MONEY9: સરકારની મફતમાં રાશનની સ્કીમ કદાચ જાજા દિવસ ટકે તેવું લાગતું નથી… અને જો સ્કીમ ચાલુ રહી તોપણ, લાભાર્થીને મળતું અનાજ ઓછું થઈ જશે… ચોખાનું ઓછું ઉત્પાદન થવાની શક્યતાને પગલે ફ્રી રાશન સ્કીમને લઈને આ આશંકા વધી ગઈ છે.
ઉત્પાદનના આંકડા
21 સપ્ટેમ્બરે સરકારે ખરીફ પાકનો પ્રથમ અંદાજ જાહેર કર્યો હતો અને સરકારના અંદાજે સાબિત કરી દીધું છે કે, આ વખતે ડાંગરનું વાવેતર ઓછું થયું હોવાથી ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થશે. સરકારી અંદાજ અનુસાર, ચાલુ વર્ષે ખરીફ સીઝન દરમિયાન, દેશભરમાં 1,049.9 લાખ ટન ચોખાનું ઉત્પાદન થશે, જે ગયા વર્ષની તુલનાએ લગભગ 68 લાખ ટન ઓછું છે. ગયા વર્ષની ખરીફ સીઝનમાં ભારતમાં 1,117.6 લાખ ટન ચોખાનું ઉત્પાદન થયું હતું.
ચોખા અને ઘઉં ઘટ્યા
ચોખાના ઉત્પાદનમાં ઘટાડાની જાહેરાત થઈ તેની પહેલાં ઘઉંના ઉત્પાદનમાં પણ ચાલુ વર્ષે 27 લાખ ટન ઘટાડો નોંધાયો છે અને આથી, સેન્ટ્રલ પુલમાં ઘઉંનો જથ્થો 14 વર્ષના તળિયે પહોંચી ગયો છે. ઘઉંનો સપ્લાય ઘટવા લાગ્યો એટલે સરકારે ફ્રી રાશન સ્કીમ માટે ચોખાનો સપ્લાય વધાર્યો હતો, જેથી સેન્ટ્રલ પુલમાં ચોખાનો જથ્થો પણ ઘટી ગયો છે. અનાજનો કુલ સ્ટોક ઘટીને 492 લાખ ટનના પાંચ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ જ કારણસર, ફ્રી રાશન સ્કીમનું ભવિષ્ય ડામાડોળ હોવાની શક્યતા દેખાઈ રહી છે.
ભાવ પર અસર પડશે
સરકારે 21 સપ્ટેમ્બરે ખરીફ પાકનો જે અંદાજ જાહેર કર્યો હતો, તેમાં ચોખા ઉપરાંત, તેલીબિયાંના ઉત્પાદનમાં ઘટાડાનો પણ અંદાજ આપવામાં આવ્યો છે. જોકે, કઠોળનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું થવાનો જ્યારે કપાસ અને બરછટ અનાજનું ઉત્પાદન વધવાનો અંદાજ છે. ઉત્પાદનમાં થયેલી આ વધ-ઘટથી માંગ અને પુરવઠા પર અસર પડશે, જેની અસર કિંમત પર જોવા મળશે. એટલે કે, કપાસના ભાવમાં રાહત જોવા મળશે તો ચોખા અને તેલીબિયાંનાં ભાવમાં થોડોક વધારો થવાની શક્યતા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો