ્લો પ્લમ્બિંગ ફિટિંગ્સ પાણીની સાથે ઉર્જા પણ બચાવે છે. જેનાથી પૈસા બચે છે. ઉદાહરણ તરીકે એરપોર્ટ કે શૉપિંગ મૉલમાં એવા સેંસર બેઝ્ડ નળ હોય છે જેની નીચે હાથ મૂકો તો પાણી તરત ચાલુ થઇ જાય છે અને હાથ હટાવતા જ બંધ થઇ જાય છે. આનાથી પાણીનો બગાડ ઘટી જાય છે.
રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા
પાણીનું એક એક ટીંપુ કિંમતી છે. આવા સંજોગોમાં જો શક્ય બને તો વરસાદના પાણીને એકત્ર કરવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવી જોઇએ. આ પાણીનો ઉપયોગ દૈનિક કામકાજ, બાગબગીચાના કામોમાં કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, મોટી મોટી સોસાયટીઓ કે વિસ્તારોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા હોવી જોઇએ. જેથી ગંદા પાણીને ટ્રીટ કરીને તેનો ફરીથી ઉપયોગ કરી શકાય.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો