ઇ-કોમર્સ કંપનીઓ પર સકંજો
ફેસ્ટિવ સેલમાં ઈ-કોમર્સ કંપનીઓ હવે ગ્રાહકોને મૂર્ખ નહીં બનાવી શકે. સરકાર તેમના ‘ડાર્ક પેટર્ન’ પર સકંજો કસવા જઈ રહી છે. સરકારે ઈ-કોમર્સ કંપનીઓને આ બાબતે સેલ્ફ રેગ્યુલેશન કરવા માટે કહ્યું હતું. પરંતુ આ કામમાં કંપનીઓ નિષ્ફળ ગઈ છે. તેથી, હવે ગ્રાહક બાબતોનું મંત્રાલય આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવા જઈ રહ્યું છે. મંત્રાલયના સચિવ આ માર્ગદર્શિકા ટૂંક સમયમાં બહાર પાડી શકે છે. આ ગાઇડલાઇન્સ આવ્યા બાદ ઈ-કોમર્સ કંપનીઓએ તેમનું ‘ડાર્ક પેટર્ન’ માર્કેટિંગ બંધ કરવું પડશે.
પગાર વધારાની ગતિ ધીમી પડી
કોવિડ રોગચાળા બાદ લેબર સપ્લાયમાં થયેલા સુધારાની અસર વેતન વૃદ્ધિ પર પડી છે. શ્રમબળની ઉપલબ્ધતામાં સુધારાને કારણે પગારમાં વધારાની ગતિ ધીમી પડી છે. આ સાથે જ લિંગના આધારે પણ પગારમાં ગેપ વધી ગયો છે. પબ્લિક લેબર ફોર્સ સર્વેના આંકડા અનુસાર, શહેરી વિસ્તારોમાં નિયમિત પગારદાર કર્મચારીઓનો સરેરાશ વેતન વૃદ્ધિ દર 2022-23ના જૂન-જુલાઈમાં ઘટીને 4.9 ટકા થયો હતો, જે 2021-22માં 8.3 ટકા હતો. મેનેજરિયલ અને પ્રોફેશનલ્સ જોબની તુલનામાં ઓછા પગારવાળી નોકીરઓ જેવી કે ક્લાર્ક, સર્વિસ અને સ્કેલ વર્કર્સની વેતન વૃદ્ધિમાં વધુ ઘટાડો થયો છે. શહેરી વિસ્તારોમાં મેનેજરિયલ જોબ માટે એવરેજ પગાર વૃદ્ધિ 19.6 ટકા રહી છે જ્યારે ક્લાર્કના પગારમાં 5.4 ટકા અને સેલ્સ વર્કર્સ માટે પગાર વધારો 1.4 ટકા હતો.
સોનાનું વેચાણ વધ્યું
એક તરફ પ્રોપર્ટીના વેચાણમાં સારોએવો વધારો થયો તો બીજી તરફ સોનાના વેચાણમાં 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે. નવરાત્રિ દરમિયાન લોકોએ સોનાની ખૂબ ખરીદી કરી છે. ETના રિપોર્ટ અનુસાર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ, PNG જ્વેલર્સ અને સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ જેવા મોટા જ્વેલર્સે ગયા વર્ષની સરખામણીમાં દશેરા-નવરાત્રિ દરમિયાન વેચાણમાં 30 ટકા સુધીની વૃદ્ધિ નોંધાવી છે. ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષ શરૂ થયો ત્યારથી સોનાના ભાવમાં 5.5 ટકાનો વધારો થયો હોવા છતાં સોનાનું વેચાણ વધ્યું છે.
સોનાની દાણચોરીમાં વધારો થયો
દેશમાં સોનાની દાણચોરીમાં વધારો થયો છે. એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન દાણચોરી દ્વારા જપ્ત કરાયેલું સોનું લગભગ 43 ટકા વધીને 2,000 કિલો થયું હતું. આ સોનું મોટાભાગે મ્યાનમાર, નેપાળ અને બાંગ્લાદેશની સરહદો મારફતે ભારતમાં લાવવામાં આવ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા વર્ષે એપ્રિલ-સપ્ટેમ્બરમાં 1,400 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 2022-23માં લગભગ 3,800 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
ઓનલાઇન ગ્રાહકો આનાથી નાખુશ
દેશના મોટાભાગના ગ્રાહકો ઓનલાઈન સર્વિસ પરની કન્વેનિઅન્સ ફી એટલે કે સુવિધા ફીથી નાખુશ છે. લોકલ સર્કલ્સના સર્વેમાં, 83 ટકા ગ્રાહકો ટિકિટ કે કોઇ અન્ય સેવાના બુકિંગ પર લેવામાં આવતી સુવિધા ફી ચૂકવવા માંગતા નથી…84 ટકા લોકો ઇચ્છે છે કે સરકાર અને IRCTC જેવા જાહેર ક્ષેત્રના એકમો સુવિધા ફી અથવા સર્વિસ ચાર્જ વસૂલવાનું બંધ કરે અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આે. સર્વેમાં બહાર આવ્યું કે ઓનલાઈન સેવાઓ અથવા ટિકિટ ખરીદવા 79 ટકા ભારતીય ગ્રાહકો વધુ પડતી સુવિધા ફીથી કંટાળી ગયા છે. વધુ પડતી ફી ડિજિટલ ઈન્ડિયાના માર્ગમાં અવરોધો ઉભી કરી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો