Money9: ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની પંડવાઇ ખાતે મળેલી બેઠકમાં વર્તમાન પિલાણ સીઝનમાં શેરડીના ટન દીઠ ભાવો નક્કી કરવા માટે ખાંડની સ્ટોક વેલ્યૂ દાગીના એટલે કે 100 કિલો દીઠ 3400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ગત વર્ષના કરતાં તેમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે શેરડીના ટન દીઠ ભાવમાં વધારો થવાની શક્યતા છે. આગામી 1 એપ્રિલે ગુજરાત રાજ્યની તમામ શુગર ફેક્ટરીની બોર્ડ મિટિંગમાં શેરડીના ટન દીઠ ભાવો નક્કી કરવામાં આવશે. હાલમાં ખાંડના બજાર ભાવ 100 કિલો દીઠ 3300 રૂપિયાથી 3500 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે.
ટૂંક સમયમાં તમને HPના હજારો પેટ્રોલ પંપ પર EV ચાર્જિંગની સુવિધા મળશે…ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડે ભારતમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે HPCL સાથે ડીલ સાઇન કરી છે. બંને કંપનીઓ સાથે મળીને દેશના મુખ્ય લોકેશનમાં આવેલા HPના 21000થી વધુ પેટ્રોલ પંપો પર EV ચાર્જિંગ સ્ટેશન બનાવશે. આનાથી 1.2 લાખ Tata EV ગ્રાહકો તેમજ અન્ય EV ગ્રાહકોને સીધો ફાયદો થશે. ભારતના EV માર્કેટમાં ટાટાનો 68 ટકા હિસ્સો છે. આ ઉપરાંત, બંને કંપનીઓ ચાર્જિંગ સ્ટેશનો પર સીમલેસ પેમેન્ટ માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન એટલે કે RFID સાથે પણ કામ કરી રહી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જેમના 2500 કે તેથી વધુ વેરિફાઈડ ફોલોઅર્સ છે તેમને કંપની હવે ફ્રીમાં પ્રીમિયમ સર્વિસ આપશે. તો જેમના 5000 કે તેથી વધુ વેરિફાઈડ ફોલોઅર્સ છે તેમને પ્રીમિયમ પ્લસની સુવિધા મફતમાં મળશે. એક્સના માલિક એલોન મસ્કે આની જાહેરાત કરી છે. X ની પ્રીમિયમ સર્વિસના યુઝર્સને એડ-ફ્રી, પોસ્ટ માટે વધુ વર્ડ લિમિટ અને પોસ્ટને એડિટ કરવાની સાથે ઘણાં બીજા ફિચર્સ પણ મળશે. જ્યારે પ્રીમિયમ પ્લસ સર્વિસવાળા યૂઝર્સને પ્રીમિયમની બધી સર્વિસિસ ઉપરાંત કંપનીનું પોતાનું AI આધારિત ચેટબોટ ‘Grok’નો ઍક્સેસ મળશે.
ભારતમાં મકાનોની માંગ ઝડપથી વધી રહી છે… રિયલ એસ્ટેટ સેક્ટર માટે વર્ષ 2023 શાનદાર રહ્યું છે… હવે 2024માં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મકાનોની માંગમાં તીવ્ર ઉછાળો આવ્યો છે… જે છેલ્લા એક દાયકામાં ત્રિમાસિક વેચાણનું સર્વોચ્ચ સ્તર છે… એનરોકના રિપોર્ટ મુજબ, દેશના ટોપ 7 શહેરોમાં જાન્યુઆરી-માર્ચ વચ્ચે લગભગ 1 લાખ 30 હજારથી વધુ મકાનો વેચાયા છે. વાર્ષિક ધોરણે વેચાણમાં લગભગ 14 ટકાનો વધારો થયો છે. વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં 1 લાખ 13 હજારથી વધુ મકાનો વેચાયા હતા.
ભારતમાં સોનાની આયાત પાછલા મહિનાની સરખામણીમાં માર્ચમાં 90 ટકાથી વધુ ઘટીને કોવિડ મહામારી બાદના તેના સૌથી નીચલા સ્તરે પહોંચી શકે છે. તેનું કારણ રેકોર્ડ ઉચ્ચ સ્તરના ભાવ છે… હકીકતમાં, ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે હોવાથી બેંકોએ સોનાની આયાતમાં ઘટાડો કર્યો છે. જો કે, વિશ્વભરમાં સોનાના બીજા સૌથી મોટા ગ્રાહક ભારતમાં આયાતમાં ઘટાડાથી સોનાના વૈશ્વિક ભાવમાં વધારો મર્યાદિત થઇ શકે છે.જો કે, સોનાની આયાતમાં ઘટાડાથી ભારતને તેની વેપાર ખાધ ઘટાડવામાં મદદ મળશે અને રૂપિયાને સપોર્ટ મળી શકે છે. સરકારી આંકડાઓ અનુસાર માર્ચમાં સોનાની આયાત પાછલા મહિનાની સરખામણીમાં ઘટીને 10 થી 11 ટન થઈ શકે છે. ફેબ્રુઆરીમાં સોનાની આયાત 110 ટન નોંધાઈ હતી.
ડુંગળીના નિકાસ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને એપીએમસીમાં સંભવિત ઘટાડાની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરી આપી છે કે તે આગામી 2-3 દિવસમાં પાંચ લાખ ટન ડુંગળીની ખરીદી શરૂ કરશે. ગયા અઠવાડિયે, વાણિજ્ય મંત્રાલયે ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને લંબાવ્યો હતો. ડુંગળીના શિપમેન્ટ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી માન્ય હતો. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું કે અમે ખેડૂતોને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમની ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવશે. બફર સ્ટોક જાળવવા માટે અમે 5 લાખ ટન રવિ પાકની ખરીદી શરૂ કરીશું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પાંચ સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે. તેમાં ધ મંડી અર્બન કો-ઓપરેટિવ બેંક, ધ રાજાપલયમ કો-ઓપરેટિવ અર્બન બેંક, એક્સિલન્ટ કો-ઓપરેટિવ બેંક, સ્ટાન્ડર્ડ અર્બન કો-ઓપરેટિવ બેંક, ધ હાવડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક…સામેલ છે. આરબીઆઇએ ધ મંડી અર્બન કો-ઓપરેટિવ બેંકને 6 લાખ રૂપિયા, ધ હાવડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક અને એક્સિલન્ટ કો-ઓપરેટિવ બેંક પર 1-1 લાખ રૂપિયા, રાજપાલયમ કો-ઓપરેટિવ અર્બન બેંક પર 75,000 રૂપિયા અને સ્ટાન્ડર્ડ અર્બન કો-ઓપરેટિવ બેંક પર 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ પગલાંથી ગ્રાહકોને કોઈ અસર નહીં થાય…
રિઝર્વ બેન્ક દર બે મહિને નાણાકીય બાબતોની સમીક્ષા કરે છે અને ફુગાવો અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને પોલીસી રેટમાં વધારા કે ઘટાડાની જાહેરાત કરે છે. આ વખતે રિઝર્વ બેન્કની મોનિટરી કમિટીની પ્રથમ બેઠક 3 થી 5 એપ્રિલ 2024 દરમિયાન યોજાશે અને આરબીઆઈ ગવર્નર 5 એપ્રિલે એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. રિઝર્વ બેન્કની આ બેઠક લાખો લોનધારકો માટે ગુડ ન્યૂઝ લઇને આવી શકે છે કારણકે ઘણી રેટિંગ એજન્સીઓએ આગાહી કરી છે કે RBI 2024 દરમિયાન પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો કરી શકે છે. રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે પણ વ્યાજદરમાં ઘટાડો કરવાની શક્યતા વ્યક્ત કરી છે. જો રિઝર્વ બેન્ક પોલીસી રેટમાં ઘટાડો કરે તો લાખો લોનધારકો માટે નવું નાણાકીય વર્ષ શુકનવંતુ બની રહેવાની ધારણા છે.
કેન્દ્ર સરકારે ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ એટલે કે મનરેગા હેઠળ કામ કરતા મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગાના વેતન દરમાં 3 થી 10 ટકાનો વધારો કર્યો છે. મનરેગા કામદારો માટે નવા વેતન દરો 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. ગુજરાતમાં મનરેગા વેતન દર રૂ. 256થી વધારીને રૂ. 280 કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં મનરેગા વેતનદરમાં 9.4 ટકાનો વધારો થયો છે. નવા વેતન દરોમાં ભારતના વિવિધ રાજ્યોમાં 3 ટકાથી લઇને સાડા દસ ટકા સુધીનો વધારો જાહેર કરાયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો