MONEY9: ઘઉં, ચોખા, દાળ, તેલની મોંઘવારી પીછો છોડવાનું નામ નથી લેતી, ત્યાં વળી ખાંડ પણ મોંઘી થવાના અણસાર મળી રહ્યાં છે. આગામી દિવસોમાં જો ખાંડ માટે વધારે ખર્ચ કરવો પડે તો, નવાઈ ના પામતા…! કારણ કે, શુગર કંપનીઓએ માંગ, વપરાશ અને પુરવઠાનો જે અંદાજ આપ્યો છે, તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે, આ વખતે સપ્લાય સાઈડથી બેલેન્સ બગડી શકે છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે શેરડીનું વાવેતર વધારે થયું છે અને ઉપજ પણ વધવાનો અંદાજ છે, પરંતુ સપ્લાય સાઈડને લઈને સ્થિતિ સારી ન હોવાથી ખાંડ કડવી થવાની શક્યતા છે.
ખાંડ ઉદ્યોગનાં આંકડા ખાંડ ઉદ્યોગના આંકડા અનુસાર, આ વર્ષે દેશનાં 58 લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં શેરડીની ખેતી થવાનો અંદાજ છે, જેનાથી લગભગ 400 લાખ ટન ખાંડ પેદા થઈ શકે છે. આટલું ઉત્પાદન તો આપણી જરૂરિયાતને પહોંચી વળવા માટે ઘણું વધારે છે. તો જોડો ક્યાં ડંખે છે? વાત એમ છે કે, સરકારે આ વર્ષે વાહનોના ઈંધણમાં ઈથેનોલનું પ્રમાણ વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ ઈથેનોલ પણ શેરડીમાંથી જ બને છે, એટલે જેટલી શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન થઈ રહ્યું છે, તેમાંથી અમુક શેરડીનો ઉપયોગ ઈથેનોલ બનાવવા માટે થઈ રહ્યો છે.
ઈથેનૉલ-બ્લેન્ડેડ ફ્યુઅલ શુગર ઈન્ડસ્ટ્રીને અંદાજ છે કે, ઓક્ટોબરથી શરૂ થઈ રહેલાં ખાંડ વર્ષ 2022-23માં 45 લાખ ટન ખાંડ તૈયાર થઈ શકે તેટલી શેરડીનો ઉપયોગ ઈથેનોલ બનાવવા માટે થશે. ચાલુ વર્ષે લગભગ 34 લાખ ટન ખાંડ બની શકે તેટલી શેરડીનો જથ્થો ઈથેનોલ માટે વાપરવામાં આવ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શુગર ઈન્ડસ્ટ્રીઝે 2022-23 માટે ખાંડના વાસ્તવિક ઉત્પાદનનો અંદાજ ઘટાડ્યો છે. ઉદ્યોગજગતનું માનવું છે કે, 2021-22ની સરખામણીએ 2022-23માં લગભગ 5 લાખ ટન ઓછું ઉત્પાદન થશે.
કૅરી-ફૉરવર્ડ સ્ટૉક ઓછામાં પૂરું આ વર્ષે ખાંડનો કૅરી-ફૉરવર્ડ સ્ટૉક પણ ગયા વર્ષની તુલનાએ ઓછો રહેવાની શક્યતા છે. ગયા વર્ષની પહેલી ઓક્ટોબરે જ્યારે નવું ખાંડ વર્ષ શરૂ થયું ત્યારે કૅરી-ફૉરવર્ડ સ્ટૉકનો આંકડો 83 લાખ ટન હતો અને તેમાં 360 લાખ ટન ઉત્પાદનને ઉમેરીએ તો, લગભગ 443 લાખ ટનનો સપ્લાય સેટ થાય છે. ભારતમાં 265 લાખ ટન ખાંડનો વપરાશ થવાનો અંદાજ છે… અને 112 લાખ ટન ખાંડની નિકાસ ગણીએ તો, આપણે આગામી વર્ષ માટે લગભગ 65 લાખ ટન સ્ટૉક આપી શકીશું.
ખાંડની માંગ વધશે આ તો થઈ સપ્લાયની વાત. હવે ખપતના મોરચે પણ સ્થિતિ ચકાસીએ તો, 2022-23માં ખાંડની માંગ 10 લાખ ટન વધવાનો અંદાજ છે, જેના કારણે સપ્લાય સાઈડનું બેલેન્સ વધુ બગડશે અને સપ્લાય મર્યાદિત થશે એટલે ખાંડની કિંમત પર અસર પડ્યા વિના નહીં રહે. બજારને પણ ડિમાન્ડ અને સપ્લાયના આ ગણિતની ગંધ આવી ગઈ છે. આથી, જ તો છેલ્લાં એક મહિનામાં ભારતનાં ઘણા શહેરોમાં એક કિલો ખાંડની રિટેલ કિંમતમાં 1 રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો થયો છે.
સરકાર શું કરશે? સ્થાનિક સપ્લાયની સ્થિતિ બગડે નહીં તે માટે, સરકાર આ વર્ષે ખાંડની નિકાસ પર બ્રેક લગાવી શકે છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને જ શુગર ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે, 2022-23 દરમિયાન ભારતમાંથી ખાંડની નિકાસ લગભગ 32 લાખ ટન ઘટી શકે છે.
શું ભાવ વધશે? પરંતુ શુગર સીઝન નજીક આવતી જશે, તેમ-તેમ ડિમાન્ડ અને સપ્લાયનું આ ગણિત પણ બદલાઈ શકે છે અને આ બદલાતા ગણિત સાથે તાલ મિલાવીને જ ગ્રાહકો માટે ખાંડની કિંમત નક્કી થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો