Money9 Gujarati:
દેશમાં રવિ સીઝન પૂરી થાય અને ખરીફ સીઝન શરૂ થાય તેની વચ્ચેના ખૂબ જ ટૂંકા સમયગળામાં ઉનાળુ પાકનું વાવેતર થાય છે. કૃષિ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશમાં ઉનાળુ વાવેતર ચાલુ વર્ષે 2 ટકા જેટલું ઘટ્યું છે. ખેડૂતો ઉનાળુ પાકમાં મગ, ડાંગર, કઠોળ, અડદ, જુવાર, બાજરી, મગફળી, મકાઈ, તલ વગેરે પાકનું વાવેતર કરે છે.
12 મે સુધીનો ડેટા દર્શાવે છે કે, 2022માં 70.39 લાખ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર થયું હતું, જે ચાલુ વર્ષના 12 મે સુધીમાં 1.69 ટકા ઘટીને 69.2 લાખ હેક્ટરમાં થયું છે. ઉનાળુ મગફળીનું વાવેતર 10.65 ટકા ઘટ્યું છે જ્યારે તલના વાવેતરમાં 2.46 ટકા વધારો થયો છે. જુવાર અને બાજરીના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. 2022માં 12 મે સુધીમાં 0.18 લાખ હેક્ટર વિસ્તારમાં જુવારનું વાવેતર થયું હતું, જે ચાલુ વર્ષના 12 મે સુધીમાં 38.89 ટકા વધીને 0.25 લાખ હેક્ટરમાં થયું છે. ખાસ કરીને તેલીબિયાં પાકોનાં વાવેતરમાં 8.2 ટકાનો ઘટાડો અને કઠોળ પાકોનાં વાવેતરમાં 6.34 ટકાનો વધારો થયો છે.
બાજરીનું વાવેતર ચાલુ વર્ષની 12 મે સુધીમાં 4.69 લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષના 3.89 લાખ હેક્ટરની સરખામણીએ 17.84 ટકા વધારો દર્શાવે છે. મગનું વાવેતર 7.82 ટકા વધ્યું છે. 2022માં ઉનાળાના ટૂંકા ગાળા દરમિયાન, 14.97 લાખ હેક્ટરમાં મગનું વાવેતર થયું હતું, જે ચાલુ વર્ષે 16.14 લાખ હેક્ટરમાં થયું છે. મગનું મહત્તમ વાવેતર ઉત્તર અને મધ્ય ભારતનાં ખેડૂતો દ્વારા થાય છે. ઉનાળુ મગ રવિ અને ખરીફ વચ્ચેના ટૂંકા ગેપ માટે આદર્શ પાક છે. ખેડૂતોને આ પાક દ્વારા આવકનો એક વધારાનો સ્રોત ઊભો કરવામાં મદદ મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો