MONEY9: સરકારે ગોદામોમાં અનાજનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે અને આ વખતે ડાંગરની ખરીદીમાં વધારો કર્યો છે, છતાં ચોખાના ભાવ ઉપર જવાની આશંકા વધી ગઈ છે, કારણ કે, આ વર્ષે ભારત સહિતનાં દેશોમાં ચોખાનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. ઓછામાં પૂરું, નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં દેશમાંથી ચોખાની નિકાસ ઘટવાની જગ્યાએ વધી રહી છે અને સરકારી ગોદામોમાં પડેલો સ્ટૉક પણ અનેક વર્ષોના તળિયે પહોંચી ગયો છે.
સેન્ટ્રલ પુલમાં જથ્થો સેન્ટ્રલ પુલમાં પહેલી નવેમ્બરે ચોખાનો 165 લાખ ટન જથ્થો નોંધાયો હતો, જે છેલ્લાં ચાર નવેમ્બરમાં નોંધાયેલા જથ્થા કરતાં ઓછો છે અને ગયા વર્ષની તુલનાએ તો 63 લાખ ટન ઓછો જથ્થો નોંધાયો છે. ગયા વર્ષના નવેમ્બરના પ્રારંભે સરકારી ગોદામોમાં 229 લાખ ટનથી પણ વધુ ચોખાનો સ્ટૉક પડ્યો હતો.
કૃષિ નિષ્ણાતોનો અંદાજ કૃષિ નિષ્ણાતોએ ભારત સહિતનાં દેશોમાં આ વર્ષે ચોખાની ઉપજ ઘટવાનો અંદાજ વ્યક્ત કર્યો છે અને માંગ પૂરી કર્યા પછી, ગોદામોમાં બહુ ઓછો સ્ટૉક બચશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આમ, પરિસ્થિતિ જે રીતે નિર્માણ થઈ રહી છે, તેને જોતાં લાગે છે કે, વૈશ્વિક સ્તરે ચોખાનો સપ્લાય ગયા વર્ષની તુલનાએ ઓછો રહેશે. અમેરિકાના કૃષિ વિભાગે અંદાજ વ્યક્ત કર્યો છે કે, દુનિયાભરમાં ચાલુ વર્ષે ચોખાની ઉપજ અને એન્ડિંગ સ્ટૉકમાં 1 કરોડ ટનથી પણ વધુ ઘટાડો થઈ શકે છે. ઉપજ ઘટીને 50.36 કરોડ ટન રહેવાનો અંદાજ છે જ્યારે માંગ પૂરી થયા પછી માત્ર 16.90 કરોડ ટન સ્ટૉક બચવાનો અંદાજ છે.
ભારતમાં ઉત્પાદનનો અંદાજ ભારતમાં ચાલુ વર્ષે ખરીફ ચોખાનું ઉત્પાદન લગભગ 63 લાખ ટન ઘટવાનો અંદાજ છે અને આ અંદાજને ધ્યાનમાં રાખીને જ સરકારે નોન-બાસમતિ ચોખાની નિકાસ પર થોડાક પ્રતિબંધ મૂક્યા છે જ્યારે ટુકડા ચોખાની નિકાસ પર તો સંપૂર્ણપણે પ્રતિબંધ લાદ્યો છે, પરંતુ પ્રતિબંધો લાદવા છતાં, ગયા વર્ષની સરખામણીએ ચોખાની નિકાસ વધી છે. નિકાસના આંકડા જોઈએ તો, ચાલુ વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન, આપણે 111 લાખ ટનથી પણ વધુ ચોખાની નિકાસ કરી છે, જ્યારે ગયા વર્ષે ભારતમાંથી 101 લાખ ટન ચોખાની નિકાસ થઈ હતી.
સરકારની ખરીદી સરકારે વખારો ભરવા માટે ખેડૂતો પાસેથી ચોખાની ખરીદીમાં પણ વધારો કર્યો છે. સરકારી એજન્સીઓએ 10 નવેમ્બર સુધીમાં ખેડૂતો પાસેથી 231 લાખ ટન ચોખાની ખરીદી કરી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 3 લાખ ટન વધુ છે. પરંતુ સરકારી ખરીદી વધવા છતાં, ચોખાના ભાવ વધવાની બીક છે. કારણ કે, ચોખાની માંગ સતત વધી રહી છે અને સરકારે ડિસેમ્બર સુધી ફ્રી રાશન સ્કીમ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે, એટલે ચોખાની માંગ ઘણી વધારે છે જ્યારે સપ્લાયમાં આટલો વધારો થયો નથી, પરિણામે ભાવ વધવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો