MONEY9: ભારતમાં ભલે મંદી ના આવી હોય, પરંતુ વૈશ્વિક સ્તરે ચાલી રહેલી આર્થિક નરમાઈની અસર ભારતની નિકાસ પર પડવાનું શરૂ થઈ ગયું છે. જે ઉદ્યોગો નિકાસ પર નિર્ભર છે, તેમનો ધંધો ઘટી ગયો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ભારતનાં જે ઉદ્યોગો માલસામાન બનાવીને વિદેશનાં બજારોમાં નિકાસ કરે છે તેમના બિઝનેસમાં ઘટાડો થયો છે. કાપડ ઉદ્યોગનો જ દાખલો લઈએ.., તો અમેરિકા અને યુરોપના અર્થતંત્રોમાં મંદીનો પ્રભાવ વધી રહ્યો હોવાથી ભારતીય કાપડની માંગ ઘટી ગઈ છે અને ભારતમાંથી થતી કાપડની નિકાસમાં ધરખમ ઘટાડો થયો છે.
રેડીમેડ કપડાંની નિકાસ ભારતમાંથી રેડીમેડ કપડાંની નિકાસ ઓક્ટોબર મહિનામાં ઘટીને 28 મહિનાના તળિયે પહોંચી ગઈ છે… અને માત્ર 98.87 કરોડ રૂપિયાના રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ થઈ શકી છે. કોટન યાર્નની નિકાસ પણ ઘટી છે. ઓક્ટોબરમાં કોટન યાર્નની નિકાસમાં 46 ટકાનો ઘટાડો નોંધાયો છે અને માત્ર 71.9 કરોડ રૂપિયાના કોટન યાર્નની નિકાસ થઈ શકી છે. અગાઉ કાપડ ઉદ્યોગ સામે કાચા માલની અછતનો પ્રશ્ન હતો. કાચા માલની અછતને કારણે નિકાસની માંગને પહોંચી વળાય તેટલું ઉત્પાદન પણ થતું નહોતું. હવે કાચા માલની સમસ્યા દૂર થઈ છે ત્યારે વૈશ્વિક સ્તરે માંગ ઘટી છે. આમ, નિકાસમાં ઘટાડાનો દોર જળવાઈ રહ્યો છે.
તિરુપુરની સ્થિતિ તિરુપુર ભારતનું સૌથી મોટું ટેક્સટાઈલ હબ છે અને ત્યાંથી થતી નીટ-વેરની નિકાસના આંકડા જોઈએ તો, સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે, નિકાસને ગંભીર ફટકો પડ્યો છે. તિરુપુરમાંથી નિકાસ થતા નીટ-વેરમાં ઓગસ્ટમાં 17.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો, સપ્ટેમ્બરમાં આ ઘટાડો વધીને 33 ટકાએ પહોંચી ગયો અને ઓક્ટોબરમાં તો, નિકાસ 40 ટકા ઘટી ગઈ.
કપાસ સસ્તો થયો કાપડ ઉદ્યોગનો કાચો માલ એટલે કે કપાસ સસ્તો થયો છે. છ મહિના પહેલાં કપાસનો જે ભાવ હતો, તેના કરતાં અત્યારે 25 ટકા નીચે છે. આમ, કાપડ ઉદ્યોગને નિકાસ દ્વારા મહત્તમ લાભ મળે તેવી સ્થિતિ સર્જાઈ છે, પરંતુ આવા મોકાના સમયે જ, નિકાસને ગ્રહણ લાગી ગયું છે. એક ક્વિન્ટલ કપાસનો ભાવ 9,000 રૂપિયાની નીચે પહોંચી ગયો છે, જે જૂન મહિનામાં 11થી 12 હજાર રૂપિયાની વચ્ચે રહેતો હતો.
મંદીની અસર દુનિયાભરનાં અર્થતંત્રો મોંઘવારીને દૂર કરવા માટે વ્યાજ દર વધારી રહ્યાં છે અને મંદીને આવકારી રહ્યાં છે. યુરોપનાં કેટલાક દેશોમાં તો મંદીએ જોશભેર પ્રવેશ પણ કરી લીધો છે અને આ દેશોમાં જ ભારતના કાપડની મહત્તમ નિકાસ થાય છે. યુરોપના અન્ય દેશોમાં પણ ટૂંક સમયમાં મંદીની શરૂઆત થવાના સંકેત મળી રહ્યાં છે. આથી, ભારતમાંથી જે કાપડની નિકાસ થાય છે, તેના પર ગંભીર અસર પડી શકે છે. યુરોપનાં દેશોમાં મંદી જામશે, એટલે માત્ર કાપડ નહીં, પણ ઘરેણાં, મસાલા, ચોખા, મેન્યુફેક્ચર્ડ ગૂડ્ઝ અને ફૂટવેર સહિતની પ્રોડક્ટ્સની નિકાસમાં ધરખમ ઘટાડો થશે…, કારણ કે, આ તમામ ચીજવસ્તુઓની મહત્તમ નિકાસ યુરોપના દેશોમાં જ થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો