Money9: મોઢેરાનું સૂર્યમંદિર પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. એક હજાર વર્ષ પ્રાચીન સૂર્યમંદિર શિલ્પસ્થાપત્ય અને કળાનો બેજોડ નમૂનો છે. અને યુનેસ્કોએ વર્ષ 2022માં વર્લ્ડ હેરિટેજ સાઇટના ટેન્ટેટિવ લિસ્ટમાં તેને સામેલ કહ્યું હતું. યુનેસ્કોની યાદીમાં સ્થાન પામ્યાના એક જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં 68.71 ટકાનો વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે હાલમાં જ જાહેર કરેલા ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટેટિક્સ-2023ના આંકડા અનુસાર વર્ષ 2021-22માં 2.24 લાખ તો વર્ષ 2022-2023માં 3.79 લાખ જેટલાં પ્રવાસીઓએ સૂર્યમંદિરની મુલાકાત લીધી છે. વર્ષ 2022-23માં 24,166 જેટલાં વિદેશી પ્રવાસીઓએ સૂર્યમંદિરની મુલાકાત લીધી. એટલે એક કહી શકાય કે વર્ષ 2022-23 દરરોજ એક હજારથી વધુ પ્રવાસીઓએ મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી.
મફત વીજળી સ્કીમ માટે પોસ્ટ ઓફિસોમાં રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. ભારતીય ટપાલ વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે તેમને જો પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તેઓ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે અને સબસિડી અંગે માહિતી લઇ શકે છે. વિવિધ પોસ્ટલ સર્વિસ સર્કલમાં પોસ્ટના કર્મચારીઓએ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. આ યોજનાનો લાભ લેવા કે જાણકારી લેવા માટે લોકો પોસ્ટઓફિસ, કે પોસ્ટના કર્મચારીઓનો સંપર્ક કરી શકે છે જે ઘરે-ઘરે જઇને સર્વે કરી રહ્યાં છે.
AU Small Finance Bank અને Fincare Small Finance Bankના મર્જરને RBIની મંજૂરી મળી ગઇ છે. ત્યારબાદ એક,એપ્રિલ, 2024થી આ ફિનકેર કંપનીની બધી બ્રાન્ચ AU SFBના નામથી કામ કરશે. આ નિર્ણયથી પ્રાઇવેટ સેક્ટરની A U સ્મોલ ફાઇનાન્સ બેંકની સ્થિતિ વધુ મજબૂત થશે. મર્જરને CCIની પહેલેથી જ મંજૂરી મળી ચુકી છે..
RBIએ IIFL FINANCE પર Gold Loan આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ ગોલ્ડ લોન ડિસ્બર્સમેન્ટ કરવા પર લગાવાયો છે. કંપની ગોલ્ડ લોન પોર્ટફોલિયો સિવાયના બીજા બિઝનેસ કરી શકે છે. હકીકતમાં કંપનીના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પોર્ટફોલિયોમાં નિયમ ભંગ જોવા મળ્યા છે. લોન-ટૂ-વેલ્યૂ રેશિયોમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કંપનીના કામકાજનું સ્પેશ્યલ ઓડિટ થશે. ઓડિટ બાદ લગાવેલા પ્રતિબંધોની સમીક્ષા થશે.
પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયુ છે. અને 401 રૂપિયા કીલો લેખે 45 કીલો જેટલી કેરીની હરાજી થઇ હતી. ઋતુચક્રમાં પરીવર્તન અને જુદા-જુદા કારણોસર પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં નવેમ્બર મહીનામાં કેસર કેરીની હરાજી થઇ હતી.અને ખુબ ઉંચો ભાવ બોલાયો હતો. ત્યારે માર્ચના આરંભે પણ ફરી કેસર કેરી આવી ચુકી છે. સોમવારે સવારે બરડા પંથકના જાંબુવતી ફાર્મ ખાતેથી 45 કીલો જેટલી કેરી વેચાણ માટે આવી પહોંચી હતી અને હરાજીમાં 401 રૂપિયા કીલોનો ભાવ ઉપજયો હતો. વેપારીનું કહેવું છે કે, આ વર્ષે ઋતુચક્રમાં પરીવર્તન સહીત અન્ય કારણોસર કેરીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછુ થયું હોવાથી કેરીના ભાવ પ્રમાણમાં વધારે રહેશે.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોની સૌથી મોટી સમસ્યા પોતાના ઉત્પાદનોના વેચાણની હોય છે. પરંતુ હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. મહેસાણામાં પાલાવાસણા આરટીઓ પાસે 21 એકર જગ્યામાં રૂપિયા 65 કરોડના ખર્ચે એક વર્ષમાં તૈયાર થનારા એગ્રો ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પાર્કનું સોમવારે ભૂમિપૂજન કરાયું છે. પાર્ક શરૂ થવાથી ખેડૂતોને ખેત પેદાશોની યોગ્ય કિંમત મળી રહેશે અને રાજ્યમાં આવા 250 મોલ ઉભા કરવામાં આવશે. આગામી સમયમાં ખેડૂતોની નાની-મોટી ચીજવસ્તુઓ અને પ્રોડક્ટના વેચાણ માટે માર્કેટ મળી રહે તે માટે ગુજકોમાસોલ દ્વારા રાજ્યમાં 250 શહેરોમાં મોલ ઊભાં કરાશે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ઇન્ફ્યુએન્ઝા રોકવા માટે એક નવી રસી ક્વોડ્રિવલેન્ટ કેડિફ્લૂ ટેટ્રા લોન્ચ કરી છે. બાળકો તેમજ પુખ્તોના ઉપયોગ માટે આ રસીને DCGIએ મંજૂરી આપી છે. આ રસી ઇન્ફ્લુએન્ઝાના ચાર પેટા પ્રકાર A અને Bના ચાર સ્ટ્રેનને ટાર્ગેટ કરે છે જે સિઝનલ રોગચાળા માટે જવાબદાર છે. કંપનીનો દાવો છે કે વેક્સિનથી સગર્ભા સ્ત્રીઓને પણ ઇન્ફ્લુએન્ઝા સામે રક્ષણ મળશે જે બાળક અને માતા બન્નેની સુખાકારીમાં યોગદાન આપે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો